રવિવાર, 8 સપ્ટેમ્બર, 2019


PM નરેન્દ્ર મોદીએ ઔરંગાબાદમાં ઓરિક સિટીનું ઉદ્ધાટન કર્યુ



મુંબઈમાં ત્રણ મેટ્રો લાઈનની આધારશિલા પણ મૂકી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , મહારાષ્ટ્ર ના ઔરંગાબાદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સૌપ્રથમ સ્વયં સહાયતા સમૂહની એક પ્રદર્શની નિહાળી હતી. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ ગ્રામીણ મહારાષ્ટ્રના બદલાવ પર લખવામાં આવેલ એક પુસ્તકનું, વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ ઔદ્યોગિક શહેરનાં હોલ બિલ્ડીંગ અને કમાંડ સેંટરનું ઉદ્ધાટન કર્યું હતું. તેમજ ઔદ્યોગિક શહેર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડનું એલપીજી ગેસ કનેક્શનનું વિતરણ પણ કર્યું હતું. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ અહીં મહિલાઓ માટે આયોજીત કરવામાં આવેલ સ્વયં સહાયતા સંમ્મેલનને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઔરંગાબાદ નવું સ્માર્ટ સીટી બની રહ્યું છે અને ઔદ્યોગિક ગતિવિધિનું કેન્દ્ર પણ બનશે. તે માટે ઔદ્યોગિક કંપનીઓએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ ગેસ કનેક્શન આપવાનું લક્ષ્ય 7 મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને તેમાંથી 44 લાખ ગેસ કનેક્શન માત્ર મહારાષ્ટ્રમાં જ આપવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ, મુંબઇ બાંગડોગરી સ્ટેશન ખાતે , ત્રણ મેટ્રોલાઇનનું ભૂમિપુજન કર્યું હતું. સમગ્ર મુંબઇમાં 320 કિલોમીટર મેટ્રોનેટવર્ક, 2024 સુધીમાં પૂર્ણ થશે ત્યારે લગભગ 1 કરોડ લોકો મુસાફરી કરી શકશે. જેમાં આધુનિક સીગ્નલ સીસ્ટમથી સમગ્ર નેટવર્ક તૈયાર થશે. આ યોજનામાં 50 હજાર લોકોને સીધી રોજગારી મળશે. પ્રધાનમંત્રી દ્વારા રીમોટ કંટ્રોલથી "મેટ્રો-માર્ગની" 3 આધારશીલા મુક્યા બાદ મેટ્રોભવનનું ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. સમારોહને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બેંગલુરૂમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ જે જુસ્સો બતાવ્યો છે, તેમાંથી આપણે સૌ શીખી શકીએ છીએ. તેમણે કહ્યું કે લક્ષ પ્રાપ્ત કરનારા 3 પ્રકારના લોકો હોય છે. પરંતુ સૌથી ઉચા સ્તરે તે લોકો પહોચે છે જે લગાતાર પડકાર સામે નિરંતર પ્રયાસ કરી લક્ષ પ્રાપ્ત કરીને જ રહે છે. ઇસરોના સ્ટાફ સભ્યો, લક્ષ પ્રાપ્ત કરનારા સુધી લગાતાર પ્રયત્નશીલ રહે છે. તેમણે કહ્યું કે ચંદ્ર ઉપર પહોંચવાનું સ્વપ્ન જરૂર પૂર્ણ થશે. આજે મુંબઇમાં MMRDA ની 20 હજાર કરોડ રૂપિયાની યોજના શરૂ થઇ છે. તે માટે લોકોને શુભેચ્છા પાઠવું છું. આ યોજનાથી લોકોનું જીવન સરળ કરવામાં મદદ મળશે. આવી અનેક યોજનાથી મુંબઇમાં બદલાવની શરૂઆત થઇ છે.