મંગળવાર, 12 માર્ચ, 2019

મીઠા સત્યાગ્રહ કૂચ સાબરમતીથી નડિયાદના લસુંદ્રાને બદલે દાંડી સુધી લંબાવાઇ હતી

- ઐતિહાસિક દાંડીકૂચને 89 વર્ષ

- પહેલા લસુંદ્રામાં મીઠુ પકવવાનું આયોજન હતુઃ કૂચ લંબાવવામાં સુરતના ક્લ્યાણજીભાઇ મહેતા અને મહાદેવભાઇ દેસાઇની મહત્વની ભૂમિકા હતી

અમદાવાદ સાબરમતી આશ્રમથી સુરત નજીક નવસારીના દાંડી સુધી ઐતિહાસિક દાંડીકૂચને ૮૯ વર્ષ થયા છે. સત્યાગ્રહમાં લોકજાગૃતિ લાવી રાષ્ટ્રવાદની ભાવના કેળવવા મીઠા સત્યાગ્રહ થયો હતો. મીઠા સત્યાગ્રહનો કાર્યક્રમ પહેલા નડીયાદ પાસેના લસુંદ્રા નજીક દરિયાના પાણીને ઉકાળીને ત્યાં જ મીઠાના કાયદાનો ભંગ કરવાનો હતો. પણ કલ્યાણજીભાઇ મહેતા અને મહાદેવભાઇ દેસાઇની મહત્વની ભૂમિકાથી આ કૂચ દાંડી સુધી લંબાવાઇ હતી. ઇતિહાસ વિષયના પ્રાધ્યાપક અને સંશોધક ડો.પીયૂષ એસ.અંજીરીયાએ સવિનય કાનૂન ભંગ અંગેની કેટલીક અજાણી વાતો પણ શોધી છે.
પંડિત જવાહલાલ નહેરુના પ્રમુખપદે ૩૧ ડિસેમ્બર, ૧૯૨૯ના રોજ લાહોરમાં રાવિના કિનારે કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. જેમાં સંપુર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિના ધ્યેયની જાહેરાત કરતો ઠરાવ પસાર કરાયો હતો. આ અધિવેશનને ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના દિવસને સ્વાધીનતા દિન તરીકે જાહેર કર્યો હતો. અને સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે 'સવિનય કાનૂન ભંગ'ની લડત શરૂ કરવાની સત્તા આપતો ઠરાવ પણ કરાયો હતો. ૪ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ ગાંધીજીએ વાઇસરોયને જાણ કરતો એક ઐતિહાસિક પત્ર રેજિનાલ્ડ રેનોલ્ડ્ઝ મારફતે લખી મોકલ્યો હતો. જેમાં ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરશે અને મીઠા કાયદાનો ભંગ કરવાના પોતાના ઇરાદાની જાણ કરી હતી.
મીઠા સત્યાગ્રહનો કાર્યક્રમ પહેલા અમદાવાદના સાબરમતી આશ્રમથી લઇને નડિયાદ પાસેના લસુંદ્રા પાસે દરિયાના પાણીને ઉકાળીને ત્યાં જ મીઠાના કાયદાનો ભંગ કરવાનો હતો. પણ કલ્યાણજીભાઇ મહેતા અને મહાદેવભાઇ દેસાઇની મહત્વની ભૂમિકાથી આ કૂચ છેક નવસાીર સુધી લંબાવવામાં આવી હતી. સુરતના કલ્યાણજીભાઇ મહેતાએ દાંડીકૂચની મહત્તાની જાણ મહાદેવભાઇ દેસાઇને કરતા તેઓ સાથે સરદાર વલ્લભભાઇ પટેલ સાથે મળીને ગાંધીજીને આ કૂચ લંબાવવા જણાવ્યું હતું. 
અમદાવાદથી નવસારી નજીક દાંડી વચ્ચેનું અંતર આશરે ૩૦૦ કિલોમીટર જેટલું છે. અમદાવાદના સાબરમતી આશ્રમથી અસલાલી, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, ભરુચ, સુરત, નવસારી વગેરે ગામોને આવરી લેવાયા હતા. 
દાંડીકૂચમાં ગાંધીજી સાથે અન્ય ૮૦ સ્વાતંત્ર્યસેનાઓ જોડાયેલા:અન્ય લોકોને ગામકક્ષાએ કામ કરવા જણાવાયું હતું
બુધવાર ૧૨ માર્ચ, ૧૯૩૦ની વહેલી સવારે ગાંધીજીએ તેમના ૭૮ સાથી સાથે સાબરમતી આશ્રમથી બુધવારે સવારે ૬ઃ૩૨ કલાકે સ્વાતંત્ર્ય ધર્મયુધ્ધ અંગની વ્રજયાત્રા શરૂ  કરી. ગાંધીજીની ટુકડીમાં ૭૮ બહાદુર લડવૈયાઓ જોડાયા હતા. સાબરમતી આશ્રમથી શરૂ થયેલીકૂચ તા.૧૪મી માર્ચે માતર આવી પહોંચી હતી.ત્યારે અહીથી કાકાસાહેબ કાલેલકરનો પુત્ર સતીષ અને ડી.એ.વી. કૉેલજ, દહેરાદુનના વિદ્યાર્થી ખડગ બહાદુરસિંહ કૂચમાં સામેલ થતા કૂચ કરનારાઓ સંખ્યા ગાંધીજી સહિત ૮૧ થઇ હતી. મીઠાનો વેરો પ્રજાના તમામ વર્ગોને શ્રીમંત-ગરીબ એકસરખો સ્પર્શતો હોવાથી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કૂચમાં ગાંધીજીએ નિયત કરેલા લોકો સિવાય અન્યોને ગામોમાં જ કાર્યક્રમ કરવા માટે જણાવાયું હતું. 


રાષ્ટ્રપતિએ પ્રદાન કર્યા પદ્મ પુરસ્કારો, ગુજરાતની 3 વ્યક્તિઓને પદ્મશ્રીથી નવાજાયાં

o 


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આ વર્ષના પદ્મ પુરસ્કાર અર્પણ કર્યા હતા. કુલ 112 વ્યક્તિઓ પૈકી 56 વ્યક્તિઓનું આજે સન્માન થયું હતું. ગુજરાતના મુક્તાબેન પંકજકુમાર ડગલી જેઓ દિવ્યાંગ કલ્યાણ સામાજિક કાર્યકર છે તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
જ્યારે વલ્લભભાઈ વશરામભાઈ માલવણીયાને કૃષિ ક્ષેત્રે અનન્ય સેવા કરવા બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. સાથે જ ખ્યાતનામ આર્કીટેકટ બિમલ પટેલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
આ વર્ષે ગણતંત્ર દિનના રોજ કુલ 112 નામોની જાહેરાત કરી હતી. પુરસ્કાર વિજેતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 56 નામો સામેલ થયા હતા, જેમને આજે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. અન્ય 56 પુરસ્કારો માટે બીજો સમારોહ 16મી માર્ચના રોજ યોજાશે. 
આરબીઆઇ વિશ્વમાં સૌથી વધુ સોનું ધરાવનારાઓની યાદીમાં 

 

-     મધ્યસ્થ બેંકો ડોલર મજબૂત થવાના કારણે સોનાનું હોલ્ડિંગ વધારી રહી છે

-     હાલમાં આરબીઆઇ ૬૦૭ ટન સોનાની સાથે વિશ્વમાં અગિયારમા ક્રમે જ્યારે ૬૧૨.૫ ટન સાથે નેધરલેન્ડ દસમાં ક્રમે


રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરીમાં પોતાના અનામતમાં ૬.૫ ટન સોનાનો વધારો કરતા  તેની પાસે સોનાનો કુલ અનામત જથ્થો વધીને ૬૦૭ ટન થઇ ગયું છે. આ સાથે જ આરબીઆઇ વિશ્વમાં સૌથી વધુ સોનું ધરાવનારાઓની યાદીમાં નેધરલેન્ડને પાછળ છોડી દસમાં ક્રમે આવવાની તૈયારીમાં છે. 
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર ભારત પાસે વૈશ્વિક સોનાના કુલ જથ્થા પૈકી ૬.૨ ટકા હિસ્સો છે. 

DRDOએ તૈયાર કરેલી ખાસ પ્રકારની દવા જવાનો માટે વરદાનરૂપ બનશે

 

- પુલવામા હુમલા પછી DRDOની ટીમને મહત્ત્વની સફળતા

- દુર્ગમ વિસ્તારમાંથી ઘાયલ જવાનને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સમય લાગશે તો પણ નવી દવા તેનો જીવ બચાવશે : DRDO

 
 DRDOએ એક મહત્વપૂર્ણ સંશોધન કરવામાં સફળતા મેળવી છે. કોમ્બેટ કેઝ્યુઆલિટી ડ્રગ્સ નામની નવી દવા ઘાયલ જવાનો માટે વરદાનરૃપ બનશે. આ દવા ઘામાંથી લોહી નીકળતું અટકાવશે એટલે હોસ્પિટલમાં પહોંચતા વાર લાગશે તો પણ ઘાયલ સૈનિકોનો જીવ બચાવી શકાશે.
ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની લેબોરેટરીમાં એક ક્રાંતિકારી શોધ થઈ છે. કોમ્બેટ કેઝ્યુઆલિટી ડ્રગ્સ નામની આ દવાથી પુલવામા જેવા હુમલા વખતે ઘાયલ જવાનોને નવજીવન આપી શકાશે. ઘાયલ જવાનોના શરીરમાંથી લોહીનો પ્રવાહ વહી જતો હોવાથી દુર્ગમ વિસ્તારમાંથી હોસ્પિટલ સુધી પહોંચતા સુધીમાં જ સ્થિતિ ગંભીર થઈ જતી હોય છે.
તે કારણે સૈનિકનો જીવ બચાવી શકાતો નથી, પરંતુ  DRDOના દાવા પ્રમાણે આ દવાથી ઘાયલ સૈનિકોના શરીરમાંથી નીકળતું લોહી અટકાવી શકાશે અને તે કારણે હોસ્પિટલે પહોંચવામાં સમય લાગશે તો પણ તેનું જીવનું જોખમ ઘટાડી શકાશે. આ શોધ ઊંચાઈવાળા સ્થળોએ ફરજ બજાવતી વખતે ઘાયલ થયેલા સૈનિકોને, પુલવામા જેવાં આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા સૈનિકોને કે પછી નક્સલીઓ સામે જંગે ચડેલા જવાનોને દુર્ગમ જંગલમાંથી હોસ્પિટલમાં પહોંચાડતી વખતે મદદરૃપ બનશે.
ઘાયલ જવાનો રીઝતા ઘાના કારણે ગણતરીની કલાકોમાં જીવ ખોઈ દે છે. પરંતુ આ દવાથી મેડિકલની પરિભાષામાં જેને ગોલ્ડન કલાકો કહેવાય છે એમાં વધારો કરી શકાશે. મતલબ કે ઘાયલ સૈનિકોનો નાજુક સમય વધારશે અને ત્યાં સુધીમાં તેમને હોસ્પિટલોના નિષ્ણાત ડોક્ટરોની મદદ મળી જશે.
રીસર્ચ લેબોરેટરીના સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે આ દવાનો ફર્સ્ટ એડમાં સમાવેશ કરાશે અને લશ્કરી છાવણીઓ સુધી પહોંચાડાશે. ડીફેન્સ સેક્ટર માટે તાત્કાલિક આ દવાનું ઉત્પાદન થશે. અત્યારે ઘાયલ સૈનિકોમાંથી ૯૦ ટકા સૈનિકો થોડી કલાકોમાં જ દમ તોડી દે છે, પરંતુ લેબોરેટરીના સંશોધકોના દાવા પ્રમાણે આ દવા ફર્સ્ટ એડમાં સામેલ થશે પછી કેઝ્આલિટીને ૭૦ ટકા સુધી ઘટાડી શકાશે.


જીબી બોક્સિંગ : હુસામુદ્દીનને હરાવી કવિંદરસિંહ બિષ્ટે ગોલ્ડ મેડલ જીત્યો


૩૮મી જીબી બોક્સિંગ ટૂર્નામેન્ટમાં કવિંદરસિંહ બિષ્ટે ૫૬ કિગ્રા વજન વર્ગમાં ભારતના જ હુસામુદ્દીનને પરાજય આપી ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે શિવા થાપા સહિત અન્ય ત્રણ ભારતીય બોક્સર્સે સિલ્વર મેડલ જીત્યા હતા.

ભારતીયો વચ્ચે ૫૬ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં બિષ્ટ અને હુસામુદ્દીન ટકરાયા હતા. બંને બોક્સર આર્મી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ (ASCB)ના છે અને બંને એક બીજાની ટેક્નિકથી વાકેફ હતા પરંતુ બિષ્ટે આંખ પર કટ લાગવા છતાં જીત મેળવવામાં સફળ રહ્યો હતો. ફ્લાઇવેટ વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનાર બિષ્ટનું આ બેંથમવેટમાં આવ્યા બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ હતો. હુસામુદ્દીનનો પરાજય થતાં તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.

૬૦ કિગ્રા વજન વર્ગમાં શિવા થાપાને સ્થાનિક દાવેદાર અર્સલાન ખાતેવે ૪-૧થી હાર આપી હતી. ગોવિંદ સાહનીએ થાઇલેન્ડના થિતિસાન પનમોદ સામે મજબૂત શરૂઆત કરતાં પ્રથમ રાઉન્ડ જીત્યો હતો પરંતુ તે પછીના બે રાઉન્ડમાં પનમોદને જજ તરફથી પોઇન્ટ મળતાં તેણે આ મુકાબલો ૩-૨થી જીતી લીધો હતો.

૬૯ કિગ્રા વજન વર્ગમાં દિનેશ ડાગરને સેમિફાઇનલમાં આંખમાં ઈજા થઈ હતી જેને કારણે તેની આંખ પર સોજો હતો. ડાગર સામે ફાઇનલમાં ઇંગ્લેન્ડના પેટમેકોરમેકે આક્રમક રમત દર્શાવી હતી જેને કારણે ત્રીજા રાઉન્ડમાં રેફરીએ કાઉન્ટ કરતાં કેટલીક સેકન્ડ પહેલાં જ તેના પક્ષમાં પરિણામ આપી દીધું હતું.
૯૧ કિગ્રામાં સુમિત સાંગવાન, ૫૨ કિગ્રામાં સચિન સિવાચ અને ૯૧+ કિગ્રા વજન વર્ગમાં નવીનકુમારનો સેમિફાઇનલમાં પરાજય થયો હોવાથી બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.


રાષ્ટ્રપતિએ 47 પ્રેરણાદાયી હસ્તિઓનું પદ્મ પુરસ્કારથી સન્માન કર્યું

- ભારત રત્ન બાદ પદ્મવિભૂષણ બીજા ક્રમનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર
- રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પુરસ્કારો એનાયત કરાયા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પસંદગી પામેલી ૧૧૨ પૈકીની ૪૭ પ્રેરણાદાયી હસ્તિનું પદ્મ પુરસ્કારથી સન્માન કર્યું. દેશના સર્વોચ્ય નાગરિક સન્માનમાં સમાવિષ્ટ પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં એનાયત કરવામાં આવે છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૪૭ પ્રેરણાદાયી હસ્તિઓનું પદ્મ પુરસ્કારથી સન્માન કર્યું હતું અને બાકીના ૬૫ લોકોનું સન્માન આગામી ૧૬મી માર્ચે યોજાનારા કાર્યક્રમમાં કરવામાં આવે તેવી શક્યતા છે.
કબડ્ડી ખેલાડી અજય ઠાકુર, આનંદન શિવમણિ, પહેલવાન બજરંગ પુણિયા, ગાયક અને સંગીત નિર્દેશક શંકર મહાદેવન, અભિનેતા પ્રભુ દેવા, ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ, ભારતીય ગ્રાન્ડ માસ્ટર હરિકા દ્રોણાવલ્લી અને પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરનું પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. 
અભિનેતા મોહનલાલ, અકાલી દળના નેતા સુખદેવસિંહ ઢીંડસા અને  બિહારના નેતા હુકુમ નારાયણ દેવને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયરનું મરણોપરાંત પદ્મભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું અને નૈયર તરફથી આ સન્માન તેમના પત્નીએ ગ્રહણ કર્યું હતું. આ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત અનેક મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકારે ૨૫મી જાન્યુઆરીએ પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કાર માટે નામની જાહેરાત કરી હતી. 
પદ્મવિભૂષણ એ ભારત રત્ન પછીના બીજા ક્રમનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર છે. 
લોક કલાકાર તીજન બાઈ, જિબુતીના રાષ્ટ્રપતિ ઈસ્માઈલ ઉમર ગુલેહ, લાર્સન એન્ડ ટુબ્રોના ચેરપર્સન અનિલકુમાર મણિભાઈ નાઈક તથા લેખક-થિએટર કલાકાર બલવંત મોરેશ્વર પુરંદરેનું પદ્મવિભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું. પદ્મ પુરસ્કાર માટે નામાંકિત થયેલી હસ્તિઓમાં ૨૧ મહિલાઓ, ૧૧ વિદેશી/અનિવાસી ભારતીયો/ભારતીય મૂળના લોકો /ભારતના ઓવરસીઝ નાગરિક તથા એક ટ્રાન્સજેન્ડર છે. વધુમાં ત્રણ પ્રેરણાદાયી હસ્તિનું મરણોપરાંત પદ્મ પુરસ્કારથી સન્માન થશે.

પ્રથમવાર ઈસરો ચંદ્રયાન-૨થી ચંદ્ર પર રોવર પ્રસ્થાપિત કરીને માહિતી મેળવશે

 

-     ઈસરોના ઈતિહાસથી લઈ આવનાર મિશન સુધીના તમામ પ્રોજેક્ટ રજૂ કરાયા

ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક જે.ડી.જોશીએ ઈસરોના ભવિષ્યના પ્રોજેક્ટ વિશે કહ્યું કે, ઈસરો ગગનયાન મિશન અને ચંદ્રયાન-૨ની તૈયારી કરી રહ્યું છે. ચંદ્રયાન-૨ને GSLV MK3 દ્વારા લગભગ એપ્રિલ ૨૦૧૯માં લોન્ચ કરવામાં આવશે. જેમાંથી એક રોવરને ચંદ્રની સપાટી પર પ્રસ્થાપિત કરવામાં આવશે, આ રોવરમાંથી એક રોબોટીક કાર નીકળશે જે ચંદ્રની આસપાસ ફરીને ચોક્કસ માહિતી આપશે. 
ઉલ્લેખનીય છે કે, પ્રથમવાર ભારત દ્વારા ચંદ્ર પર આ પ્રકારની કામગીરી થશે અને ચંદ્રયાન-૨માં કોઈ વ્યક્તિ નહીં ફક્ત સેટેલાઈટ જ જશે. ઉપરાંત સૂર્યના અભ્યાસ માટે આદિત્ય મિશન તેમજ પ્રથમ વખત નાસા અને ઈસરો મળીને NISAR મિશનની તૈયારી કરી રહ્યા છે. મહારાજા સયાજીરાવની જન્મજયંતિ નિમિતે એમ.એસ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટી દ્વારા એક દિવસીય સાયન્સ ફેરનું આયોજન કરેલું છે. જેમાં ૧૩ વિભાગના ૧,૦૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ૨૦૦ પ્રોજેક્ટ રજૂ કર્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી આયોજિત આ ફેરમાં પ્રથમવાર ઈસરોએ ભાગ લીધો છે. ઈસરો દ્વારા તેના ઈતિહાસથી લઈને આવનાર મિશન, વિવિધ રોકેટ, દૂરભાષી સેટેલાઈટ વગેરેના મોડલ મૂકવામાં આવ્યા છે. 
સાયન્સ ફેકલ્ટીના ડીન ડો.કટારીયાએ જણાવ્યું કે, શાળાના વિદ્યાર્થીઓને વધુ એક દિવસ સાયન્સ ફેર જોવાની તક મળે તે હેતુથી આજે તા.૧૨મીને મંગળવારે પણ ફેર ચાલુ રખાશે.
૫૦ વર્ષ પહેલા બળદગાડામાં સેટેલાઈટ લઈ જવાતા હતા
ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે ભારતનું પ્રથમ સાઉન્ડીંગ રોકેટ ૧૯૬૩માં ૨૧ નવેમ્બરની સાંજે સાયકલ પર સ્પેસ સેન્ટરથી લઈ જઈને કેરાલાના થુંબાથી ઈસરો દ્વારા લોન્ચ કરાયું હતું. તેમજ પ્રથમ કોમ્યુનિકેશન સેટેલાઈટ 'એપલ'ને ટેસ્ટિંગ માટે બળદગાડામાં ૧૯૮૧માં લઈ જવાયું હતું.
એક સમયે દુર્લભ ઘોરાડને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવાના હતા
સાયન્સ ફેરમાં ભાગ લેનાર ઝુઓલોજી વિભાગની વિદ્યાર્થિની મૃણાલ સોમણે ઘોરાડ પક્ષી પર પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું કે, એક સમયે ભારતમાં ઘોરાડની હજારોની સંખ્યામાં પ્રજાતિ હોવાથી મોરના સ્થાને તેને રાષ્ટ્રીય પક્ષી જાહેર કરવાના હતા. પરંતુ આજે સમગ્ર વિશ્વમાં ઘોરાડની ફક્ત ૨૦૦ જ પ્રજાતિ બચી છે. ગુજરાતમાં કચ્છના રણમાં બચેલું એક નર ઘોરાડ ૨૦૧૮માં મૃત્યુ પામ્યું હતું. ઘોરાડ પક્ષીનું નામશેષ થવાનું કારણ માદા ઘોરાડ વર્ષમાં ફક્ત એક જ ઈંડુ મૂકે છે, ઉપરાંત પવનચક્કીઓ તેમજ ઘોરાડ પક્ષીનું વજન વધુ હોવાથી તે ઉંચે ઉડી ન શકતા હોવાથી વીજળીના તાર સાથે અથડાતા મૃત્યુ પામે છે.
પ્લાસ્ટિક બેગમાંથી પેટ્રોલ બનાવી શકાશે
એન્વાર્યમેન્ટલ સાયન્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની જીનલ પટેલે જણાવ્યું કે, એક કિલો પ્લાસ્ટિક બેગને ૪૦૦ C. તાપમાને બાળવામાં આવે તો તેમાંથી એક કિલો તેલ નીકળે છે. ઉપરાંત તેમાંથી જે ગેસ નીકળે તેનો ઉપયોગ ઈલેક્ટ્રીસીટ ઉત્પન્ન કરવામાં થઈ શકે છે. જો આ તેલને પ્રોસેસ કરીને ચીકાસની માત્રા ઓછી કરીને પાતળુ બનાવી શકીએ તેમજ ફાયર પોઈન્ટ વધારી શકીએ તો પેટ્રોલના સ્થાને વાહનમાં આ તેલનો ઉપયોગ થઈ શકે છે. જે પેટ્રોલ કરતા ઓછુ મોંઘુ હશે.