બુધવાર, 10 જાન્યુઆરી, 2018


શહેરી માનવવસતિ વચ્ચે આવેલું ગુજરાતનું એકમાત્ર પક્ષી અભયારણ્ય પ્રદૂષણની ઝપટમાં



-ગાંધી જન્મભૂમિ પોરબંદરની ગેંગવોર સિવાયની અન્ય એક વિશિષ્ટ ઓળખ

-પોરબંદરનું પક્ષી અભયારણ્ય વિદેશી પક્ષીઓનું મનપસંદ સ્થળ પરંતુ ત્યાં ગંદુ પાણી ઠલવાઇ રહ્યું છે

શહેરી માનવવસતિ વચ્ચે અસ્તિત્વ ધરાવતું હોય તેવું ગુજરાતનું એકમાત્ર પક્ષી અભયારણ્ય ગુજરાતના પોરબંદરમાં આવેલું. વિદેશી પક્ષીવિદના કારણે અભયારણ્યમાં સમાવિષ્ટ થનારી આ જગ્યા હાલ પ્રદૂષણ અને બેદરકારીના કારણે દયનીય હાલતમાં છે. 

સામાન્ય રીતે અભયારણ્યો માનવસાહતોથી ઘણાં દૂર આવેલા હોય છે અથવા ત્યાં ન્યૂનતમ માનવવસાહત હોય છે પરંતુ પોરબંદરનું પક્ષી અભયારણ્ય શહેરનાં મધ્યભાગમાં છે. ગુજરાતમાં શહેરી માનવવસતિ વચ્ચે આવેલું આ એકમાત્ર અભયારણ્ય છે. 

હાલ ત્યાંના પાણીમાં પ્રદૂષણના કારણે અહીં આવતા યાયાવર પક્ષીઓની વિવિધતામાં અને સંખ્યામાં ઘટાડો આવવાનું જોખમ ઉભું થયું છે.


મધ્ય એશિયા અને યુરોપથી આવતા પક્ષીઓ માટે પોરબંદર સુધીનો રૃટ વધુ યોગ્ય હોવાથી અહીં યાયાવર પક્ષીઓ વધુ જોવા મળે છે. પોરબંદરમાં ગોઢાણિયા કોલેજ પાછળના આશરે ૯ હેક્ટર વિસ્તારના વેટલેન્ડ પ્રકારના જળાશયને અભયારણ્યના દરજ્જો મળ્યો છે.

યુરોપ અને સાઇબિરિયાથી આવતા સેંકડો ક્રેન પોરબંદરના પક્ષી અભયારણ્ય અને આસપાસના જળાશયોમાં આશરો લે છે. સુરખાબ, પેલિકન, બસ્ટર્ડ, સારસ, કુંજ જેવા લગભગ ૩૫૦ પ્રજાતિના ત્રણ લાખથી પણ પક્ષીઓ અહીં જોવા મળે છે. પોરબંદરના વેટલેન્ડ પર પીએચડી કરી રહેલા ધવલ વારગિયા કહે છે કે શહેરની વચ્ચે આવેલો ૧૫ હેક્ટરનો વિસ્તાર વેટલેન્ડ છે.

જેમાંથી નવ હેક્ટર વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અભયારણ્ય સિવાયના વિસ્તારમાં ધોબીઘાટ છે અને નગરપાલિકા ગંદુ પાણી છોડે છ. જેના કારણે પક્ષીઓની વસાહત ઘટી રહી છે.

શહેરની નજીક આવેલા ગોસાબારા ડેમ અને અમીપુર તળાવમાં પણ સંખ્યાબંધ યાયાવર પક્ષીઓ જોવા મળે છે. અહીં આવતુ ગોલ્ડન બ્લોઅર લગભગ ૩૦૦૦ કિલોમીટર સુધી સતત ઉડી શકે છે.
જાણીતા વિદેશી પક્ષીવિદ્ પીટર જેક્સન વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફન્ડના સભ્ય બન્યા તે સમયે તેઓ ભારતની મુલાકાત અવારનવાર લેતા હતા. ૧૯૮૦ના દાયકામાં પોરબંદરની મુલાકાત વખતે તેમણે શહેરની મધ્યમાં આવેલા જળ વિસ્તારમાં ફ્લેમિંગોને તદ્દન નજીકથી જોયા હતા. આ અજાયબી વિશે તેમણે તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંઘીને જાણ કરી તે વિસ્તારને અભયારણ્ય જાહેર કરવાની માગ કરી હતી. ૧૯૮૮મા આ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
થિયેટરોમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજિયાત નથી: સુપ્રીમ


- થિયેટરમાં રાષ્ટ્રગીત માટે મારપીટની ઘટના બાદ સરકાર અને સર્વોચ્ચ અદાલતે વલણ બદલ્યું

- સરકારે રાષ્ટ્રગીત ફરજિયાત ન કરવા સુપ્રીમમાં ભલામણ કરી હતી ૨૦૧૬માં સુપ્રીમે રાષ્ટ્રગીતને થિયેટરોમાં ફરજિયાત બનાવ્યું હતું, જે બાદ દિવ્યાંગોને પણ ઊભા થવા ફરજ પડાતી

સુપ્રીમ કોર્ટે આજે પોતાના જ ચુકાદાને લઇને સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે થીયેટરમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજીયાત નથી પણ વૈકલ્પીક છે. એટલે કે કોઇ વ્યક્તિ ઇચ્છે તો તેને પ્લે કરી શકે છે. પોતાના જ આદેશને સુપ્રીમ કોર્ટે મોડિફાઇ કર્યો હતો. અગાઉ ૩૦મી નવેમ્બર, ૨૦૧૬ના રોજ સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે થીયેટરમાં રાષ્ટ્રગીત વગાડવું ફરજીયાત રહેશે અને આ દરમિયાન લોકોએ ઉભા થવાનું રહેશે.
બાદમાં કેટલાક એવા કિસ્સા પણ સામે આવ્યા કે લોકોને ફરજીયાત પણે ઉભા કરવામાં આવી રહ્યા છે અને આ માટે મારામારી પણ થવા લાગી. કેટલાક દિવ્યાંગ લોકોને પણ ફરજ પાડવામાં આવી હતી. બાદમાં ગયા વર્ષે ઓક્ટોબર માસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઇને રાષ્ટ્રગીત દરમિયાન થીયેટરમાં ઉભા થવા માટે દબાણ કરવું અયોગ્ય છે.

જોકે આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારે પણ પોતાનું સ્ટેન્ડ બદલવુ પડયું હતું. કેમ કે દેશમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાષ્ટ્રગીત મુદ્દે લોકોની સાથે મારપીટની પણ ઘટના સામે આવી હતી. કોઇ વૃદ્ધ, બિમાર કે અસક્ષમ વ્યક્તિને પણ ફરજીયાત ઉભા કરાયા હતા. એક દિવ્યાંગ વ્યક્તિ ઉભો ન થઇ શક્તા ભીડે તેની સાથે મારપીટ કરી હતી. કેટલાક કિસ્સામાં આખા પરિવારને થીયેટરની બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. વધી રહેલી આવી ઘટનાઓને પગલે સરકારે પોતાનું સ્ટેન્ડ બદલવુ પડયું હતું.