મંગળવાર, 2 ઑક્ટોબર, 2018

ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવજન'ને ૧૨૪ દેશના કલાકારોએ સંગીત આપ્યું

 

ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવજન તો તેને રે કહીએ'ને વિશ્વના ૧૨૪ દેશના કલાકારોએ સંગીત આપીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીની ૧૪૯મી જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સેનિટેશન કોન્ફરન્સના સમાપન વખતે આ અનોખું ભજન રજૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ભજનની નવી સંગીતમય આવૃત્તિ લોન્ચ કરાવાઈ હતી.

વિદેશ મંત્રાલયે સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કેઆ પ્રસંગે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસવિદેશ મંત્રી સુષમા સ્વરાજવૉટર એન્ડ સેનિટેશન મંત્રી ઉમા ભારતી અને અન્ય મંત્રીઓ,અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વિદેશી પ્રતિનિધિમંડળ સહિત તમામ નેતાઓએ 'વૈષ્ણવજન'ની આ નવી આવૃત્તિના વખાણ કર્યા હતા.

ગાંધીજીના કારણે વિશ્વ વિખ્યાત થયેલું આ ગુજરાતી ભજન ૧૫મી સદીમાં કવિ નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવ્યું હતું. ગાંધીજીએ આશ્રમજીવનનની શરૃઆત કરી ત્યારે સવારની પ્રાર્થનામાં આ ભજનનો સમાવેશ કર્યો હતો. ભારતીય પ્રતિનિધિઓ દ્વારા વિદેશી સંગીતકારોને આ ભજનની માહિતી અપાઈ હતી. બાદમાં તેમણે સ્થાનિક સંગીતકારો સાથે તેને સંગીત આપ્યું હતું.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કેઆ ભજનને અંગોલાઆર્મેનિયાશ્રીલંકાસર્બિયાઈરાક અને આઈલેન્ડના અગ્રણી સંગીતકારોએ સંગીત આપ્યું હતું. આ દરમિયાન વિશ્વભરના કલાકારોની કલા ખીલી ઊઠી હતી. આ પ્રસંગના અમે પાંચેક મિનિટના બે વીડિયો પણ જાહેર કર્યા છે.


'મહાત્મા ગાંધી મ્યુઝિયમ'માં મળે છે 'મન'ને ચિરશાંતિ: વિનાશકારી વિચારોનું વિસર્જન


રાજકોટને આંગણે નિર્માણ પામેલુ વિશ્વકક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખરેખણ મનને ચિર શાંતિ અર્પે છે.અહી પગ મૂકતાની સાથે જ ખરાબ કે વિનાશકારી વિચારોનું વિસર્જન થઈ જાય છે.


આજે ગાંધીજયંતિના પાવન અવસરે 'અબતક' મહાત્મા ગાંધી મ્યુઝિયમની વિશેષ મુલાકાત લીધી હતી અને સહેલાણીઓ સાથે તેઓના અનુભવ વિશેની વાતો કરી હતી.

તાજેતરમાં જ ખૂલ્લુ મુકાયેલ મહાત્મા ગાંધી મ્યુઝીયમ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ગાંધીજીએ જે શાળામાં ૭ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો કે કાઠીયાવાડ હાઈસ્કુલ જે બાદમાં આલ્ફેડ નામથીક ચાલતી હતી ત્યાં મહાત્મા ગાંધી મ્યુઝીયમ બનાવાયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં જ આ મ્યુઝીયમનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતુ. ત્યારે લોકો પણ આ મ્યુઝીયમને જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા છે. કુલ ૪૦ રૂમ સાથેના આ ભવ્ય મ્યુઝીયમમાં ગાંધીજીના સંપૂર્ણ જીવન તથા તેમના વિચારોને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. આ સાથે લેશરશો પણ રાખવામાં આવ્યા છે.

મહાત્મા ગાંધીજીની આઝાદીની ચળવળો, તેમને ભોગવેલ કારાવાસ, દાંડીકૂચ, અંગ્રેજો સામેની તેમની અલગ અલગ ચળવળો તથા ગાંધીજીના આદર્શો જેવા કે સત્ય, અહિંસા, સર્વધર્મ સમાન નિડરતા, સ્વાવલંબી જેવા બધા જનો ખુબ સરસ રીતે સુત્રો સાથે સમાવેશ કરવામાં આવ્યો છે.

અલગ અલગ વિડિયો પ્રેઝનટેશન દ્વારા ગાંધીજીના જીવનના પ્રસંગોને દર્શાવવામાં આવ્યા છે. આ સાથે ગાંધીજીનો અમુક સ્પીચ પણ ઓડીઓ સ્વરૂપે રાખવામાં આવી છે. ગાંધી જયંતીના દિવસે મોટી સંખ્યામાં લોકોએ આ મ્યુઝીયમની મુલાકાત લીધી હતી.

ખાસ કરીને યુવા વર્ગ અને બાળકોને આ મ્યુઝીયમ ગાંધીજીના સિધ્ધાંતો વિશે ઘણુ જાણવા મળશે. આઝાદી માટે ગાંધીજીએ કરેલી ચળવળો વિશે પણ લોકો માહિતગાર થશે.


આ મ્યુઝીયમમાં ગાંધીજીના જીવનકાળ સાથે સાથે ગાંધીજી સાથે સંકળાયેલા લોકો તેમની માતા પૂતળીબાઈ, તેમના પિતા કરમચંદ ગાંધી તેમના પત્ની કસ્તુરબા વિશે પણ ખૂબજ સરસ માહિતી આપવામાં આવી છે.

દેશની આત્મા-મહાત્મા: બાપૂએ જ્યારે જે સંકલ્પ લીધો તેને દરેક પરિસ્થિતિમાં પૂરો કર્યો



ગાંધીજી મક્કમ મનના હતા. તેમણે જે પણ સંકલ્પ લીધો એમાં ક્યારેય પીછે હઠ કરી નહોતી. ગાંધીજી 1888માં સૂટમાં દેખાયા તો 33 વર્ષ બાદ 1921માં મદુરાઈમાં ધોતીમાં જોવા મળ્યા. આ દરમિયાન ગાંધીજીએ વસ્ત્રો દ્વારા સત્યાગ્રહ કર્યો. ગાંધીજીના જીવનના સૌથી મહત્વના પાંચ સંકલ્પ.
- 15 માર્ચ, 1917: જ્યારે જૂતાં નહીં પહેરવાનો સંકલ્પ લીધો
1917માં ગાંધીજી કાઠીયાવાડી પોશાકમાં ચંપારણ પહોંચ્યા હતા, જ્યાં મહિલાઓએ એમને કહ્યું હતું કે અંગ્રેજો તેમને ગળીની ખેતી કરવા બળજબરી કરી રહ્યા છે. તેમને અંગ્રેજોની મિડવાઇફ તરીકે કામ કરવાની ફરજ પડાય છે. અંગ્રેજ ફેક્ટરી માલિકી કથિત નીચલી કોમના લોકોને પગરખા પણ પહેરવા દેતા નથી. એ પછી બાપુએ જૂતા નહીં પહેરવાનો સંકલ્પ લીધો હતો.
- 8 નવેમ્બર, 1917: મહિલાની ફરિયાદ સાંભળીને કોટનો ત્યાગ
8 નવેમ્બર 1917ની વાત છે. ગાંધીજીની સલાહ બાદ કસ્તુરબાએ ચંપારણની મહિલાઓને સ્વચ્છતા વસ્ત્રો પહેરવાની સલાહ આપી. જવાબમાં એક મહિલાએ કહ્યું હતું કે, બા, મારી પાસે એક જ સાડી છે, જે પહેરી રાખી છે. તમે જ કહો એને કેવી રીતે સાફ રાખું. જવાબ સાંભળીને ગાંધીજીએ પોતાનો કોટ એ મહિલાને આપી દીધો અને પછી પોતે ક્યારેય કોટ પહેર્યો નહીં.
- કાઠિયાવાડી પાઘડીનો ત્યાગ કર્યો: કહ્યું, તેનાથી 4 શરીર ઢાંકી શકાય છે
1918માં બાપુ અમદાવાદમાં મજૂરોની હડતાળમાં સામેલ થયા હતા. ત્યાં એમણે જોયું કે તેમની પાઘડી માટે જેટલું કાપડ વપરાય છે તેનાથી 4 લોકો પોતાના શરીર ઢાંકી શકે છે. એ પછી તેમણે પાઘડીનો કાયમ માટે ત્યાગ કર્યો હતો. તેમણે કહ્યું કે જે દેશમાં લાખો લોકો પાસે પહેરવા વસ્ત્ર નથી ત્યારે પાઘડી વાસ્તવિકતાથી જુદું ચિત્ર રજૂ કરે છે.
- 31 ઓગસ્ટ 1920: જ્યારે ખાદીને અપનાવી
ખેડામાં ખેડૂતોના સત્યાગ્રહ દરમ્યાન ગાંધીજીએ આજીવન ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ દિવસોમાં વિદેશમાં કપાસ પહોંચાડવા માટે ખેડૂતોને કપાસની ખેતી કરવા મજબુર કરવામાં આવતા હતા. ગાંધીએ પ્રતિજ્ઞા લેતા જણાવ્યું કે, આજ પછી હું હંમેશા હાથે બનેલી ખાદીનો જ વસ્ત્ર તરીકે ઉપયોગ કરીશ.
- 21 સપ્ટેમ્બર 1921: મદુરાઈમાં ધોતી પહેરવાના શપથ લીધા
સપ્ટેમ્બર 1921માં મદુરાઈ જતી વખતે ગાંધીજી લોકોને ખાદી પહેરવાનો આગ્રહ કરતા. લોકો જવાબમાં કહેતા કે અમે એટલા ગરીબ છીએ એટલે ખાદી પહેરી શકીશું નહીં. ગાંધીજી ત્યારે બંડી, ટોપી અને ધોતીમાં હતા. બીજા દિવસે મદુરાઈમાં તેમણે નાની ધોતી ધારણ કરી, જેથી પોતાનો પોશાક સામાન્ય ભારતવાસીઓ જેવો રહે.