મંગળવાર, 30 એપ્રિલ, 2019

બાવનથી આજ સુધી: કઈ ચૂંટણીમાં શું થયું?

 
આઝાદી પછી ૧૬ લોકસભા ચૂંટણી યોજાઈ છે. દરેક ચૂંટણી વખતે ભારતના ઈતિહાસને નવા વળાંક મળ્યા છે, રાજકારણના નવાં પ્રકરણો લખાયા છે. અહીં દરેક ચૂંટણીની નવીનતા રજૂ કરી છે
૧૯૫૨ પ્રથમ લોકસભા
 
કોંગ્રેસને ૩૬૪ બેઠક મળી હતી, જ્યારે બીજા નંબરે ૧૬ સિટ સાથે કમ્યુનિસ્ટ પાર્ટી હતી.
એ યુગ એવો હતો જ્યારે આજના જેવુ નીચલી કક્ષાનું તો ઠીક, સામાન્ય કક્ષાનું રાજકારણ પણ શરૂ થયુ ન હતું. આઝાદીના લડવૈયાઓએ જ પ્રજા માટે નેતા હતા અને તેમના પ્રત્યે ઊંચો આદર હતો. ત્યારે દેશમાં લોકસભાની ૪૮૯ બેઠકો જ હતી. કુલ મળીને ૫૩ પક્ષો ચૂંટણી લડના મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે રાજ્યો પણ આજના જેવા અને આજના જેટલા ન હતા. પણ વિંધ્ય પ્રદેશ, ત્રાવણકોર કોચીન, સૌરાષ્ટ્ર વગેરે રાજ્યોના નામ હતાં. પહેલી ચૂંટણીમાં ડૉ.આંબેડકર મુંબઈ બેઠક પરથી નારાયણ સાડોબા સામે હારી ગયા હતાં.
ત્યારે ઘણા નેતાઓ એવુ પણ માનતા હતાં કે ભારત જેવા વૈવિધ્યતા ધરાવતા દેશમાં લોકશાહી ન ચાલે. પ્રજાને કાબુમાં રાખવા સરમુખત્યાર શાહી જ જોઈએ, જે માન્યતા સમય જતાં ખોટી પડી. રસપ્રદ રીતે પહેલી ચૂંટણીએ ભારતના ૩ ભાવિ વડા પ્રધાન ચૂંટી કાઢ્યા હતાં, ગુલઝારી લાલ નંદા, મોરારજી દેસાઈ અને લાલ  બહાદુર શાસ્ત્રી. આજે ભારતની ચૂંટણી જગતની સૌથી મોટી ચૂંટણી ગણાય છે એમ ત્યારે પણ સૌથી મોટી ચૂંટણી હતી. એ વખતે દુનિયાએ ભારતની ચૂંટણી જેવડો લોકશાહી પ્રસંગ ક્યાંય જોયો ન હતો.
બીજી તરફ ત્યારે ભારતના ૭૦ ટકા મતદારો અભણ હતાં. માટે તેઓ ઉમેદવારના નામ કે પાર્ટીના નામને બદલે પક્ષના ચૂંટણી ચિહ્નને જ ઓળખતા હતાં. ચૂંટણી પંચે પણ એ પ્રમાણે જ વ્યવસ્થા કરી હતી. મહિલા અનામતની વાતો કર્યા વગર આખા દેશમાંથી ૨૪ મહિલા ઉમેદવારો ચૂંટાઈ આવી હતી. મણિબહેન પટેલ, પંડિત વિજયાલક્ષ્મી, સુચેતા કૃપલાની, રાજકુમારી અમૃતા કૌર વગેરે તેમાંના કેટલાક નામો છે.
૧૯૫૭ બીજી લોકસભા
કોંગ્રેસને ૩૭૧ બેઠક મળી હતી, જ્યારે બીજા નંબરે ૧૭ સિટ સાથે કમ્યુનિસ્ટ પાર્ટી હતી.
આઝાદીના દાયકા પછી બીજી લોકસભા ચૂંટણી યોજાઈ હતી. દેશ હજુ થાળે પડી રહ્યો હતો. એ વખતે આજના જેટલી સંપત્તિ ન હતી, માટે નવાં કારખાના સ્થપાય એ પ્રયાસો ચાલી રહ્યા હતા. પંચવર્ષિય યોજનાઓ શરૂ થઈ હતી. બીજી ચૂંટણીમાં ચાર જ રાષ્ટ્રીય પક્ષો હતાં, કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી, પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટી તથા ભારતીય જન સંઘ. 

ભારતના રાજ્યોની સંખ્યા ૧૭ હતી અને આજની જેમ સૌથી મહત્ત્વનું રાષ્ટ્ર ૫૮ બેઠક સાથે ઉત્તર પ્રદેશ હતું. ચૂંટણી લડવા કુલ ૧૫૧૯ ઉમેદવારો ઉભા હતા, જેમાંથી ૪૫ મહિલા હતી. પરિણામ આવ્યું ત્યારે ૨૨ મહિલા વિજેતા થઈ હતી. ચૂંટણીમાં ૧૫ પક્ષો તથા કેટલાક અપક્ષ ઉમેદવારો ઉભા હતાં. 

૩૩ ટકા ઉેમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી હતી. હિન્દુ હૃદય સમ્રાટ બનેલા યુવાન વાજપેયી પહેલી વાર ત્યારે જીત્યા હતા. ફિરોજ ગાંધી રાયબરેલીથી બીજી વખત ચૂંટાઈ આવ્યા હતાં. ત્યારે વળી એક નવી પ્રથા હતી. મોટા મત વિસ્તારોમાં એકથી વધારે બેઠકો હોય. પરિણામે ૪૯૪ બેઠકોના મત વિસ્તારો તો ૪૦૩ જ થતા હતા!
 
૧૯૬૨ ત્રીજી લોકસભા 
કોંગ્રેસને ૩૬૧ બેઠક મળી હતી, જ્યારે બીજા નંબરે ૨૯ સિટ સાથે કમ્યુનિસ્ટ પાર્ટી હતી.
ગુજરાત માટે આ પહેલી ચૂંટણી હતી કેમ કે ગુજરાત રાજ્ય તરીકે જન્મી ચૂક્યું હતુ. ગુજરાતમાં ૨૨ બેઠકો હતી. નામ આજ કરતાં જરા અલગ જેમ કે સાબરમતી, કૈરા (ખેડા), બુલસર (વલસાડ) જેવા નામો હતા. ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા ત્યારે સુરેન્દ્રનગરથી ચૂંટાયા હતા. એ રીતે ઢેબરભાઈ પટેલ, જશવંતરાય મહેતા, ફતેહસિંહ ગાયકવાડ, મોરારજી દેસાઈ.. વગેરે પણ વિજેતા થયા હતા. આગળ જતા વડા પ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠક પરથી ચૂંટાયા હતા.
ત્રીજી ચૂંટણી ૪૯૪ મતવિસ્તારોની ૪૯૪ બેઠકો માટે યોજાઈ હતી. એ ચૂંટણીથી એક મત વિસ્તારમાં એકથી વધારે બેઠક હોય એવી પ્રથા રદ થઈ હતી. દેશના રાજ્યોની સંખ્યા પણ વધીને ૧૮ થઈ હતી. સત્તા માટે મહત્ત્વના ગણાતા ઉત્તર પ્રદેશ અને બિહારની કુલ ૧૩૯ બેઠકોમાંથી ૧૦૧ બેઠકો કબજે કરી કોંગ્રેસે સપાટો બોલાવ્યો હતો. 

જવાહરલાલ નહેરુ માટે આ ફૂલપુરથી છેલ્લી ચૂંટણી હતી. ૧,૯૮૫ ઉમેદવારોએ ભાગ્ય અજમાવ્યુ હતું અને તેમાંથી ૪૩ ટકા કરતા વધારે ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી હતી. એ વખતે કોંગ્રેસના નહેરુ પ્રેરિત સમાજવાદથી કંટાળીને ચક્રવર્તિ રાજગોપાલાચારીએ કોંગ્રેસ છોડી દીધો હતો અને સ્વતંત્ર પાર્ટી નામે અલગ પક્ષ સ્થાપ્યો હતો. સ્વતંત્ર પાર્ટી દેશની પહેલી એવી પાર્ટી હતી જે બજાર કેન્દ્રિય અર્થતંત્રને પ્રાધાન્ય આપતી હતી. પણ મતદારોએ એમને ખાસ પ્રાધાન્ય આપ્યુ ન હતું. 
૧૯૬૭ ચોથી લોકસભા 
 
કોંગ્રેસને ૨૮૩ બેઠક મળી હતી, જ્યારે બીજા નંબરે ૨૩ સિટ સાથે કમ્યુનિસ્ટ પાર્ટી હતી.
એ વખતે કોંગ્રેસે બહુમતી હાંસલ કરી હતી પરંતુ છ રાજ્યોમાં તેનો સફાયો થયો હતો અને ૧૯૬૨ કરતાં બેઠકો પણ ૭૦ જેટલી ઓછી થઈ હતી. ઈન્દિરા તેના સ્વર્ગસ્થ પતિની બેઠક રાય-બરેલીથી સંસદમાં પહોંચ્યા હતાં. ૫૨૦ બેઠકો માટે બેઠક દીઠ ૪.૫૬ની સરેરાશ સાથે કુલ ૨,૩૬૯ ઉમેદવારો પ્રજાની અગ્નિ પરિક્ષામાં પાર ઉતરવા નીકળ્યા હતાં. જોકે તેમાંથી ૫૦ ટકા કરતા વધારે ઉમેદવારોની ડિપોઝિટ પણ ગઈ હતી. 

આ ગાળામાં જ ઈન્દિરાએ પોતાની આપખુદશાહી આરંભી હતી અને તેની સામે નારાજગી વધતી ગઈ હતી. એટલે પરિણામ આવ્યા ત્યારે રાજગોપાલાચારીની સ્વતંત્રતા પાર્ટીએ સપાટો બોલાવ્યો હતો અને કોંગ્રેસ પછી સૌથી વધુ બેઠકો હાંસલ કરી હતી. ૫૨૦ બેઠકો માટે ૭ રાષ્ટ્રીય અને ૧૮ રાજકીય કક્ષાના પક્ષોએ મેદાનમાં જુકાવ્યુ હતું. મતદારોની સંખ્યા વધીને ૨૫ કરોડ સુધી પહોંચી હતી અને ૫૦ ટકા કરતા વધારે મતદાન પણ થયુ હતું. 
૧૯૭૧ પાંચમી લોકસભા 
 
ભારત પર અવિરત શાસન કરતા કોંગ્રેસમાં ભાગલા પડયા હતા. ઈન્દિરાના શાસનથી તેના જ સાથીદારો ખુશ ન હતા માટે બે પક્ષ બન્યા, એક કોંગ્રેસ (ઈન્દિરા) અને બીજો ધ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન) તરીકે ઓળખાયો. એ વખતના નેતા કામરાજ અને પછી મોરારજી દેસાઈ આ નવતર કોંગ્રેસના મુખ્ય આગેવાનો હતા. 

ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા વધીને ૨૭  થઈ ગઈ હતી. તેમાં દાદરા અને નગર હવેલી એવો પ્રદેશ હતો જેના ભાગે એક પણ બેઠક ન હતી. કુલ ૫૩ પક્ષના ૨૭૮૪ ઉમેદવારો મેદાનમાં હતાં, જેમાંથી ૧૭૦૭ની ડિપોઝિટ ગઈ હતી. 
સ્વતંત્ર પાર્ટી  અને જન સંઘ માટે આ છેલ્લી ચૂંટણી હતી. એ પછી જન સંઘ ભારતીય જનતા પાર્ટીના નવા નામે નવો જન્મ લીધો હતો. એ વખતે જન સંઘે ૨૨ બેઠક મેળવી હતી. તો વળી સ્વતંત્ર પાર્ટી એ પછી ૧૯૭૪માં ચૌધરી ચરણસિંહના ભારતીય ક્રાંતિ દલમાં વિલિન થઈ ગઈ હતી. ત્યારે બેઠકની સંખ્યા ૫૧૮ હતી.
૧૯૭૭  છઠ્ઠી લોકસભા 
 
ભારતીય લોક દળ (જનતા પાર્ટી)ને ૨૯૫ બેઠક મળી હતી, બીજા નંબરે ૧૫૪ બેઠક સાથે કોંગ્રેસ (આઈ) પક્ષ રહ્યો હતો.
વડાંપ્રધાન રહી ચૂકેલા ઈન્દિરા ગાંધી એ વખતે ૫૫ હજારથી વધુ મતથી હારી ગયા હતા.  રાય બરેલીમાં ભારતીય લોક દળના ઉમેદવાર રાજ નારાયણ વિજેતા થયા હતા. ત્યારે ઈન્દિરા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ ઈન્દિરા એવા સુત્રો વહેતા થયા હતાં. એ બધા વચ્ચે પ્રજાએ નેતાઓને પોતાની ઔકાત બતાવી ઘરભેગા કરી દીધા હતાં. ઈન્દિરા ગાંધીની જોહુકમીના પરિણામે આઝાદી પછી પહેલી વખત કોંગ્રેસે બહુમત ખોવાનો વારો આવ્યો હતો. ભારતમાં પહેલી વખત બિન-કોંગ્રેસી સરકાર બની હતી.
૧૯૭૭માં ગુજરાતના નેતા મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા હતા. ચૂંટણીમાં વિવિધ ૩૪ જેટલાં પક્ષોએ લડત આપી હતી. અપક્ષ મળીને કુલ ૨૪૩૯ ઉમેદવારોએ લડત આપી હતી. દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા વધીને ૩૧ થઈ ગઈ હતી. નવા બનેલા સિક્કીમમાં કુલ ૧,૨૪,૦૨૩ મતદારો નોંધાયા હતા અને મતદાન માટે એક મતબૂથ હતું. પરંતુ એ રાજ્યમાંથી કોઈ કારણોસર એક પણ મત પડયો ન હતો!
૧૯૮૦  સાતમી લોકસભા 
 
થોડા સમય શાંત રહેલા ઈન્દિરા આ ચૂંટણીમાં પ્રચંડ લોકમત સાથે વિજેતા થયા હતા. રાય બરેલી ખાતેથી તેઓ વિજયા રાજે સિંધિયા સામે પોણા બે લાખ મતની તોતિંગ સરસાઈથી વિજેતા થયા હતાં. કોંગ્રેસનો વર્તમાન સિમ્બોલ પંઝો પહેલી વખત વપરાયો હતો. એ વખતે ઈન્દિરાની કેબિનેટમાં જ્ઞાાની ઝૈલ સિંહ અને નરસિંહમા રાવ સમાવાયા હતા જેઓ ભવિષ્યમાં અનુક્રમે દેશના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન થવાના હતા. 

૩૬ પક્ષ અને અપક્ષ મળીને કુલ ૪૬૨૯ ઉમેદવારો ઉભા રહ્યાં હતાં. રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ સંખ્યા ૩૧ હતી પરંતુ મિઝોરમ રાજ્ય હોવા છતાં તેના ફાળે એક પણ બેઠક ન હતી. એ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા-નગર હવેલી અને લક્ષદ્વિપ પણ બેઠકો વિહિન હતા. આસામની ૧૨ અને મેેઘાલયની એક બેઠક પરથી મતદાન થયુ જ ન હતું. 

કેમ કે ત્યાંના મતદારોએ ગેરકાયદેસર ઘૂસી આવતા ઘૂસણખોરો સામે વિરોધ નોંધાવવા નિષ્ક્રિય રહ્યાં હતાં. એ સમયે ઝારખંડ નામનું રાજ્ય તો સ્વાભાવિક રીતે જ નહોતુ પણ ઝારખંડ રાજ્યને અલગ પાડવાની ડિમાન્ડ ચાલુ હતી. ઝારખંડ પાર્ટી નામે એક રાજકીય પક્ષ પણ હતો અને તેમણે એક બેઠક મેળવી હતી. 
 
૧૯૮૪ આઠમી લોકસભા 
કોંગ્રેસને અભૂતપુર્વ કહી શકાય એટલી ૪૦૪ બેઠક મળી હતી, બીજા ક્રમે ૨૨ બેઠક સાથે સીપીએમ હતું. 
ઈન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી ચૂંટણીમાં મતદારો પર તેમનો પ્રભાવ જોવા મળ્યો હતો.  રાજીવ વડા પ્રધાન પદના ઉમેદવાર હતાં અને દેશની જનતાએ તેમના પર જ પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ૨૦૧૪ પહેલા એ છેલ્લી ચૂંટણી હતી જ્યારે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી.
કેન્દ્રમાં સત્તાધારી રહેલો પક્ષ ભાજપ નવો-સવો ચૂંટણી લડી રહ્યો હતો. ભાજપે આખા દેશમાં ૨૨૪ ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને એમાંથી ૧૦૮ની ડિપોઝિટ ગઈ હતી. પરંતુ ભાજપે ૨ સિટ જીતીને ખાતું ખોલાવ્યું હતુ. બે પૈકીની એક બેઠક મહેસાણાની હતી. વિપક્ષમાં રાષ્ટ્રીય પક્ષને બદલે ૩૦ સિટ સાથે  ટી.એન.રામરાવની તેલુગુ દેશમ પાર્ટી આવી હતી.
૧૯૮૯ નવમી લોકસભા 
કોંગ્રેસને ૧૯૭ બેઠક મળી હતી, જ્યારે જનતા દળને ૧૪૩ બેઠક મળી હતી.
આ ચૂંટણી વખતે ભાજપનું કદ બે બેઠકથી વધીને ૮૫ સુધી પહોંચ્યુ હતુ. એટલે કે નોંધપાત્ર પ્રગતી કરી હતી. બીજી તરફ રાજીવ ગાંધીની સરકારે ખાસ કંઈ ઉકાળ્યું ન હતુ, માટે તેમની બેઠકો ૪૦૪થી ઘટીને ૧૯૭ આવી ગઈ હતી. રાજીવ ગાંધી કેબિનેટમાં સંરક્ષણ અને અન્ય મંત્રાલયો સંભાળી ચુકેલા વિશ્વનાથ પ્રતાપ સિંહે ઘણા-બધા પક્ષોને એકઠા કરી જનતા દળ ઉભો કર્યો હતો. 

એ સમૂહ શક્તિને ૧૪૩ બેઠકો મળી હતી અને અન્ય સાથીદારોની મદદથી સરકાર પણ બની હતી. સામાન્ય રીતે વડા પ્રધાન બનવા ખેંચતાણ થતી હોય પરંતુ વી.પી.સિંહની ભલામણ છતાં હરિયાણાના દેવીલાલે ખુરશીનો ત્યાગ કર્યો હતો. ભવિષ્યમાં આઠમા વડા પ્રધાન બનવાની તૈયારી કરતા ચંદ્રશેખરે ટેકો પાછો ખેંચી લેતા બે વર્ષ ચાલેલી ખીચડી સરકાર પડી ભાંગી હતી. ત્યારે ચૂંટણીમાં મતદાનની ઊંમર ૨૧થી ઘડાટીને ૧૮ કરાઈ હતી. 
૧૯૯૧ દસમી લોકસભા 
ફરી વખત મેદાનમાં આવેલા કોંગ્રેસે ૨૩૨, જ્યારે મજબૂત બનેલા ભાજપે ૧૨૦ બેઠક હાંસલ કરી હતી
આ વખતે ફરીથી મતદારોએ પક્ષને સ્પષ્ટ  બહુમતી આપી ન હતી. મંડલ કમિશને ભલામણ કરેલી અનામત પ્રથાનો અમલ ત્યારથી શરૂ થયો હતો. મિક્સ સરકારની આગેવાની સવા બસ્સોથી વધુ બેઠક મેળવનારા કોંગ્રેસ પક્ષે લીધી હતી. 

કોંગ્રેસમાંથી નરસિંહમારાવ વડા પ્રધાન બન્યા હતા અને એ વખતે જ દેશના સૌથી મહત્ત્વપૂર્ણ આર્થિક સુધારા દાખલ કર્યા હતા. નહેરુ-ગાંધી પરિવારમાંથી ન આવતા હોય એવા શાસ્ત્રીજી પછી રાવ બીજા વડા પ્રધાન હતા. ચૂંટણી પ્રચાર વખતે જ રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. એ પછી સોનિયા ગાંધીને વડા પ્રધાન થવાની ઑફર થઈ હતી, જે તેમણે સ્વીકારી ન હતી.
વડાપ્રધાન બનેલા નરસિંહરાવ નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી લડયા ન હતા પણ પક્ષ પ્રધાનમંત્રીની ખુરશી પર બેસીને પછી પેટા ચૂંટણીમાં વિજયી થયા હતા. આ ચૂંટણી વખતે જ ભારતના રાજકારણમાં મુલાયમસિંહ યાદવનો ઉદય થયો હતો. ખિચડી સરકાર હોવા છતાં પાંચ વર્ષ સુધી રાજ કર્યું હતું.
૧૯૯૬  અગિયારમી લોકસભા
ભાજપને ૧૬૧ બેઠક મળી હતી, બીજા નંબરના પક્ષ કોંગ્રેસને ૧૪૦ સિટ મળી હતી.
આઝાદ ભારતમાં પહેલી વખત કોંગ્રેસ સિવાયના કોઈ પક્ષને જનતાએ પ્રચંડ સમર્થન આપ્યું હતું, એ પક્ષ ભાજપ હતો. જોકે ભાજપને માંડ ૧૩ દિવસ માટે સત્તા મળી હતી. વાજપેયીએ એટલો સમય રાજ કર્યું ત્યાં ટેકા ખરી પડયા હતા. એ પછી કોંગ્રેસે જનતા દળની આગેવાનીમાં બનેલા મોરચાને ટેકો આપ્યો હતો અને એ મોરચાના આગેવાન એચ.ડી.દૈવગોડા વડા પ્રધાન બન્યા હતા. 

મિશ્ર સરકારે થોડા સમયમાં જ અસલ રંગ દર્શાવવાનો શરૂ કર્યો હતો એટલે ૨ વર્ષમાં ૩ વડા પ્રધાન બદલાયા હતા. એ વખતે લોકોને પહેલી વાર ખબર પડી કે જો કોઈ એક પક્ષને પુરતાં મતો ન મળે તો કઈ રીતે અજાણ્યા નેતાઓ અચાનક વડા પ્રધાનની ખુરશી પર આવી જાય અને દેશ-દુનિયા તેને ઓળખી લે એ પહેલાં જતા પણ રહે. ઉમેદવારોની સંખ્યા વધીને ૧૩,૯૫૨ સુધી પહોંચી હતી અને તેમાંથી ૧૨,૬૮૮ તો ડિપોઝિટ ગુમાવી હતી.
૧૯૯૮  બારમી લોકસભા
 
ભાજપને ૧૮૨ અને બીજા ક્રમે કોંગ્રેસને ૧૪૧ બેઠક મળી હતી.
આ વખતે સમાજવાદી પક્ષ, જયલલિતાના એઆઈડીએમકે અને બીજુ જનતાદળ વગેરે નાના પક્ષ મેદાનમાં ઉતર્યા હતા અને મોટાં પણ થયા હતા. સદાકાળ ચાલ્યા આવતા અયોધ્યાના મુદ્દાને કારણે ેનડીએની સરકારે સત્તા મેળવી હતી. તેમને દક્ષિણમાંથી લાંબી રાહ જોવડાવ્યા પછી જયલલિથાએ ટેકો આપ્યો હતો અને મન પડયું ત્યારે પાછો ખેંચી પણ લીધો હતો! સોનિયા ગાંધી એ વખતે અમેઠી (ઉત્તર પ્રદેશ) અને બેલ્લારી (કર્ણાટક)એમ બે જગ્યાએથી ચૂંટાયા હતા. 

તો અગાઉ ૧૩ દિવસ માટે વડાપ્રધાન બનેલા વાજયેપી આ વખતે ૧૩ મહિના સુધી સરકાર ચલાવામાં સફળ રહ્યા હતા. એ પછી ટેકા ખસી જતા સરકારનું પતન થયું હતુ. ટૂંકી સત્તા છતાં વાજપેયીએ ઓપરેશન શક્તિ હેઠળ પોખરણમાં અણુ પરિક્ષણ કરીને અણુશસ્ત્ર મુદ્દે પોતાના તથા ભારતના મજબૂત ઈરાદાનો સંકેત આપી દીધો હતો.
૧૯૯૯  તેરમી લોકસભા
ભાજપને ૧૮૨ બેઠક મળી હતી, કોંગ્રેસે ત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી ઓછી ૧૧૪ બેઠક મેળવી હતી.
સત્તાની ખેંચતાણને કારણે દેશની જનતાને બે વર્ષના ટૂંકા ગાળામાં બીજી ચૂંટણીનો લાભ મળ્યો હતો. એ ચૂંટણી પહેલા જ કાગરીલ યુદ્ધ ખેલાયું હતું. જોકે સત્તા પક્ષ ભાજપને તેનો જોઈએ એવો લાભ મળ્યો ન હતો, બહુમતી જરૂર મળી હતી પરંતુ એ સત્તામાં આવવા માટે પૂરતી ન હતી. ગુજરાતમાં ભાજપને ૨૦, કોંગ્રેસને ૬ બેઠક મળી હતી. 

એનડીએમાં ૨૦ પક્ષોનો મેળો જામ્યો હતો અને એ બધા પક્ષોને એકજૂઠ કરીને પાંચ વર્ષ પુરા કરવામાં અટલજીને સફળતા મળી હતી. આઝાદ ભારતમાં એ પહેલી બીન કોંગ્રેસી સરકાર હતી, જેણે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા. ભાજપ પાસે સૌથી વધુ બેઠકો હતી પણ મતદાનની ટકાવારીમાં એ પહેલા ક્રમે ન હતી. સૌથી વધુ ૨૮ ટકા મતો કોંગ્રેસને મળ્યા હતાં, જ્યારે ભાજપને ૨૪ ટકા મતો મળ્યા હતાં! કુલ ૪૬૪૮ ઉમેદવારો ચૂંટણી માટે મેદાનમાં હતાં અને તેમાંથી ૩૪૦૦એ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી. 
૨૦૦૪ ચૌદમી લોકસભા 
કોંગ્રેસને ૧૪૫ બેઠક મળી હતી, જ્યારે ભાજપને ૧૩૮ મળી હતી.
એનડીએ સરકારે ફીલ ગૂડ ફેક્ટર અજમાવ્યું, જેમાં મતદારોને કંઈ સારી ફિલિંગ ન આવી. અડવાણીની આગેવાની પણ જોઈએ એટલી સફળ ન રહી. માટે ભાજપની બેઠકોમાં મોટો ઘટાડો આવ્યો. ભાજપે ૫૩૪માંથી ૩૬૪ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. કોંગ્રેસે ૪૧૭ ઉમેદવારો પાસે ચૂંટણી લડાવી હતી. વડા પ્રધાન બનવાની તક આવી ત્યારે એ તક જતી કરી સોનિયા ગાંધીએ પડદાં પાછળ રહી સરકાર ચલાવાનું પસંદ કર્યું હતુ.

બીજી તરફ ભાજપને કેન્દ્રમાં સત્તા સુધી પહોંચાડનારા અટલજીએ એ ચૂંટણી પછી સક્રિય રાજકારણમાંથી ખસવાની શરૂઆત કરી દીધી હતી. કોંગ્રેસ પાસે પુરતી બેઠકો ન હતી પરંતુ વિશ્વાસનો મત રજુ કરવાનો સમય આવ્યો ત્યાં સુધીમાં તેમણે ૨૭૨ના જાદુઈ આંકની ગોઠવણ કરી લીધી હતી! ભાજપની હારના વિવિધ કારણોમાં એક વધુ પડતો આત્મવિશ્વાસ અને બીજુ એન્ટિ ઈન્કમ્બસી હોવાનું મનાયુ હતું.
૨૦૦૯ પંદરમી લોકસભા
કોંગ્રેસને ૨૦૬ અને ભાજપને ૧૧૬ બેઠક મળી હતી. 
અનેક હોબાળા અને સત્તામાં વિવિધ પક્ષોના શંભુમેળા છતાં કોંગ્રેસે ફરીથી સત્તા હાંસલ કરી હતી. એ બેશક સોનિયા ગાંધીની સિદ્ધી હતી. દેશના એક ખુણામાં જ રહેતા ડાબેરી પક્ષોની બેધારી નીતિનો પહેલી વખત આ લોકસભા વખતે દેશને પરિચય થયો હતો. ડાબેરીઓએ અમેરિકા સાથે પરમાણુ સંધિ સહિતના અનેક દેશના વિકાસ માટે અનિવાર્ય હોય એવા મુદ્દાઓમાં રોડા નાખ્યા હતાં. બાદમાં ડાબેરી પક્ષોએ સરકારનો સાથ પણ છોડી દીધો હતો. 

તો પણ યુપીએ સરકાર બહુમત સાબિત કરવામાં સફળ રહી હતી. ભાજપે ભાજપે અડવાણીને વડા પ્રધાન પદના દાવેદાર તરીકે રજુ કરી આગળ કર્યા હતા. હાર થયા પછી અડવાણીને સંપૂર્ણપણે કોરાણે મુકી દેવાની શરૂઆત થઈ હતી. ભારતમાં યુરોપ આખુ અને અમેરિકાની કુલ વસતી કરતા વધારે થાય એટલા ૭૧ કરોડ મતદારો નોંધાયા હતા. સમગ્ર ચૂંટણી માટે પહેલી વાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશિન(ઈવીએમ)નો જ ઉપયોગ થયો હતો. એ માટે સાડા તેર લાખથી વધારે ઈવીએમ વપરાયા હતાં. ગુનાઈત સાંસદોનો મોટે પાયે ઉદય થયો હતો કેમ કે ૧૫મી લોકસભામાં ઓછામાં ઓછા દોઢસો એવા સાંસદો હતાં, જેમના પર કેસ ચાલતા હતો.
૨૦૧૪  સોળમી લોકસભા
ભાજપના સંગઠન એનડીએને ૨૮૨ જ્યારે કોંગ્રેસને ૪૪ સિટ મળી હતી.
મોદી મેજિક શું છે એ ગુજરાત પછી આખા દેશને એ વખતે સમજાયુ હતું. સાથે સાથે કોંગ્રેસના રગશિયા સરકારથી પણ પ્રજા કંટાળી હતી. માટે જ્યાં ભાજપને પગ રાખવાની જગ્યા મળતી ન હતી એ ઉત્તર પ્રદેશમાં વિક્રમજનક રીતે ૮૦માંથી ૭૧ બેઠક મળી હતી. ઘણા વર્ષો પછી કોઈ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી હતી અને સ્થિર સરકાર રચાઈ હતી. 

એ ભારતની પહેલી એવી ચૂંટણી હતી જેમાં સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થયો હતો. અડવાણીને ફરીથી વડા પ્રધાન પદના દાવેદાર થવાની ઈચ્છા હતી પરંતુ ભાજપે પહેેલેથી જ નરેન્દ્ર મોદીને ઉમેદવાર જાહેર કરી તેના ચાહકોને મતદાતામાં ફેરવી નાખ્યા હતા. કોંગ્રેસની બેઠકોની સંખ્યા પહેલી વાર ઘટીને બે આંકડા પર (૪૪) આવી ગઈ હતી. કુલ બેઠકની દસ ટકા સિટો પણ ન હોવાથી સત્તાવાર રીતે વિરોધ પક્ષના નેતાની વરણી થઈ શકી ન હતી.
 
સાડા ત્રણ દાયકાથી કોંગ્રેસ માટે 'પ્રવેશબંધી!'
 
ઇન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ૪૦૪ બેઠકો સાથે સમગ્ર દેશમાં કોંગ્રેસનું સ્ટીમ રોલર ફરી વળ્યું હતું. ૧૯૮૪માં કોંગ્રેસે ગુજરાતમાં છેલ્લી વાર જીતેલી લોકસભા બેઠકોમાં અમદાવાદ, સૂરત અને ભરુચનો સમાવેશ થાય છે. ૧૯૮૯માં ભાજપે હિંદુત્વના એજન્ડાના આધારે શહેરી વિસ્તારોમાં પકક્ડ જમાવતા કોંગ્રેસ આ બેઠકો પર હજુ સુધી જીત મેળવી શકી નહી. 
અમદાવાદ લોકસભા

અમદાવાદ લોકસભા બેઠકની વાત કરીએ તો ૧૯૬૨, ૧૯૬૭ અને ૧૯૭૧માં ગાંધીવાદી, સેવાભાવી ઇન્દુલાલ યાજ્ઞિાક(ઇન્દુચાચા) સાંસદ હતા. જેમાં તેઓ એક વાર એનજેપી,એક વાર અપક્ષ અને ૧૯૭૧ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વતી ચૂંટણી જીત્યા હતા. ઇન્દેરા ગાંધીએ લાદેલી ઇમરજન્સી પછી ૧૯૭૭ની મધ્યાવર્તી ચૂંટણીમાં પણ અમદાવાદ બેઠક પર કોંગ્રેસના અહેસાન જાફરીએ જીત મેળવી હતી. 
૧૯૮૦માં મગનભાઇ બારોટ અને ૧૯૮૪માં અમદાવાદ બેઠક પર કોંગ્રેસના હારુભાઇ મહેતાએ ભાજપના અશોક ભટ્ટને પરાજય આપ્યો હતો. ૧૯૮૪માં હારુભાઇ કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા છેલ્લા ઉમેદવાર હતા. ત્યાર પછી છેલ્લા ૩૫ વર્ષમાં યોજાયેલી ૮ લોકસભા ચૂંટણીમાં એક પણ વાર કોંગ્રેસ જીતી શકી નથી.
૧૯૮૯માં  હરીન પાઠકે પ્રથમ વાર અમદાવાદ બેઠક ભાજપની ઝોળીમાં નાખી હતી. ત્યાર પછી વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણી સુધી હરીન પાઠક સાત વાર સાંસદ રહયા હતા.૨૦૧૪માં ભાજપે ઉમેદવાર બદલીને  હરીન પાઠકના અભિનેતા પરેશ રાવલને ટીકિટ આપતા તેઓ પણ ૩ લાખથી વધુ મતોથી વિજયી થયા હતા.

કોંગ્રેસે અમદાવાદ બેઠક જીતવા માટે છેલ્લા ૩૫ વર્ષમાં ૯ ઉમેદવારોને અજમાવ્યા છતાં ભાજપના ગઢ સમી આ લોકસભા બેઠકમાં ફાવી શકી નથી.  ભાજપ દ્વારા લોકસભાની દરેક ચૂંટણીમાં સરળતાથી ઉમેદવાર જાહેરાત થતી હતી પરંતુ ૨૦૧૯ના જંગમાં ઉમેદવારની પસંદગી ઘોંચમાં પડી હતી.
સુરત 
એક સમયે સૂરત બેઠક દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઇનો ગઢ ગણાતી હતી. તેઓ ૧૯૬૨ અને ૧૯૬૭માં કોંગ્રેસ પક્ષ
, ૧૯૭૧ નેશનલ કોંગ્રેસ અને ૧૯૭૭માં ભારતીય લોક દળના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. તેઓ દેશની પ્રથમ બિન કોંગ્રેસી જનતા સરકારમાં વડાપ્રધાન પદ શોભાવતા હતા ત્યારે સૂરત બેઠકના સાંસદ હતા.૧૯૮૦માં મોરારજી દેસાઇ સૂરત બેઠક પરથી ચૂંટણી લડયા ન હતા. આથી કોંગ્રેસ (આઇ)ના  છગનભાઇ પટેલ (સીડી પટેલ) ભારતીય લોકદળના જસવંતસિંહ ચૌહાણને હરાવીને બેઠક જીતવામાં સફળ રહયા હતા.
૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં પણ સીડી પટેલે ભાજપના કાશીરામ રાણાને હરાવીને વિજેતા બન્યા હતા. સૂરત બેઠક જીતવામાં કોંગ્રેસને મળેલી છેલ્લી સફળતા હતી ત્યાર પછી આજ સુધી કોંગ્રેસ દર ટર્મમાં ઉમેદવાર બદલ્યા તેમ છતાં જીત મળી નથી. ૧૯૮૯માં ભાજપના કાશીરામ રાણાએ કોંગ્રેસના બે ટર્મથી સાંસદ સીડી પટેલને હરાવીને સૂરત બેઠક પર ભાજપને પ્રથમ વાર જીત અપાવી હતી. ત્યાર પછી કાશીરામ રાણા સતત ૬ ટર્મ સુધી આ બેઠક પરના વિજેતા હતા.૨૦૦૯માં કાશીરામ રાણાનું પત્તુ કાપીને ભાજપે દર્શનાબહેન જરદોશને ટીકિટ આપી હતી.તેઓ પણ ૨૦૦૯ અને ૨૦૧૪ એમ બે ટર્મ સુધી સૂરત બેઠકના સાંસદ રહયા.
ભરુચ
દક્ષિણ ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાતી ભરુચ બેઠક પર ભાજપ ૩૫ વર્ષથી અજેય રહયું છે. ભાજપે ૧૯૮૯માં ભરુચ બેઠક પર ચંદુભાઇ દેશમુખને ટીકિટ આપતા તેમણે ભાજપને પ્રથમવાર વિજયની ભેટ આપી હતી.
  વર્ષ ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૪ની સતત ૩ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ અહેમદ પટેલ ભરુચ બેઠક પરથી સંસદના પ્રતિનિધિ હતા. મુસ્લિમ અને આદિવાસી બહુલ આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રોમાંચક મુકાબલો પણ જોવા મળે છે પરંતુ જીત સતત ભાજપની થાય છે. 

૧૯૮૯, ૧૯૯૧ અને ૧૯૯૬ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચંદુભાઇ દેશમુખે અહેમદ પટેલ અને આદિવાસી નેતા છોટુ વસાવાને હરાવીને ગઢ જાળવી રાખ્યો હતો. ૧૯૯૯માં ભાજપે ઉમેદવાર બદલતા ચંદુભાઇ દેશમુખના સ્થાને મનસુખ વસાવાને ઉભા રાખ્યા હતા. મનસુખ વસાવાએ પણ કોંગ્રેસના અમરસિંહ વસાવાને પરાજય આપીને ભાજપની જીતની પરંપરાને આગળ વધારી હતી. 

ભાજપના વસાવા ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ જીત મેળવીને કાંગ્રેસને વિજયથી વંચિત રાખી છે. આ બેઠક પર છેલ્લા ૩૫ વર્ષમાં કોંગ્રેસે અહેમદ પટેલથી માંડીને અઝીઝ ટંકારવી જેટલા સુધીના ૭ ઉમેદવારો અજમાવ્યા છતાં ભાજપને પરાસ્ત કરવામાં સફળતા મળી નથી.

સોમવાર, 29 એપ્રિલ, 2019


સફેદ છે દિલ્હીનો લાલ કિલ્લો, જાણો શા માટે દેખાય છે લાલ


 

દિલ્હી સ્થિત લાલ કિલ્લાની મુલાકાતે અનેક લોકો જાય છે. લાલ કિલ્લાનું નિર્માણ આજના જ દિવસે એટલે કે 29 એપ્રિલ 1638ના વર્ષમાં થયું હતું. લાલ કિલ્લો તેની બેમીસાલ કલાકૃતિ માટે પ્રખ્યાત છે. અહીં વર્ષ દરમિયાન હજારો પ્રવાસીઓ આવે છે. પરંતુ લાલ કિલ્લાની એક વાત છે જેનાથી લોકો અજાણ રહી જાય છે. 

લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ પોતાની રાજધાનીને આગરાથી પરિવર્તિત કરતી વખતે કર્યુ હતું. આ કિલ્લો બનતા 10 વર્ષનો સમય લાગ્યો હતો. લાલ કિલ્લાનો નકશો અહમદ લાહોરીએ બનાવ્યો હતો. આ જ વ્યક્તિએ તાજમહેલનો નકશો પણ બનાવ્યો હતો.

2007માં લાલ કિલ્લાનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદીમાં કરવામાં આવ્યો. આ કિલ્લો 200 વર્ષ સુધી મુગલોનો નિવાસ સ્થાન રહી ચુક્યો છે. લાલ કિલ્લાનું નામ તેના રંગ પરથી પડ્યું છે પરંતુ હકીકતમાં તે સફેદ રંગનો બનાવવામાં આવ્યો હતો.

આ કિલ્લો સફેદ રંગના પથ્થરોથી બનેલો હતો. જેને ચૂના પથ્થર કહેવામાં આવે છે. પરંતુ લાંબો સમય પસાર થતા સુધીમાં આ પથ્થરનો રંગ ખરાબ થવા લાગ્યો. આ કારણે બ્રિટિશોએ તેના ઉપર લાલ રંગ કરાવ્યો. જો કે કેટલાક લોકો માને છે કે આ કિલ્લો લાલ રંગનો જ છે પરંતુ તેવું નથી.

 

શનિવાર, 27 એપ્રિલ, 2019

માર્કેટમાં આવશે 20 રૂપિયાની નવી નોટ, જાણો શું છે ફીચર્સ

 
આઠ નવેમ્બર 2016એ નોટબંધી થયા બાદ કરન્સી બદલવાનો જે સિલસિલો શરૂ થયો તે હવે અંતિમ પડાવ પર આવી ગયો છે. 2000, 500, 200, 100, 50, 10 રૂપિયાના નોટ બાદ મોદી સરકારે ચલણમાં રહેલી 20 રૂપિયાની નોટને પણ આખરે બદલવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ પોતાની વેબસાઈટ પર નવા નોટના ફીચર્સ શુક્રવારે જાહેર કર્યા છે.
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ થોડા જ સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરવાની જાહેરાત કરી છે. મહાત્મા ગાંધીની નવી સિરીજ અનુસાર જારી થનાર આ નોટ પર ઉર્જિત પટેલની જગ્યાએ આવેલા ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. 
20 રૂપિયાના પહેલેથી ચલણમાં હાજર તમામ નોટ લીગલ ટેન્ડર
રિઝર્વ બેન્કે સ્પષ્ટ કર્યુ કે 20 રૂપિયાના પહેલા ચલણમાં હાજર તમામ નોટ લીગલ ટેન્ડર બન્યા રહેશે. નવા નોટનો આકાર 63mmx129mm હશે. બાકીના તમામ ફીચર પહેલા જેવા જ રહેશે. જે પહેલાની નોટોમાં છે.
એલોરાની ગુફાઓનું ચિત્ર
રિઝર્વ બેન્ક તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે 20 રૂપિયાની નવી નોટ થોડી લીલા-પીળા રંગની હશે. નોટની પાછળ દેશની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવનારી એલોરાની ગુફાઓનું ચિત્ર છે. 
ઉલ્લેખનીય છે કે 2016માં નોટબંધી બાદ 500, 2000, 200, 100, 50, 10 રૂપિયાના નોટ પણ જારી કરાઈ ચૂક્યા છે. 20 રૂપિયાની નોટ બદલવાનો પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો હતો.
ચલણમાં હાજર કુલ નોટોની સંખ્યાના 9.8 ટકા
રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાના આંકડા અનુસાર 31 માર્ચ 2016 સુધી 20 રૂપિયાના નોટોની સંખ્યા 4.92 અરબ હતી, જે માર્ચ 2018 સુધી 10 અરબ થઈ ગઈ. આ ચલણમાં હાજર કુલ નોટોની સંખ્યાના 9.8 ટકા છે.
 

રાજકોટ - 100 વર્ષ જૂની રાષ્ટ્રીય શાળાનો 2.22 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર
મહાત્મા ગાંધીજી સાથે જોડાયેલા સ્મૃતિ કેન્દ્રોની જાળવણી માટેની યોજના
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દાંડીથી લઇ પોરબંદર સુધીના મહાત્મા ગાંધીજીના સ્મૃતિ કેન્દ્રોની જાળવણી માટે યોજના બનાવવમાં આવી છે. રાજકોટમાં ગાંધી મ્યુઝીયમ , કબાગાંધીનો ડેલો અને હવે સરકાર દ્વારા 100 વર્ષ જૂની રાષ્ટ્રીય શાળાના જીર્ણોદ્વાર માટે કામગીરી હાથ ધરાઈ છે.રૂપિયા 2 કરોડ 22 લાખના ખર્ચે રીનોવેશન કરીને રાજકોટમાં પૂજ્ય બાપુના જીવનનું વધુ એક નજરાણું ટુરીઝમ માટે આપવામાં આવી રહ્યું છે. મહાત્મા ગાંધીએ વર્ષ 1920 માં શરૂ કરેલી અને હાલ જે રાષ્ટ્રીયશાળા સંકુલ છે તે વર્ષ 1924મા તૈયાર થઈ હતી જ્યાં મહાત્મા ગાંધી દ્વારા ઉપવાસ કરવામાં આવ્યાં હતાં. 66 હજાર ચોરસ મીટર વાળી જગ્યામા ગાંધી સ્મૃતિખંડ , પુસ્તકાલય , ગેસ્ટહાઉસ ,પ્રાથમિક શાળાના વર્ગો વગેરેનો સમાવેશ થાય છે.

રવિવાર, 21 એપ્રિલ, 2019

ભારતીય નૌસેનાએ દરિયામાં ઉતાર્યુ નવુ યુધ્ધ જહાજ 'INS ઈમ્ફાલ'



ભારતીય નૌસેનાએ પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરીને વધુ એક નવુ યુધ્ધ જહાજ પાણીમાં ઉતાર્યુ છે.

આ યુધ્ધ જહાજને મણીપુરની રાજધાની ઈમ્ફાલનુ નામ અપાયુ છે.આઈએનએસ ઈમ્ફાલ ભારતમાં જ બન્યુ છે.તેનુ વજન 3037 ટન છે.આગામી દિવસોમાં તેને અત્યાધુનિક હથિયારો અને સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસથી સજ્જ કરવામાં આવશે.આ જહાજ દુશ્મનના ગાઈડેડ મિસાઈલોને ખતમ કરવા માટે સક્ષમ છે.

ભારતીય નૌસેનાએ શરુ કરેલા પ્રોજેક્ટ 15 બી હેઠળ બનેલુ આ ત્રીજુ યુધ્ધ જહાજ છે.આ પહેલા 2015 અને 2016માં બે યુધ્ધ જહાજોને દરિયામાં ઉતારાયા હતા. 2021 સુધીમાં તેને ભારતીય નૌસેનામાં સામેલ કરી લેવાશે.

આ યુધ્ધ જહાજો બહુ જલ્દી આઈએનએસ દિલહી, આઈએનએસ મુંબઈ, આઈએનએસ મૈસૂર, આઈએનએસ કોલકાતા, આઈએનએસ કોચ્ચિ અને આઈએનએસ ચેન્નાઈની હરોળમાં સામેલ થઈ જશે.

આઈએનએસ ઈમ્ફાલની ખૂબીઓ પૈકી તેની લંબાઈ 163 મીટર અને પહોળાઈ 17.4 મીટર છે.

ચાર ગેસ ટરબાઈનથી ચાલતા યુધ્ધ જહાજની મહત્તમ ઝડપ 30 નોટ છે.તેના પર બે હેલિકોપ્ટર તૈનાત થઈ શકે છે.તે ગાઈડેડ મિસાઈલને ખતમ કરવાની સાથે સાથે તેને ચકમો પણ આપી શકે છે.તે દુનિયાની અન્ય નૌસેનાના અત્યાધુનિક યુધ્ધ જહાજોનો મુકાબલો કરવા તમામ રીતે સક્ષમ છે.

ભારતીય નૌસેના પાસે હાલમાં 140 યુધ્ધ જહાજો છે અને બીજા 32 યુધ્ધ જહાજોનુ હાલમાં નિર્માણ ચાલી રહ્યુ છે.

શુક્રવાર, 19 એપ્રિલ, 2019


દેશ સહિત દુનિયાભરમાં આજે ગુડ ફ્રાઈડેની ઉજવણી

આજના દિવસે પ્રેમ, ક્ષમા અને કરૂણાનો સંદેશ આપનાર ઈસામસીને સુડીએ ચડાવાયા હતા. પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે ઉપર ઈસામસીને યાદ કર્યા હતા.
દેશ સહિત દુનિયાભરમાં આજે ગુડ ફ્રાઈડેની ઉજવણી થઈ રહી છે. ચર્ચમાં આજે પ્રાર્થના સભા આયોજિત થઈ રહી છે. આજના દિવસે પ્રેમ, ક્ષમા અને કરૂણાનો સંદેશ આપનાર ઈસામસીને સુડીએ ચડાવાયા હતા. પ્રધાનમંત્રીએ ગુડ ફ્રાઈડે ઉપર ઈસામસીને યાદ કર્યા હતા.


આજે વર્લ્ડ હેરિટેજ ડે


 
આજે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવશે, પરંતુ હેરિટેજ સંબંધિત જાણકારી છે, ખૂબ ઓછા લોકોમાં જોવા મળે છે. યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યા બાદ પણ પોળ વિસ્તારમાં રહેલા કેટલાક લોકોને આજે પણ તેમનું મકાન હેરિટેજ દરજ્જો ધરાવે છે તેવી જાણકારી નથી. વર્લ્ડ હેરિટેજ શહેરનો દરજ્જો મળ્યા બાદ શહેરમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસ વધારો થયો છે પરંતુ આજે પણ હેરિટેજ વૉકમાં કેટલાક એવા સ્થાપત્યો છે. જેને હેરિટેજ વૉકમાં સ્થાન આપવામાં આવતું નથી. જેના કારણે સામાન્ય લોકો હેરિટેજની સંપૂર્ણ જાણકારી મેળવવામાં અસમર્થ રહે છે. ઉપરાંત હેરિટેજ સાથે વ્યક્તિગત રીતે જોડાયેલા કેટલાક લોકોનું માનવું છે કે વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જા પછી હેરિટેજ દર્શન વ્યાપાર બન્યું છે.
જૂના સમયમાં અમદાવાદ કાપડ, કિનખાબ અને ગળીના ઉદ્યોગ માટે જાણીતું હતું, અહીંની કલા-કારીગરી જગવિખ્યાત હતી અને કિનખાબની માગ પરદેશમાં પણ રહેતી હતી.
વેપાર કરવાની છૂટ મેળવવા માટે મોગલ સમ્રાટ સમક્ષ રજૂઆત કરવા આવેલા વલંદાઓના પ્રતિનિધિ સર ટોમસરોએ પણ અમદાવાદમાં નિવાસ કરેલો અને ફુવારા પાસે 'વલંદાની હવેલી'ના નામે જાણીતી મોટી ઇમારત હતી, જે પડી જવાથી નાશ પામી છે.
૧૯૪૬ સુધી બીજા વિશ્વયુદ્ધના કારણે પેટ્રોલની તંગી હતી અને ૧૯૪૭માં જ્યારે શહેરમાં બસ સેવા શરૃ થઇ ત્યારે પણ પેટ્રોલ મર્યાદિત જથ્થામાં મળતું હોવાથી, પ્રથમ ખાનગી બસોમાં કોલ-ગેસની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શહેરીજનોને સસ્તા દરે મુસાફરીની સવલત આપવા માટે શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશની સૌપ્રથમ સરકારી બસ સેવાની શરૃઆત કરી હતી.
શહેરની પોળમાં ૨૨૩૬ હેરિટેજ મકાનો, ૪૪૯ મંદિર - મસ્જિદ - દરવાજાઓ આવેલા છે. જેને જોવા માટે વિદેશી પ્રવાસીઓની સરેરાશ વાર્ષિક સંખ્યા ૧.૩૮ લાખ છે. જ્યારે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા ૭૪ લાખ જેટલી છે.
શહેરની આસપાસ હેરિટેજ સ્થાપત્યોમાં સમાવેશ કરી શકાય તેવી ૨૦ જેટલી વાવ આવેલી છે, પરંતુ પાંચ જેટલી વાવ સિવાય મોટાભાગની વાવની હાલત કફોડી છે. વાવનું સંવર્ધન યોગ્ય રીતે કરવામાં આવતું નથી, ઉપરાંત લોકોમાં જાગૃતિ ન હોવાથી વાવનો ઉપયોગ ડમ્પયાર્ડ તરીકે કરે છે.
ગુજરાત વર્નાક્યુલકર સોસાયટી દ્વારા ૧૮૫૦ અને ૧૮૫૧માં ત્રણ કન્યાશાળાઓ શરૃ થઇ હતી, અને ૧૮૭૦માં ફિમેલ ટ્રેનિંગ કોલેજ શરૃ થઇ હતી.
કર્ણાવતી નગરની સ્થાપના ૧૦૯૪માં થઇ હતી. તે પહેલા શહેરનું નામ આશાપલ્લી હતું. આશાપલ્લી નામ આશા ભીલ પરથી રખાયું હોવાની વાયકા છે.
૧૯૫૬નાં દુષ્કાળમાં માત્ર અમદાવાદ શહેરના જ ૩૨,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા, જેથી તેને છપ્પનીયોકાળ તરીકે પણ ઓળખાય છે.
૧૬૧૮માં શહેનશાહ જહાંગીરના માતા જોધાબાઇ અને અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીના વહાણો અંગ્રેજ વેપારીઓ અને ચાંચિયાઓએ લૂટયાં હતાં.


દમણનો જૂના પુર્તગીઝ ફોર્ટ અને ચર્ચ અત્યારે પણ પર્યટકોને આકર્ષિત કરે છે

દમણ એટલે એવી પર્યટન જગ્યા કે જ્યાં વર્ષે દહાડે અનેક પ્રવાસીઓ મુલાકાતે આવે છે.દમણમાં આવેલી અનેક ઐતિહાસિક જગ્યાઓ પર્યટકોને અહીં ખેંચી લાવે છે. દમણનો જૂના પુર્તગીઝ ફોર્ટ અને ચર્ચ અત્યારે પણ પર્યટકોને આકર્ષિત કરે છે. સાથે પુર્તગીઝોનો કિલ્લો કે જેની ચારે બાજુ ફરી શકાય છે. આ કિલ્લા પરથી મોટી અને નાની દમણને નિહાળી શકાય છે. કિલ્લા પર આવેલી પુર્તગીઝ સમયની તોપ અત્યારે પણ છે. આ સાથે 450 વર્ષ જૂની દમણ નગરપાલિકાને જોવા માટે દેશ વિદેશથી પર્યટકો આવે છે. વર્લ્ડ હેરિટેજ ડે દિવસે પ્રવાસન સ્થળ દમણમાં આવેલી અનેક હેરિટેજ સાઈટોને નિહાળવા જેવી છે.