મંગળવાર, 30 જુલાઈ, 2019


આનંદીબેન પટેલે યુપીના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા

- પૂર્વ રાજ્યપાલ રામ નાઈકે કાર્યભારની સોંપણી કરી
- પ.બંગાળ, ત્રિપુરા, મ.પ્રદેશ, બિહાર અને નાગાલેન્ડમાં નવા રાજ્યપાલની નિયુક્તિ
 
મધ્ય પ્રદેશના પૂર્વ ગવર્નર આનંદીબેન પટેલે સોમવારથી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. પૂર્વ રાજ્યપાલ રામ નાઈકની ઉપસિૃથતિમાં આનંદીબેન પટેલે સોમવારે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા હતા. 
લખનૌના રાજભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ગોવિંદ માથુરે નવનિયુક્ત રાજ્યપાલ આનંદીબેન પટેલને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી ચુકેલા રાજ્યપાલ રામ નાઈકે આનંદીબેનને કાર્યભારની સોંપણી કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 20 જુલાઈના રોજ મહત્વનો ફેરફાર કરીને આનંદીબેન પટેલને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા.
તેમણે ઉત્તર પ્રદેશ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મધ્ય પ્રદેશ, બિહાર અને નાગાલેન્ડમાં પણ નવા રાજ્યપાલની નિયુક્તિ કરી હતી. મધ્ય પ્રદેશમાં આનંદીબેન પટેલના સૃથાને લાલજી ટંડનને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. લાલજી ટંડન અગાઉ બિહારના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળતા હતા. 

સોમવાર, 8 જુલાઈ, 2019


બ્રહ્મોસ સુપરસોનિકની વર્ટિકલ સ્ટીપ ડાયવર્ઝનનું થયું સફળતાપૂર્વક પરીક્ષણ


500 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈપણ લક્ષ્યને ભેદી શકવાની ક્ષમતા ધરાવે છે બ્રહ્મોસ સુપરસોનિક.

ભારતે બ્રહ્મોસ સુપરસોનિકની વર્ટિકલ સ્ટીપ ડાયવર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે દુનિયાની પરંપરાગત યુદ્ધ શૈલીને સંપૂર્ણપણે બદલી નાખશે. ડીડી ન્યુઝના પત્રકાર રૂદ્રનાથ સન્યાલ સાથે ખાસ વાતચીતમાં બ્રહ્મોસ એરોસ્પેસના સીઇઓ ડો સુધીર મિશ્રાએ જણાવ્યું હતું કે ભારતમાં અને ભારત દ્વારા બનેલી આ બ્રહ્મોસ મિસાઈલ લાંબા અંતર લક્ષ્યને ભેદવામાં નિપુર્ણ છે. 500 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈપણ લક્ષ્યને ભેદી શકવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલને સુખોઈ -30 ફાઇટર જેટની મદદથી છોડી શકાય છે.
 


પોખરણમાં એન્ટી ટેન્ક મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ થયું

- પોખરણમાં ત્રણ વાર સફળ પ્રયોગ કરાયો

- નાગ ત્રીજી પેઢીના એન્ટી ટેન્ક મિસાઇલ છે

સંપૂર્ણપણે સ્વદેશી એવા એન્ટી ટેન્ક મિસાઇલ નાગનું રવિવારે સફળ પરીક્ષણ કરાયું હતું. આ મિસાઇલ ત્રીજી પેઢીના એન્ટી ટેન્ક મિસાઇલ છે.
રવિવારે પોખરણની ફાયરિંગ રેંજમા આ મિસાઇલનું દિવસે તેમજ રાત્રે સફળતાથી પરીક્ષણ થયું હતું. 
આ મિસાઇલથી આપણા સંરક્ષણ ખાતાને સુદ્રઢ થવા મળ્યું છે. આ મિસાઇલ પૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યાં છે એેવું સંરક્ષણ ખાતાના પ્રવક્તાએ કહ્યું હતું.


ચંદ્રયાન-2 ને અંતરીક્ષમાં મોકલવા ઇસરો તૈયાર
- ઇસરોના સાતમા કોન્વોકેશનમાં ડૉક્ટર કે સિવને જાહેર કર્યું
- રવિવારે લોંચિંગ પેડ પર લઇ ગયા
ચંદ્રયાન ટુને અંતરીક્ષમાં મોકલવા ઇસરો તૈયાર હોવાની ઔપચારિક જાહેરાત ડૉક્ટર કે સિવને કરી હતી. ઇસરોના સાતમા પદવીદાન સમારોહમાં ડૉક્ટર સિવન બોલી રહ્યા હતા.
તેમણે શનિવારે કરેલી જાહેરાત મુજબ આ ચંદ્રયાન ટુને રવિવારે લોંચિંગ પેડમાં લઇ જવાયું હતું. જિયો-સિંક્રોનસ લોંચ વેહિકલ (જીએસએલવી) દ્વારા એેને અંતરીક્ષમાં મોકલવાની તૈયારી થઇ ચૂકી છે એમ ડૉક્ટર સિવને કહ્યું હતું. તેમણે કહ્યું કે 15મી જુલાઇએ લોંચ કરાશે. એની સફળતાની અપેક્ષા ઉપરાંત કદાચ જરૂર પડે તો વૈકલ્પિકવ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. આ ઓપ્શનલ તૈયારીનું પરીક્ષણ 13મી જુલાઇએ કરવાની અમારી યોજના છે. આ ચંદ્રયાન ટુ દ્વારા આપણે ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવ પર જવાની યોજના બનાવી છે. અત્યાર અગાઉ ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવ પર દુનિયાનો કોઇ દેશ પહોંચ્યો નથી.
ડૉક્ટર સિવને કહ્યું કે ચંદ્રયાન ટુનું રોવર ચંદ્ર પર ક્યારે ક્યાં જશે એની તમામ ટેક્નિક કાનપુરના આઇઆઇટી વિભાગે તૈયાર કરી હતી. તદનુસાર એનો પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો હતો. કાનપુરના ઇલેક્ટ્રીક એંજિનિયરીંગ વિભાગના સિનિયર પ્રોફેસર કે એ વેંક્ટેશ અને મિકેનિકલ એંજિનિયરીંગ વિભાગના સિનિયર પ્રોફેસર આશિષ દત્તાએ આખી ય વિગતો તૈયાર કરી છે અને એની પૂરેપૂરી ચકાસણી પર કરવામાં આવી હતી.

રવિવાર, 7 જુલાઈ, 2019

પિંક સિટી જયપુરને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરનો દરજ્જો આપ્યો

- રાજસ્થાનમાં કુલ 37 વૈશ્વિક ધરોહર તરીકે સ્થાન પામેલા સ્થળો

- વૈશ્વિક ધરોહરનો દરજ્જો મળવાને કારણે પ્રવાસન વધશે

 
અનેક લોકોને રોજગારી મળશે, સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બનશે
વાસ્તુ કળાનો શાનદાર વારસો અને પોતાની જીવંત સંસ્કૃતિ માટે પ્રખ્યાત પ્રાચીન શહેર જયપુરને યુનેસ્કોની વૈશ્વિક ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું છે. ૩૦ જૂનથી ૧૦મી જુલાઈ દરમિયાન બાકૂ(અજરબૈજાન) ખાતે મળેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને શનિવારે રાજસ્થાનની રાજધાની જયપુરને આ દરજ્જો સોંપવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુરને વૈશ્વિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું તે અંગે ટ્વિટરના માધ્યમથી આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, 'મનોહર અને ઉર્જાવાન જયપુરનું આતિથ્ય સમગ્ર વિશ્વના લોકોને આકર્ષિત કરે છે. યુનેસ્કોએ આ શહેરને વૈશ્વિક ધરોહરના સ્થળ તરીકે ચિહ્નિત કર્યું તેનો આનંદ છે.'
રાજસ્થાનના ઐતિહાસિક સ્થળ જયપુરની સ્થાપના સવાઈ જય સિંહ દ્વિતીયના સંરક્ષણમાં થઈ હતી અને સાંસ્કૃતિકરુપે સંપન્ન એવું આ શહેર રાજસ્થાન રાજ્યની રાજધાની છે. રાજસ્થાનમાં કુલ ૩૭ વૈશ્વિક વારસા તરીકે સ્થાન પામેલા સ્થળો આવેલા છે જેમાં ચિત્તોડગઢનો કિલ્લો, કુંભલગઢ, જેસલમેર, રણથંભોર અને ગાગરોનના કિલ્લાનો સમાવેશ થાય છે. 
૨૦૧૭ના ઓપરેશન ગાઈડલાઈન અંતર્ગત દર વર્ષે એક રાજ્યમાંથી માત્ર એક સ્થળને જ વૈશ્વિક ધરોહર જાહેર કરવા પ્રસ્તાવિત કરી શકાય છે. જયપુરને આ દરજ્જો મળવાને કારણે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન મળશે, સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત થશે અને અનેક લોકોને રોજગારી મળશે. આ ઉપરાંત હસ્તશિલ્પ અને વણાટકામ ઉદ્યોગને પણ ફાયદો થશે. 
યુનેસ્કોની વૈશ્વિક વારસા કમિટીની ૪૩મા સત્રની બેઠકમાં જયપુરને આ સન્માન આપવામાં આવ્યું હતું. બેઠક બાદ યુનેસ્કો દ્વારા ટ્વિટરના માધ્યમથી આ અંગે જાણ કરવામાં આવી હતી અને ટ્વિટમાં લખ્યું હતું કે, 'ભારતના રાજસ્થાનમાં આવેલા જયપુર શહેરને યુનેસ્કોના વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે.'
જાણવા મળ્યા મુજબ સ્મારક અને સ્થળ અંગેની આંતરરાષ્ટ્રીય પરિષદે ૨૦૧૮ની સાલમાં આ માટે શહેરનું નિરીક્ષણ કર્યું હતું. નામાંકન બાદ બાકૂમાં ડબલ્યુએચસીએ આ મુદ્દે ધ્યાન આપ્યું હતું યુનેસ્કો દ્વારા તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

શનિવાર, 6 જુલાઈ, 2019

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 118મી જન્મજયંતિ નિમિત્તે ભાજપાના સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી
- પાંચ વર્ષથી દેશમાં પ્રધાનમંત્રીના નેતૃત્વ અને દિર્ધદ્રષ્ટીને કારણે આજે સમગ્ર વિશ્વમાં દેશનું ગૌરવ વધ્યું છે : એસ.જયશંકર
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહી સદસ્યતા વૃધ્ધિ અભિયાન તેમજ સદસ્યતા વૃધ્ધિ અભિયાનના ગુજરાતી થીમ સોંગનું લોન્ચીંગ કર્યુ હતુ. ભાજપાના સદસ્યતા અભિયાનનો શુભારંભ કરાવતાં રૂપાણીએ જણાવ્યુ કે, કાશ્મીરમાં ‘‘દો વિધાન, દો પ્રધાન અને દો નિશાન’’ની વિરૂધ્ધમાં આંદોલન કરતાં પોતાના પ્રાણની આહુતિ આપનાર ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની આજે 118મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ ભાજપાના સંગઠન પર્વનો શુભારંભ થઇ રહ્યો છે, ત્યારે આપણા માટે એક ગૌરવપૂર્ણ વાત છે.