ગુરુવાર, 8 નવેમ્બર, 2018


વડાપ્રધાને સરહદે જવાનો સાથે દિવાળી ઉજવીઃ કેદારનાથના દર્શન કર્યા
Image result for narendra modi at kedarnath

- ઉત્તરાખંડમાં 7860 ફૂટની ઊંચાઇએ હર્ષિલમાં જવાનોને મળ્યા
- કેદારનાથ મંદિરમાં પૂજા કરી આસપાસના વિસ્તારના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી દિલ્હી પરત ફર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં હર્ષિલ ખાતે જવાનો સાથે દિવાળી ઉજવી કેદારનાથના દર્શને ગયા હતા. હેલિકોપ્ટરમાંથી ઉતરી લગભગ અર્ધો કિલોમીટર પદયાત્રા કરીને તેઓ કેદારનાથમાં મંદિરમાં પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી.

 
મંદિરની પ્રદક્ષિણા કરી તેમણે આસપાસ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની આ ત્રીજી કેદારનાથ યાત્રા હતી. તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ પણ હતા. કેદારનાથના દર્શન કરી વડાપ્રધાન દિલ્હી પરત ફર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઉત્તરાખંડના હર્ષિલ ખાતે ચીન સરહદ નજક તૈનાત જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા હતા. જવાનો સાથે દિવાળી ઉજવી તેમણે જવાનોને અભિનંદન આપ્યા હતા અને સંબોધન પણ કર્યું હતું. તેમણે અગાઉ જવાનો સાથે ઉજવેલી દિવાળીને યાદ કરી હતી. તેમણે જવાનો અને નિવૃત જવાનોના કલ્યાણ માટે લીધેલા પગલાંની માહિતી પણ આપી હતી. હર્ષિલ ૭૮૬૦ ફૂટની ઊંચાઇએ આવેલું કેન્ટોનમેન્ટ છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં ઉત્તરાખંડમાં આવેલા પ્રચંડ પૂરમાં કેદારનાથ મંદિરને ભારે નુકસાન થયું હતું. આ તબાહી બાદ કેદારનાથનું પુનઃ નિર્માણ થયું હતું. વડાપ્રધાને તે કામનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાનના સ્વાગત માટે કેદારનાથ મંદિરમાં સજાવટ કરાઇ હતી. મંદાકીની નદીને સમાંતર મંદિર સુધી બનેલા નવા રસ્તાનું વડાપ્રધાને નિરીક્ષણ કર્યું હતું.