શનિવાર, 14 જુલાઈ, 2018

આજે જગન્નાથજીની 141મી રથયાત્રા: 'જગતના નાથ' પુષ્યનક્ષત્રમાં નગરચર્યાએ નીકળ્યા


- ભગવાન રાજાધિરાજના વેશમાં દર્શન આપ્યાં

- 'મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે'ના નાદથી માર્ગો ગૂંજી ઉઠ્યાં


ઇશ્વરના દર્શનનો લ્હાવો લેવા માટે ભક્તને સામાન્ય રીતે મંદિર સુધી જવું પડતું હોય છે. પરંતુ અષાઢી બીજ એકમાત્ર એવું વિશિષ્ટ પર્વ છે જ્યારે 'જગતના નાથ' એવા ભગવાન જગન્નાથ સ્વંય નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપવા માટે આવે છે. અમદાવાદના પ્રાચિન જગન્નાથ મંદિરથી આવતીકાલે ૧૪૧મી રથયાત્રા નીકળશે ત્યારે ભક્તોનું ઘોડાપુર ભગવાન જગન્નાથની એક ઝલક મેળવીને ધન્ય થવા માટે ભક્તિરસમાં તરબોળ બનશે. 'મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે'ના ગગનભેદી નાદ સાથે માર્ગ ગૂંજી ઉઠશે.

આ વખતે અષાઢી બીજે પુષ્ય નક્ષત્રનો અનોખો સંયોગ સર્જાયો છે. આમ, ભગવાનની નગરચર્યા વખતે પુષ્યનક્ષત્ર હશે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બળભદ્ર એમ બે ભાઇ સાથે બહેન સભદ્રાની પણ પૂજા થતી હોય તેવો પુણ્ય ઉત્સવ છે. ૧ કિલોમીટર લાંબી એવી આ રથયાત્રા અમદાવાદના ૧૮.૫ કિલોમીટરના માર્ગમાં ફરશે. ભગવાન જગન્નાથે ગત વર્ષે ગોવાળિયા સ્વરૃપે દર્શન આપ્યા હતા જ્યારે આ વખતે રાજાધિરાજના સ્વરૃપમાં ભગવાન દર્શન આપશે.

આવતીકાલે ૪ વાગે યોજાનારી મંગળા આરતીમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહેશે. સાંજે ૪:૩૦ વાગે મંદિરમાં વિશિષ્ટ ભોગ (ખીચડી, કોળા ગવારફળીનું શાક, દહીં) ભગવાનને ધરાવાશે. આ વિશિષ્ટ પ્રસાદ લેવા માટે ભક્તોની મોટી સંખ્યામાં ઉમટી પડશે. સવારે ૫થી ભગવાનની આંખોથી પાટા ખોલવાની વિધિ શરૃ કરાશે અને ત્યારે આદિવાસી નૃત્ય-રાસ-ગરબા પણ યોજવામાં આવશે. સાંજે ૫:૪૫થી ભગવાનનો રથમાં પ્રવેશ થશે.
Jai Jagannathay Namah - 141th Yatra