સોમવાર, 18 માર્ચ, 2019

પર્રિકર રાજકીય સમ્માન સાથે પંચમહાભૂતમાં વિલિન, સેંકડો ચાહકો ભાવુક થયા

 

- મોદી, અમિત શાહ સહિતના નેતાઓએ પૂર્વ સંરક્ષણ પ્રધાનને અંતિમ વિદાય આપી

- અનેક મહિલાઓ મારો ભાઇ જતો રહ્યો કહીને ચોધાર આંસુએ રડી

 
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીની આંખોમાં પણ આંસુ આવ્યા 
મિરામાર બીચ પર ગોવાના પહેલા મુખ્ય પ્રધાન દયાનંદની સમાધિની બાજુમાં પુત્રએ પર્રિકરને મુખાગ્નિ આપ્યો

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું રવિવારે ૬૩ વર્ષની વયે નિધન થયું હતું. સોમવારે તેમની અંતિમવીધી કરવામા આવી હતી, જેમાં તેમના હજારો સમર્થકો જોડાયા હતા. સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહીતના નેતાઓ પણ આવ્યા હતા. પર્રિકરની અંતિમવીધી ગોવાના મારીમાર વિસ્તારમાં કરવામાં આવી હતી.
તેમના દેહને અંતિમ દર્શન માટે અહીંની કાકા એકેડમી ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહીતના નેતાઓએ પૂર્વ સંરક્ષણ પ્રધાન પર્રિકરને શ્રદ્ધાંજલી પાઠવી હતી. બાદમાં તેમને અહીંના મિરામાર વિસ્તારમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની અંતિમવીધી કરવામાં આવી હતી. 
અંતીમવીધીમા ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ શાસીત રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજર રહ્યા હતા. દરમિયાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની ભાવુક થઇ ગયા હતા. ચાર વખત ગોવાના મુખ્ય પ્રધાન રહી ચુકેલા પર્રિકર જ્યારે કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાન હતા ત્યારે સૈન્યને ખુલ્લી છુટ આપી હતી તેથી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં સફળતા મળી હતી.
તેમની જે મિરામાર બીચ પર અંતિમવીધી કરવામાં આવી તેની બાજુમાં જ ગોવાના પહેલા મુખ્ય પ્રધાન દયાનંદ બંદોદકરની પણ સમાધી આવેલી છે. પર્રિકરને તેમના પુત્રએ મુખાગ્ની આપી હતી. રાજકીય સમ્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. જ્યારે સોમવારે કેન્દ્ર સરકારે દેશમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો. જ્યારે ગોવાની સરકારે સાત દિવસનો શોક જાહેર કર્યો હતો. 
દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા, અનેક સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓની આંખોમાં આંસુ પણ હતા. સાદગીના પ્રતિક સમાન મનોહર પર્રિકરની એક ખાશીયત એ પણ હતી કે તેઓ ક્યારેય સ્કૂટ પર પણ મુખ્ય પ્રધાનની ઓફિસે પહોંચી જતા હતા. તેમની આ સાદગીને કારણે પણ લોકો તેમને બહુ યાદ કરી રહ્યા છે. ગોવામાં ચાર વખત મુખ્ય પ્રધાન રહ્યા તે દરમિયાન અનેક મહત્વપૂર્ણ પગલા પણ લીધા હતા. તેમના બન્ને પુત્રોના ઉછેરમાં પણ પર્રિકરે ધ્યાન આપ્યું.