ગુરુવાર, 27 સપ્ટેમ્બર, 2018

વર્લ્ડ ટૂરિઝમ ડે:આજે ગુજરાતના આ પ્રવાસન સ્થળની ખાસ લેજો મુલાકાત


 Chania

27 સપ્ટેમ્બરની ઉજવણી વર્લ્ડ ટૂરિઝમ ડેતરીકે કરવામાં આવે છે, ત્યારે ગુજરાતની ધરોહર તરીકે પાટણની ઓળખ એવી રાણીની વાવને 23 તારીખ થી 27 તારીખ સુધી દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. સરકાર દ્વારા ચાલતા પ્રવાસન પર્વના ભાગરૂપે રાણીના પ્રેમના પ્રતીક એવી રાણીની વાવને એક સપ્તાહ સુધી સુંદર રીતે શણગારવામાં આવી છે.

પાટણનું નામ સમગ્ર વિશ્વની ફલક પર મુકનાર રાણીની વાવને ઝળહળતી દેખવા માટે માત્ર પાટણ જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના લોકો આવી રહ્યા છે. પ્રવાસન પર્વ દરમ્યાન આ રાણીની વાવને વધુમાં વધુ સહેલાણીઓ જોવાનો લાભ મેળવે તેમાટે વાવને સાંજે 6 વાગ્યાની જગ્યાએ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી મુકવામાં આવી છે અને તેમાંય ખાસ કરીને સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી સહેલાણીઓ માટે મફત પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રવાસન પર્વના ભાગરૂપે શણગારેલ રાણીની વાવને નિહાળવા 3 લાખ સહેલાણીઓ દ્વારા વાવને નિહાળવામાં આવી છે.

ગુજરાતમાં આ વર્ષે ઓછા પ્રવાસીઓનો આંકડો ચિંતાજનક છે. સામાન્ય રીતે વધુ સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવા માટે કોઇ એક રાજ્યમાં ઐતિહાસિક ધરોહર, ધાર્મિક મહાત્મ્ય, દરિયા કિનારો, રણપ્રદેશ, હિલસ્ટેશન જેવી લાક્ષણિક્તા હોવી જરૂરી છે. આ તમામ પ્રકારની લાક્ષણિક્તા ગુજરાતમાં મોજૂદ હોવા છતાં વર્ષ દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓ આવતા હોય તેવા રાજ્યમાં ગુજરાત છેક 9માં ક્રમે છે.

ગુજરાતમાં સોલંકી યુગથી અસ્તિત્વ ધરાવે છે રાણકી વાવ
રાણકી વાવનું બાંધકામ ઇ.સ. 1022થી 1062-63 સુધી ચાલ્યું. કાળક્રમે સરસ્વતી નદીના પુરના પ્રકોપે આ વાવ થળાઇને દટાઇ ગઈ હતી. ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા ૧૯૬૮માં પાટણમાં ઉત્ખનન શરૂ થયું અને 1980માં આ રાણકી વાવ પૂર્ણ રીતે ખોદી કઢાઈ. ગુજરાતની બધી જ વાવમાં રાણકી વાવ શિરમોર સમી છે. અને એટલે જ એને યુનેસ્કો તરફથી પુરાતત્વ વારસા તરીકેનું સ્થાન મળ્યું છે. જોકે આજે આ બેમનુંમ વારસો ખાનગી હાથોમાં જવા જઈ રહ્યો હોવાથી સહેલાણીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

રાણી ઉદયમતીએ જે વાવ બંધાવી તે રાણીની વાવ

ઉત્તર ગુજરાતના આ પ્રાચીન ઐતિહાસિક સ્થળને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાયું છે. સરસ્વતી નદીના કિનારે આવેલી આ વાવ ગુજરાતના સોલંકી યુગની ભેટ છે. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી, તેનો પુત્ર ભીમદેવ પહેલો, ભીમદેવ પહેલાનો પુત્ર કર્ણદેવ અને કર્ણદેવના પુત્ર સિદ્ધરાજ જયસિંહ, જેમના સમયમાં સિદ્ધપુરમાં રુદ્ર મહાલયનું બાંધકામ પૂર્ણ કરી ભીમદેવ પહેલાએ મોઢેરામાં સૂર્યમંદિર બંધાવ્યું જ્યારે તેની રાણી ઉદયમતીએ જે વાવ બંધાવી તે રાણીની વાવ અથવા રાણકી વાવ તરીકે જાણીતી થઈ હતી.

ઐતિહાસિક ધરોહર હવે સરકારના હાથમાંથી સરકીને ખાનગી હાથોમાં જશે!

પાટણનની જગવિખ્યાત રાણીનીવાવ પર મંડરાઈ રહ્યું છે. ગ્રહણ કારણ કે આ ઐતિહાસિક ધરોહર હવે સરકારના હાથમાંથી સરકીને ખાનગી હાથોમાં જઈ રહી હોવાના સમાચાર મળી રહ્યા છે. જોકે ખાનગી કરણને લઈને સહેલાણીઓમાં ચિંતા પણ છે. ખાનગી કરણને પણ સર્માવે તેવી આવક મેળવતી વાવને કેમ ખાનગી કંપનીને આપવાની જરૂર પડી તે એક સવાલ હાલના સમય માં ઉભો થવા પામ્યો છે.

પાટણની રાણીની વાવ ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત આ સ્મારક છે. આમાં પ્રવેશ માટે ટિકિટ લેવી પડતી હોય છે. વરસે દહાડે લગભગ ત્રણ લાખ કરતાં વધારે મુલાકાતીઓ આ વાવની મુલાકાત લે છે. પાટણ જિલ્લાના મુખ્યમથક પાટણ શહેરની ઉત્તર પશ્વિમે બે કિલોમીટર દૂર સરસ્વતી નદીના કિનારે આ વાવ આવેલી છે. ગુજરાતમાં પથ્થરની જે સુંદર અને અલંકૃત વાવો જળવાઈ રહી છે.

તેમાંની એક આ વાવ ભીમદેવ પહેલા (ઇ.સ. ૧૦૨૨-૧૦૬૪)ની પત્ની રાણી ઉદયમતીએ બાંધવી હોવાનો ઉલ્લેખ પ્રબંધ ચિંતામણિમાં આવે છે. આ વાવ 65 મીટર લાંબી અને 20 મીટર પહોળી છે. કૂવાનો ભાગ 28 મીટર ઊંડો છે. મૂળમાં આ વાવ સાત મજલાની હતી જેનો પ્રથમ મજલો તૂટી પડ્યો છે. શિલ્પશાસ્ત્રના ગ્રંથો મુજબ આ નંદાપ્રકારની વાવ ગણી શકાય. આ વાવ જાણે કે પથ્થરોમાં કંડારાયેલી કવિતા છે અને એની વિપુલ શિલ્પ સમૃદ્ધિમાં શૈવ, વૈષ્ણવ તેમજ શક્તિ સંપ્રદાયને લગતા અનેક શિલ્પો જોવા મળે છે. વાવના કૂવાની દિવાલોમાં દેવીદેવતાઓના શિલ્પો તથા શેષશાયી વિષ્ણુનું ઉત્કૃષ્ઠ શિલ્પ બેનમૂન છે.

2014માં વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાઈ હતી 

પાટણની સુપ્રિધ્ધિ રાણકીવાવને યુનેસ્કોની ટીમ દ્વારા મુલાકાત લઈ તેનાં રીપોર્ટના આધારે યુનેસ્કોની ટીમ દ્વારા તા.રર જૂન ર૦૧૪ માં રાણકીવાવને વર્લ્ડ હેરીટેમાં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

શા-માટે વાવ બાંધવામાં આવતી?

સામાન્ય રીતે પશ્ચિમ ભારતમાં વાવ ઘણી જગ્યાએ જોવા મળે છે. આ ઉપરાંત અન્ય વધુ ઊંડાઇએ તેમજ એક સ્થળે થી બીજા સ્થળે પહોંચવા માટે નું અંતર વધારે હોય, જ્યાં પીવા લાયક પાણી ઓછું મળતું હોય એવા શુષ્ક વિસ્તારોમાં જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે, ત્યાં પણ વાવ બંધાયેલી જોવા મળે છે. વાવનું બાંધકામ આમ તો પાણીનો સરળતાથી ઉપયોગ કરવા માટે જ કરવામાં આવતું હતું, આમ છતાં કેટલીક જગ્યાઓ પર આ બાંધકામ વેળા આ વાવ મહત્વપૂર્ણ સ્થાપત્ય બને અને વ્યક્તિ કે રાજ્યની ઓળખ બની રહે તે હેતુથી કરવામાં આવતું હતું.

અડાલજની વાવનો ઈતિહાસ

અડાલજ ગામની સીમમાં ઇ.સ. ૧૪૯૯ના વર્ષમાં વીરસંગ વાધેલાની પત્ની રાણી રૂડીબાઈ માટે રાજા મહમદ બેગડાએ વાવનું નિર્માણ કરાવ્યું હતું. તેથી આ વાવ અડાલજની વાવ અથવા રૂડીબાઈની વાવના નામથી પ્રચલિત થઇ. આ વાવનાં નિર્માણમાં તે સમયના અંદાજે ૫ લાખ રુપિયાનો ખર્ચ થયો હતો. આ વાવના સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાના દીકરા મારન હતા.

ડો.અનિતા લોકસાહિત્ય પર આધારિત સિધ્ધાંત માટે કોપીરાઈટ મેળવનાર દેશના પ્રથમ નાગરિક બન્યા

'આપણા સાહિત્યમાં એટલી લોકકથાઓ છે કે જેને આર્કિઓલોજી, જીઓલોજી કે ઈતિહાસ સાથે સંલગ્ન કરીને અભ્યાસ કરીએ તો નવી શોધ થઈ શકે છે. પરંતુ અફસોસની વાત એ છે આ વિષયમાં ઊંડાણ પૂર્વક રિસર્ચ જ ઓછું થઈ ગયું છે.અને આ દિશામાં રિસર્ચ કરીને કોપીરાઈટ મેળવનાર હું પ્રથમ નાગરિક બની છું.'એમ, પ્રો.ડો.અનિતા શુક્લાનું કહેવું છે.
એમ.એસ.યુનિ.ના હિન્દી વિભાગમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.અનિતાએ મે ૨૦૧૭થી આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેઓ છત્તીસગઢના અડભાર ગામની વતની છે.અને જ્યારે પણ તેઓ ત્યાં જતા ત્યારે 'છમાસી રાત કી ઘટના' આ લોકકથા ખૂબ સાંભળતા હતા. લોકકથાના મૂળ શોધવા માટે જીઓલોજીની થીયરી સાથે જોડાઈને સંશોધન કર્યું હતું.ત્યારે ધ્યાનમાં આવ્યું કે, જ્યારે પૃથ્વી એક મહાદ્વીપ હતી ત્યારે લાખો વર્ષ પહેલા પણ માનવ જીવન અસ્તિત્વમાં હતું. લોકકથાને આધારે છમાસી રાત ધુ્રવિય ક્ષેત્રમાં થતી હતી એટલે છત્તીસગઢ ધ્રુવિય ક્ષેત્રની પાસે હતું અથવા લોકોની અવર-જવર અહીં રહેતી હતી.છમાસી રાતનો ઉલ્લેખ ફક્ત લોકકથામાં જ નહીં પરંતુ વ્રજ ભાષામાં લખાયેલા લોકગીતમાં પણ થયો છે. પૃથ્વી જ્યારે પૂર્ણ રુપમાંથી ટૂકડા સ્વરુપમાં બદલતી હશે ત્યારે મનુષ્યે પણ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કર્યું હશે કારણકે ત્યારે બનેલી છમાસી ઘટના આજે પણ લોકકથાના સ્વરુપે લોકો સાંભળી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું, લોક સાહિત્ય જ્ઞાન-વિજ્ઞાનનો ભંડાર છે. જેમાં સદીઓ પહેલાનો સાંસ્કૃતિક વારસો સમાયેલો છે. તેમાં ઘણા તથ્યો પણ સચવાયેલા છે. તેને  ઈતિહાસ વિષયના સહારાથી સમજી શકાય તેમ છે.ઉલ્લેખનીય છે કે ડો.અનિતા શુક્લાએ આ રિસર્ચ પેપર જુલાઈ મહિનામાં ઈન્ડોનેશિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ 'લેંગ્વેજ લીટરેચર એન્ડ સોસાયટી'માં પોતાનું પેપર ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કર્યું હતું.
- છમાસી ઘટના શું છે?
છત્તીસગઢના અડભાર ગામની લોકકથા પ્રમાણે છમાસી એટલે છ મહિના રાત અને છ મહિના દિવસ.જ્યારે શિવ ભગવાનની બારાત દેવી-દેવતાઓ સાથે છ મહિનાના અંધકારમાંથી જઈ રહી હતી ત્યારે તમામને સૂચના આપવામાં આવી હતી કે જ્યાં સવાર થાય ત્યાં રોકાઈ જવાનું.અને જ્યારે તેઓ અડભાર ગામમાં પહોંચ્યા ત્યારે સવાર પડી ગઈ એટલે આ તમામ બારાતીઓ પથ્થર રુપે ત્યાં સ્થિર થઈ ગયા હતા. આજે પણ અડભારની ગલીઓમાં પથ્થરની મૂર્તિઓ જોવા મળે છે.
- સૂરજે જ્યારે આંખ બંધ કરી ત્યારે રાત થઈ!
વ્રજ ભાષામાં લખાયેલ ગીત 'ઝમકી અટરિયન ચઢી ગયી સૂરજ' વિશે વાત કરતા ડો.અનિતાએ કહ્યું કે, સૂર્ય દેવતા ઘણા વ્યસ્ત રહેતા હતા તેમના ઘરમાં તેમની માતા અને પત્નિ રહેતી હતી.તેઓ છ-છ મહિના સુધી ઘરે આવતા ન હતા. એક દિવસ તેઓ વેશ પલ્ટો કરીને પોતાના ઘરે પહોંચ્યા ત્યારે પત્નિ તેમને ઓળખી ગઈ. સૂર્ય દેવતાની આગતા-સ્વાગતા કરી, જમવાનું આપ્યુ અને જ્યારે સૂર્ય દેવ પલંગ પર આરામ કરવા ગયા ત્યારે ધીમે-ધીમે તેમની આંખ બંધ થતી ગઈ અને ત્યારથી છ મહિના રાતની શરુઆત થઈ.
દરિયાથી 4 km અંદર આવેલો ઘોઘાનો પીરમ બેટ અનેક પુરાતન અવશેષોનો સાક્ષી

ભાવનગર જિલ્લાનો એક માત્ર અને પુરાતન અવેશેષોની સાથે ઐતિહાસિક લડાઈનો સાક્ષી રહેલો પીરમ ટાપુ ઘોઘાના દરિયાથી 4 km અંદર આવેલો છે. ઘોઘાથી 6 km ના અંતરે ખંભાતના અખાતમાં આવેલું પીરમબેટ પ્રવાસીઓ માટે ઉત્તમ સ્થાન છે.

પીરમબેટની માલિકી સ્વ.સિધ્ધરાજસિંહ રાઓલની છે. પીરમબેટ સુધી પહોંચવા માટે પાણીની ભરતી-ઓટના ચોક્કસ સમયે મશીનવાળી હોડી મારફત એકાદ કલાકની મુસાફરી કરી પહોંચવું પડે છે. આ ટાપુ પર જૂની મૂર્તિઓ અને નાશ પામેલી પ્રજાતિના અવશેષો મળ્યાના પણ પુરાવા છે.
 
ભાવનગર રાજ્યના રાજવીઓના પૂર્વજો પૈકીના વીર મોખડાજી ગોહિલે પીરમબેટને પોતાની રાજધાની બનાવી મોગલ સલનત સાથે લડાઈ પણ કરી હતી. અંગ્રેજોએ વહાણવટા પર નજર રાખવા 24 મીટર ઉંચી દીવાડાંડી બનાવી હતી. આ ટાપુ પર માનવ વસાહત એકપણ નથી. 50થી વધુ પ્રકારના જળચર સહિતના પક્ષીઓ વસવાટ કરતા હોવાનો અંદાજ છે.


વેળાવદરમાં ઘાસના સપાટ મેદાનો પર કાળિયારને દોડતા-કૂદતા જોવા એક લાહવો

- કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની વર્ષે 616 વિદેશી સહિત 11,390 પ્રવાસીઓએ મૂલાકાત લીધી
 
ભાવનગર જિલ્લાના વેળાવદર સ્થિત કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યમાં ઘાસના સપાટ મેદાનો પર દોડતા-કૂદતા કાળિયારોને જોવા તે દરેક વ્યક્તિ માટે એક લાહવો છે. આજે વિશ્વ પ્રવાસન દિવસ છે, ત્યારે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરવી ઘટે ! અહીં વિતેલા એક વર્ષમાં 10,774 ભારતીય અને 616 વિદેશી સહિત 11,390 પ્રવાસીઓએ મૂલાકાત લીધી હતી. જેમાં ફોરેસ્ટને રૂ. 26,55,753ની આવક થઈ હતી.

કાળિયારના મોટા ટોળાનો એક સાથે શિકાર કરવા કેટલીક શિકારી ટોળકીઓ સક્રિય બની હતી. જેથી કાળિયારને શિકારીઓથી બચાવવા 1969માં અભ્યારણ્યની સ્થાપના થઈ હતી. 1976માં આ સમગ્ર વિસ્તારની 1800 હેક્ટર જમીનને આવરી લઈ કાળિયારો માટે અહીં રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપવામાં આવ્યુ હતુ. કાળિયાર હરણ તેના દેહસૌષ્ઠવ, છલાંગોવાળી ગતિ, સુંદર શિંગડા અને આકર્ષક દેખાવના કારણે વિશ્વના સુંદર તૃણભક્ષી પ્રાણીઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

કૃષ્ણમૃગના નામથી ઓળખાતા કાળિયાર એક મૃગ પરિવારનું સુંદર પ્રાણી છે. જેની બરોબરી દુનિયાની બીજી કોઈ મૃગજાત ભાગ્યે જ કરી શકશે. આ કાળિયાર જાત ભારતીય છે. જે ભારત બહારની અન્ય કોઈ વન્ય સૃષ્ટિમાં જોવા મળતી નથી. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયારો માટે આદર્શ વ્યવસ્થા કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લાની મૂલાકાતે આવતા કોઈ પણ વિદેશી કાળિયારને જોવાની તક ચૂકતા નથી. ચોમાસા દરમિયાન હાલ અભ્યારણ્ય બંધ છે. પરંતુ ગત વર્ષ દરમિયાન 616 વિદેશીઓએ કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યની મૂલાકાત લીધી હતી. સાથો સાથ 10,774 ભારતીય પ્રવાસીઓ પણ કાળિયાર અભ્યારણ્યના મહેમાન બન્યા હતા. 

આજે વિશ્વ પ્રવાસન દિને આ સ્થળની માત્ર ભાવનગર જ નહીં દેશભરમાં શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે નોંધ લેવાઈ છે.

બુધવાર, 26 સપ્ટેમ્બર, 2018

વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનૂ ખેલરત્ન પુરસ્કારથી સમ્માનિત


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશ્વ ચેમ્પિયન વેઇટલિફ્ટર મીરાંબાઇ ચાનૂ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારથી સમ્માનિત કર્યા. આ સિવાય 20 વર્ષિય જેવલિન થ્રોઅર એથલિટ નીરજ ચોપડા સહિતના અન્ય 20 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સમ્માનિત કર્યાં છે.
Image result for meera bai chanu and virat kohli gold medal
મીરાંબાઇ ચાનૂ

રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં આ સમારોહનુ આયોજન કરવામાં આવ્યું છે. સચિન અને ધોની બાદ કોહલી ખેલરત્ન એવોર્ડ મેળવનાર ત્રીજા ક્રિકેટર બન્યા છે. આ અગાઉ 2013માં અર્જુન એવોર્ડ મેળવનારા કોહલીને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો છે.

તેમજ ચાનૂની ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીતવા માટે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પસંદગી થઇ છે. તેમણે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પરંતુ ઇજાને કારણે એશિયન ગેમ્સમાં ભાગ લઇ શકી નહોતી.


મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2018


લોન્ચ થયાના 24 કલાકમાં જ 1000 લોકોએ આયુષ્માન ભારત સ્કીમનો લાભ લીધો
પીએમ મોદીએ આયુષ્માન ભારત યોજનાને લોન્ચ કર્યાના 24 કલાકમાં 1000 લોકોએ તેનો લાભ લીધો હોવાનો દાવો સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે.
આયુષ્માન ભારત યોજનાને સરકાર દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ તરીકે પ્રોજેક્ટ કરી રહી છે.23 સપ્ટેમ્બરે તેનુ પીએમ મોદીએ ઝારખંડમાં લોન્ચિંગ કર્યુ હતુ.
આ યોજનાના ભાગરુપે 10 કરોડ ગરીબ પરિવારોને પાંચ લાખ રુપિયા સુધીની તબીબી સારવાર મળવાની છે. જેનુ પ્રીમીયમ સરકાર ભરશે. આમ ગરીબો માટે પણ હવે ખાનગી હોસ્પિટલોમાં સારવાર શક્ય બની છે.
બીજી તરફ આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યુ છે કે લોન્ચ થયાના 24 કલાકમાં 1000 લોકો આ યોજનાનો લાભ લઈ ચુક્યા છે.
આ યોજનાનો લાભ કોન મળશે તે જાણવા માટે mera.pmjay.gov.in વેબસાઈટ પર જઈને જાણકારી મેળવી શકાય છે. આ યોજનાની વધારે જાણકારી 14555 ફોન નંબર પર ઉપલબ્ધ છે.

સોમવાર, 24 સપ્ટેમ્બર, 2018


સિક્કિમના પ્રથમ એરપોર્ટ પાક્યોંગની ખાસિયતો





વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પાક્યોંગમાં બનેલા સિક્કિમના પ્રથમ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યુ. વર્ષ 2009માં આ ગ્રીનફીલ્ડ એરપોર્ટનો પાયો નાંખવામાં આવ્યો હતો. જેના લગભગ 9 વર્ષ બાદ સિક્કિમનું આ સપનુ પૂરુ થયુ. આ એરપોર્ટ ગંગટોકથી લગભગ 33 કિલોમીટરના અંતરે છે. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિક્કિમ પ્રવાસ દરમિયાન અધિકારીઓએ જણાવ્યુ કે વડાપ્રધાન એરપોર્ટનું ઉદ્ધાટન કર્યા બાદ પાક્યોંગમાં સેન્ટ જેવિયર્સ સ્કુલમાં બાળકોને સંબોધિત પણ કરશે.

 

આ છે એરપોર્ટની ખાસ વાતો

- આ સિક્કિમનું પહેલુ અને ભારતનું 100મું એરપોર્ટ છે.

- પાક્યોંગ એરપોર્ટ સમુદ્ર તળથી 4,500 ફૂટની ઉંચાઈ પર બનેલુ છે

- આ એરપોર્ટને વર્ષ 2008માં મંજૂરી મળી હતી

- આ એરપોર્ટ 206 એકરમાં ફેલાયેલુ છે. જેમાં જિયોટેક્નિકલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

- અહીંની માટીમાં એરપોર્ટની જરૂરિયાતોના હિસાબમાં પરિવર્તન કરવામાં આવ્યુ છે

- Airports Authority Of Indiaના અધિકારીના જણાવ્યા અનુસાર પાકયોંગ એરપોર્ટનું નિર્માણ લગભગ 600 કરોડ રૂપિયામાં થયુ છે.

- આ એરપોર્ટ ભારત-ચીન સરહદથી લગભગ 60 કિલોમીટરના અંતરે આવેલુ છે.

- ગંગટોકથી આ એરપોર્ટનું અંતર 33 કિલોમીટર છે