બુધવાર, 17 ઑક્ટોબર, 2018

પલ્લીમાં આજે લાખો ભક્તો ઉમટશે


- રૂપાલ જગપ્રસિધ્ધ વરદાયીની માતાજીની





ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી છેલ્લા પાંચ હજાર વર્ષથી દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે.

શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા રૂપાલ વરદાયીની માતાજી મંદિરમાં દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો ભરાય છે

 
કચ્છના મહારાવે જે ભાલાથી સિંહનો શિકાર કરેલો તેની આજે પણ થતી પૂજા


- પાંચ સૈકા પહેલા અમદાવાદના મહમદ બેગડાને બચાવવા




નવલા નોરતાના પર્વના અંતિમ દિવસ વિજ્યાદશમીની આવતીકાલે ધામધુમાથી ઉજવણી થશે. ત્યારે કચ્છની ધરતી સાથે જોડાયેલી દશેરાની રસપ્રદ ઐતિહાસિક વાયકા અનુસાર આશરે પાંચ સૈકા જેટલા સમય પૂર્વે કચ્છની સૃથાપના કરનાર મહારાવ ખેંગારજીએ અમદાવાદના બાદશાહ મદમદ બેગડાને બચાવવા જે ભાલાથી સિંહનો શિકાર કરેલો તે ભાલો એટલે કે સાંગનું પૂજન કરવામાં આવશે. બીજી તરફ સમી વૃક્ષના થતા પૂજનની ધાર્મિક માન્યતા કંઈક એવી છે કે, પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન અર્જૂને વાગડ વિસ્તારમાં આવેલી વિરાટનગરીમાં પોતાના દિવ્ય શસ્ત્રો સમીના વૃક્ષ પર છૂપાવ્યા હોવાથી ત્યારાથી સમી એટલે કે ખિજડાના વૃક્ષના પૂજનની પરંપરા ચાલી આવે છે.



કચ્છના જિલ્લા મથક ભુજમાં આવતીકાલે વિજ્યાદશમીના દિવસે સ્વામીનારાયણ મંદિર સામે વર્તમાન રાજવી દ્વારા પરંપરાગત રીતે સમીવૃક્ષનું પૂજન કરવામાં આવશે. આ પ્રસંગે પોશળ જાગીરના અધ્યક્ષ પણ ઐતિહાસિક ભાલો લઈને પૂજામાં જોડાશે. રાજાશાહી વખતના શસ્ત્રોની સાથે જે ભાલાની પૂજા થવાની છે તેના ઈતિહાસ વિશે વિગતો આપતા કચ્છના ઈતિહાસકાર પ્રમોદ જેઠી જણાવે છે કે, અમદાવાદના બાદશાહ મહમદ બેગડા એક વખત સિંહનો શિકાર કરવા નિકળ્યા હતા. આ સમયે સિંહે તેના પર હુમલો કર્યો હતો. દરમિયાનમાં અહી હાજર કચ્છના પ્રથમ મહારાવ ખેંગારજીએ ભાલાથી સિંહનો શિકાર કરીને મહમદ બેગડાનો જીવ બચાવ્યો હતો. સોળમી સદીની શરૃઆતમાં આ ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઘટના બાદ વર્ષ ૧પ૧૦માં ખેંગારજીએ કચ્છ રાજ્યની સ્થાપના કરી હતી. ત્યારથી લઈને આજ સુધી આ ભાલો(સાંગ)ની પૂજા કરવાની પરંપરા ચાલી આવે છે.

બીજી તરફ સમી વૃક્ષના પૂજન અંગેની ધાર્મિક માન્યતા એવી છે કે, અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો કચ્છની ધરતી પર આવ્યા હતા. અહી વાગડના હાલના રાપર તાલુકાના ગેડી વિસ્તારમાં જે તે સમયે આવેલી વિરાટનગરીમાં પાંડવો રહેતા હતા. પાંડવોએ રાજવી ઓળખ છતી ન થાય તે માટે સામાન્ય પહેરવેશ ધારણ કરવાની સાથે શસ્ત્રો પણ સાથે રાખવાના નહોતાં. પાંડવો પૈકી અર્જૂન પાસે ગાંડીવ સહિતના દિવ્યશસ્ત્રો હતા. આ શસ્ત્રો જમીન પર છૂપાવી શકાય તેમ ન હોય તેણે સમીના વૃક્ષ પર છૂપાવ્યા હતા. ત્યારથી રાજવી પરિવારો વિજ્યાદશમીના દિવસે શસ્ત્રોની સાથે સમીના વૃક્ષનું પણ પૂજન કરે છે.