શનિવાર, 26 જાન્યુઆરી, 2019

ક્રાંતિકારી દુર્ગાભાભી ભગતસિંહને ધરપકડથી બચાવવા અંગ્રેજ મેડમ બન્યા હતા

-       એસેમ્બલીમાં બોંબ ફેંકવા જઇ રહેલા ભગતસિંહને પોતાના લોહીથી તિલક કર્યુ હતું

-       તેઓ સ્વાતંત્ર સેનાની ભગવતિ ચરણ બોહરાના ધર્મ પત્ની હતા.


ભારતને આઝાદી અપાવી પ્રજાસત્તાક બનાવવામાં અનેક મહિલાઓએ યોગદાન આપ્યું છે તેમાં સ્વાતંત્રસેનાની દુર્ગા ભાભીનો પણ મોટો ફાળો છે. સાર્ડસની હત્યા કર્યા પછી કલકત્તા મેલમાં અંગ્રેજોથી બચવા માટે અંગ્રેજ પતિ પત્ની નો વેશ ધારણ કરીને ભગતસિંહને કલકત્તા પહોંચાડયા હતા. તે હંમેશા પોતાની પાસે પિસ્તોલ રાખતા હતા. દુર્ગાભાભીનો જન્મ ૭ ઓકટોબર ૧૯૦૭માં શહજાદપુરમાં થયો હતો. તેઓ સ્વાતંત્ર સેનાની ભગવતિ ચરણ બોહરાના ધર્મ પત્ની હતા. 
ભગવતી ચરણ બોહરાના પિતા રેલવે ખાતામાં ઉચ્ચ પદ પર બિરાજમાન હતા છતાં તેઓ બ્રિટિશ સરકાર સામે લડવા માટે તૈયાર કરેલા એક ક્રાંતિકારી સંગઠનના સચિવ બન્યા હતા. દુર્ગાભાભી પણ પતિના પગલે ક્રાંતિકારીઓની મદદ માટે આગળ બહાર આવ્યા હતા. આ બંને દંપતિએ એ જમાનામાં રુપિયા ૫૦ હજાર ક્રાંતિકારીઓ માટે ખર્ચ કર્યા હતા. ઇસ ૧૯૨૬માં ભગવતિ ચરણ બોહરાએ ભગતસિંહની સાથે લોહીથી લખાયેલા કાગળ પર હસ્તાક્ષર કર્યા હતા. ભગવતી ચરણ બોહરા ૨૮ મે ૧૯૩૦ના રોજ રાવી નદીના કાંઠે તેમના સાથીઓની સાથે બોંબ બનાવી રહયા હતા બોંબના પરીક્ષણ દરમિયાન શહીદ થયા હતા. પતિની શહિદ થયા પછી દુર્ગાભાભીએ ભગતસિંહ,ચંદ્રશેખર આઝાદ જેવા શહીદોને મદદ અને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું હતું. 
૯ ઓકટોબર ૧૯૩૦ના રોજ દુર્ગાભાભીએ ગર્વનર હેલી પર ગોળીઓ છોડી જેમાં હેલી બચી ગયો પરંતુ તેનો એક સૈનિક અધિકારી ટેલર ઘાયલ થયો હતો. ત્યાર બાદ મુંબઇના પોલીસ કમિશ્નરને પણ દુર્ગાભાભીએ ગોળી મારી હતી. આથી પોલીસ આ ક્રાંતિકારી મહિલાની શોધખોળ પાછળ પડી ગઇ હતી. મુંબઇમાં એક મકાનમાંથી દુર્ગાભાભી તથા યશપાલની ધરપકડ કરવામાં આવી હતી. દુર્ગાભાભી રાજસ્થાનથી ક્રાંતિકારીઓ માટે પિસ્તોલ પુરી પાડવાની કામગીરી કરતા હતા. 
ચંદ્રશેખર આઝાદે અંગ્રેજો સામે લડતા લડતા શહીદી વ્હોરી લીધીએ પિસ્તોલ પણ દુર્ગાભાભીએ જ લાવી આપી હતી.તેમણે પિસ્તોલ ચલાવવાની તાલિમ લાહોર અને કાનપુરમાં લીધી હતી. ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે જયારે કેન્દ્રીય એસેમ્બલીમાં બોંબ ફેંકવા જઇ રહયા હતા ત્યારે પોતાના લોહીથી તિલક કર્યું હતું.
ભગતસિંહને ફાંસી અપાયા પછી દુર્ગાભાભી સાવ એકલા પડી ગયા હતા.પોતાના પાંચ વર્ષના પુત્રને લઇને અભ્યાસ માટે દિલ્હી આવ્યા જેની પોલીસને જાણ થતા લાહોર જતા રહયા હતા. પોલીસે અહી તેમની ધરપકડ કરીને ત્રણ વર્ષ સુધી નજર કેદ રાખ્યા હતા. જેલમાંથી છુટીને ૧૯૩૫માં ગાઝીયાબાદમાં પ્યારેલાલ કન્યા વિધાલયમાં નોકરી કરવા લાગ્યા હતા. ઇસ ૧૯૩૯માં મદ્રાસ જઇને મારિયા મોન્ટેસરીમાં મોટેસરી પધ્ધતિનું શિક્ષણ લઇને ૧૯૪૦માં લખનૌ કેન્ટ રોડ પાસે નજીરાબાદમાં પાંચ વિધાર્થીઓ સાથે મોન્ટેસરી શાળા ખોલી હતી જે આજે મોન્ટેસરી ઇન્ટર કોલેજના નામથી ઓળખાય છે. ૧૪ ઓકટોબર ૧૯૯૯ના રોજ ગાજીયાબાદમાં દુર્ગાભાભીનું અવસાન થયું હતું.

રેલવેતંત્ર દ્વારા ગુજરાતમાં પ્રથમ બાળ સંરક્ષણ ગૃહ અમદાવાદમાં શરૂ કરાયું

 

- રેલવે સ્ટેશન પરથી મળતા બાળકોને આશરો અપાશે

- દેશમાં આવા 6 શેલ્ટર હોમ શરૂ કરાયા છે, બાળકોને રહેવા સહિતની સુવિધા અપાશે

 
ટ્રેનો અને રેલવે સ્ટેશનોમાંથી મળી આવતા નિરાધાર બાળકોને આશ્રય આપી તેનું જતન કરવા માટે સાબરમતી રેલવે કોલોની ખાતે બાળ સંરક્ષણ ગૃહનું નિર્માણ કરાયું છે. જેમાં એકસામટા ૨૫ બાળકોના રહેવા, જમવા , સારવાર સહિતની સુવિધાઓ મળી રહેશે. દેશભરમાં રેલવેમાં આવા ફક્ત ૬ શેલ્ટર હોમ છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌપ્રથમ આવું બાળ સંરક્ષણ ગૃહ બનાવાયું છે.
ભારતીય રેલવે અને જેએસી સોસાયટીના સહયોગથી સરસપુર રેલવે કોલોની ખાતે બનાવાયેલા બાળ સંરક્ષણ ગૃહનું ગઇકાલે ઉદઘાટન કરાયું હતું. આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ બાળ સંરક્ષણ ગૃહની સાથે ચાઇલ્ડ હેલ્પ લાઇન ડેસ્કની પણ શરૂઆત કરાઇ છે.
જેમાં રેલવે સ્ટેશન તેમજ પ્લેટફોર્મ પરથી મળતા બાળકોને ચાઇલ્ડ હેલ્પલાઇન ૧૦૯૮ની મદદથી અહીંયા લવાશે. જ્યાં તેમને સુરક્ષાની સાથે રહેવા, જમવા સહિતની સુવિધાઓ પુરી પડાશે.
રેલવે દ્વારા પ્રાયોગીક ધોરણે દેશમાં આવા બાળ સરંક્ષણ ગૃહ દિલ્હી, જયપુર, દાણાપુર, સમસ્તીપુર ખાતે શરૂ કરાયા છે. હવે ગુજરાતમાં અમદાવાદ ખાતે આવા શેલ્ટર હોમ શરૂ કરાયા છે. માનવતાના ધોરણે બાળકોની સુરક્ષા અને તેમના ભવિષ્યની ચિંતાને લઇને આ માનવતાલક્ષી પગલુ ભરાયું છે.

રાજકોટ સત્યાગ્રહ.. પ્રજા ઉપર દમન ગુજારાતા વર્ધાથી રાજકોટ આવ્યા'હતા પૂ. કસ્તુરબા

 

- જયારે ગાંધીજી ઉપર હૂમલો કરવા ગિરાસદારો ખુલ્લી તલવારો સાથે રાષ્ટ્રીય શાળા પહોંચ્યા હતાં

- રાજકોટ સ્ટેટ સામેના સત્યાગ્રહમાં કુલ ૧૫૫૮ વ્યક્તિઓએ વ્હોરી હતી ધરપકડ, હલેન્ડા સુધી યોજાઈ હતી કૂચ

- આઝાદીની લડતમાં વિશિષ્ટ યોગદાન ધરાવતા રાજકોટ સત્યાગ્રહને આજે ૮૦ વર્ષ પુરા થશે: રાષ્ટ્રીય શાળામાં  પુ. બાપુએ કર્યા 'તા પાંચ દિ'ના ઉપવાસ


૨૬ જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિન પરંતુ રાજકોટના ઈતિહાસમાં ૨૬ જાન્યુઆરી ૧૯૩૯નો દિન એ પ્રજાકીય દમન સામેનાં સત્યાગ્રહના પ્રારંભ સાથે જોડાયેલા છે. આ દિવસે રાજાશાહી અત્યાચારનાં વિરોધમાં પ્રજાકીય ચળવળ શરૂ થઈ હતી. 

આંદોલનમાં જોડાયેલા અહિંસક સેનાનીઓ ઉપર લાઠીમાર થયો હતો. ધરપકડો થઈ હતી. સત્યની લડત માટે વર્ધાથી પુ. કસ્તુરબા રાજકોટ દોડી આવ્યા હતાં. તેમની સાથે સરદાર પટેલના પુત્રી મણીબેન પણ આવ્યા હતાં. તેઓને સૌ પ્રથમ સરધારની જેલમાં અને ત્યાર પછી ત્રંબા ખાતે નજરકેદ રાખવામાં આવ્યા હતાં. 
આઝાદીના ઈતિહાસના અનેક પ્રકરણો રાજકોટ ાસથે જોડાયેલા છે પરંતુ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પ ટેલ અને ખાદી વિચારને વરેલા ઉછરંગરાય ઢેબરથી માંડીને અનેક સત્યાગ્રહીઓ માટે રાજકોટએ અહિંસક આંદોલનની પાઠશાળા તરીકે જાણીતું રહ્યું છે. અહીના અહિંસક આંદોલને જ દેશમાં સ્વતંત્રતાની લડતને મજબુતી બક્ષી હતી. આઠ દાયકા પુર્વેની ૨૬ જાન્યુઆરીની તવારીખ રાજકોટના સત્યાગ્રહ સાથે વિશિષ્ટ રીતે જોડાયેલી છે.
રાજકોટ સત્યાગ્રહની ઈતિહાસના પાના ઉપર નોંધાયેલી તવારીખ એવી છે કે રાજકોટમાં ઈ.સ. ૧૯૩૦માં પ્રજાહિત પ્રેમી રાજા લાખાજી રાજના અવસાન પછી તેમના પુત્ર ધર્મેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા તેઓ તેમના દીવાન વીરાવાળાની પ્રબળ અસર હેઠળ હતાં. વીરાવાળા જાણે રાજયનો મનસ્વી રીતે વહીવટ કરી રહ્યાં હતાં. 

તેઓએ દીવાસળી, ખાંડ, બરફ, સિનેમાઘર વિગેરેના ઈજારા આપ્યા દાણાપીઠનું મકાન વેંચવા કાઢયું પાવર હાઉસ ગિરો મુકવાની તૈયારી કરી કાર્નિવલ નામની કંપનીને જન્માષ્ટમીમાં જુગાર રમાડવાનો પરવાનો આપી નોટી ફી વસુલી ખેડૂતો ઉપર વિવિધ કરવેરા લાગુ કર્યા હતાં. સમય દરમિયાન રાજકોટની કાપડ મિલમાં હડતાલ પાડી મજુરોએ સફળતા મેળવી હતી. 

તેથી જન આંદોલનને ચિનગારી ફૂંકવાની જ જરૂર હતી. એ સમયે રાજય સામે લડત શરૂ થઈ મેળામાં જુગારધામ  બંધ કરવા જાહેર સભા ભરાઈ પોલીસે લાઠી માર કરી સભા બંધ કરાવી કાર્યકરોએ સાંગણવા ચોકમાં આવી સભા ભરી તો ત્યાં પણ પોલીસે નેતાઓને પકડી લાઠી ચાર્જ કર્યો. આ ઘટનાના પડઘા મુંબઈ સુધી પડયા હતાં. ૧૮ ઓગષ્ટ ૧૯૩૮નાં મુંબઈમાં સરદાર પટેલે જાહેર સભામાં રાજકોટના વહીવટની ટીકા કરી લડતને આહવાન આપ્યું. 

સ્થાનિક શાસન સામે લડવા સત્યાગ્રહીઓ તૈયાર થયા. ઠેર-ઠેર સભા સરઘસ યોજાયા. ગાંધી વિચાર સરણી ધરાવતા ઉછરંગરાય ઢેબર સહિતના નેતાઓની ધરપકડ થતા આંદોલન ચાલ્યું. પ્રજામાં જાગૃતિ લાવવા રાજકોટથી ૩૭ કિ.મી. દૂર આવેલા હલેન્ડા ગામ સુધી પગવાળા કૂચ યોજાઈ સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળોએ સ્ત્રીઓ પણ સત્યાગ્રહની લડતમાં સામેલ થઈ પ્રજા જાગુ્રતિની પ્રચંડ લહેર ચારે બાજુ ફરી વળી હતી. લડતનો રંગ જામતો હતો. 

રાજકોટ સ્ટેટે કુલ ૧૫૫૮ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. દરમિયાન દેશી રાજયોને નાણાં ધીરનાર દુર્ગાપ્રસાદ દેસાઈ અને ભાવનગરના દિવાન અનંતરાય પટ્ટણીની દરમિયાનગીરીથી સરદાર પટેલ રાજકોટ આવ્યા. તેમણે સમાધાન માટે જે સમિતિના નામો સુચવ્યા તેનો ભંગ થતા તા.૨૬ જાન્યુ. ૧૯૩૯થી રાજકોટ સત્યાગ્રહનો ફરીથી પ્રારંભ થયો આ સત્યાગ્રહને દાબી દેવા માટે રાજકોટ સ્ટેટ તરફથી આકરા પગલાં લેવામાં આવ્યા. 

પ્રજાએ ઠેર-ઠેર હડતાલ પાડી કેટલાક કાર્યકરોની ધરપકડ થઈ તો કેટલાકને પકડીને ઝાડીમાં ફેંકી દેવામાં આળ્યા. કેટલાક કાર્યકરોનાં કપડા ઉતારી લેવાતા હતાં. આ  બનાવોથી વ્યથિત થઈને વર્ધાથી પુ. કસ્તુરબા ગાંધી રાજકોટ આવી પહોંચ્યા તેમની સામે સરદાર પટેલના પુત્રી મણીબહેન પટેલ પણ હતા. રાજકોટ આવતા તેમની ધરપકડ કરી સરધાર એ પછી ત્રંબામાં કેદ કરવામાં આવ્યા. જયાં કસ્તુરબાને નજરકેદ રાખવામાં આવ્યા હતાં. તે ત્રંબામાં આજે પણ કસ્તુરબા ધામ જર્જરિત હાલતમાં જોવા મળે છે.
રાજકોટ રાજયનાં અંધેરવહીવટ સામે ગાંધીજી રાજકોટ આવ્યા. તેમણે રાજયના નિમંત્રણનો અસ્વીકાર કરીને રાષ્ટ્રીય શાળામાં ઉતરવાનુ નક્કી કર્યું. રાજવીને સમજાવવાનો પ્રયાસો કર્યા. પરંતુ નિષ્ફળ ગયા. ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં પાંચ દિવસના ઉપવાસ કર્યા. છેવટે સમાધાન માટે હિંદના વડા ન્યાયધીશ સર મોરીસ ગ્વાપરના ચુકાદાને સ્વીકારવાનું નક્કી થયું. તેમણે સમાધાન સમિતિના સભ્યો માટે સરદાર પટેલને હવાલો  સોંપ્યો. 

ત્યારપછી તેઓએ જ નામ સુચવ્યા તેમાં પણ વાંધા વિરોધ થતા મંત્રણાઓ પડી ભાંગી ૧૬ એપ્રિલની સાંજે ૫૦૦થી ૬૦૦ ગિરાસદારો ખુલ્લી તલવારો સાથે સરઘસ કાઢી રાષ્ટ્રીયશાળાએ પહોંચ્યા ત્યાં ગાંધીજી ઉપર સાંય પ્રાર્થના સમયે હૂમલો કરવાની યોજના હતી. પરંતુ ગિરાસદાર એસોસોસીએશનના પ્રમુખ હરિસિંહજી ગોહિલે ગાંધીજીને ટેકો આપી મોટરમાં યજમાન નાનાલાલ જસાણીના ઘેર મોકલ્યા. 

અંતે તા.૨૪ એપ્રુલ ૧૯૩૯ના વ્યથિત  મને ગાંધીજીએ રાજકોટ છોડવાનો નિર્ણય કર્યો. કેટલાક કાર્યકરોએ આ નિર્ણયનો વિરોધ કર્યો. કેટલાક હતાશ નિરાશ થયા. પરંતુ ગાંધીજીએ હું હાર્યો છું તેમ કહી રાજકોટ છોડી દીધું આ ઐતિહાસિક પ્રકરણ આજે પણ ગાંધીજીની અહિંસક લડતના ઈતિહાસમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.

૮૫૫ પોલીસ જવાનોને પોલીસ અને ૮૬ જવાનો ફાયર સર્વિસ મેડલ

- પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સન્માન

- સીઆરપીએફના શહીદ મોહમંદ યાસીન, બોરાસે દિનેશ અને જસવંત સિંહને મરણોત્તર ગેલેન્ટ્રી એવોર્ડ

પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ સરકારે સીઆરપીએફના ત્રણ શહીદ જવાનને પ્રેસિડેન્ટસ પોલીસ મેડલથી સન્માન્યા હતા તેમજ કુલ ૮૮૫ પોલીસ જવાનોનું તેમની વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાયું હતું.
સીઆરપીએફના શહીદ જવાન મોહમ્મદ યાસીન, બોરાસ દિનેશ અને જસવંત સિંહને મરણોત્તર પ્રેસિડેન્ટ પોલીસ મેડલ એનાયત થયો હતો. જ્યારે ૧૪૬ જવાનોને પોલીસ મેડલ, ૭૪ જવાનોને પ્રેસિડેન્ટ પોલીસ મેડલ અને ૬૩૨ જવાનને ઉચ્ચ કક્ષાની સેવા બદલ મેરિટોરિયલ એવોર્ડ અપાયા હતા.
પોલીસ મેડલમેળવનાર ૧૪૬ જવાનો પૈકી ૪૧ સીઆરપીએફ, ૨૬ ઓડિશા પોલીસ, ૨૫ જમ્મુ અને કાશ્મીર, ૧૪ છત્તીસગઢ પોલીસ, ૧૩ મેઘાલય, ૧૦ ઉત્તર પ્રદેશ અને આઠ બોર્ડર સિક્યુરિટી પોલીસ હતા. દિલ્હી પોલીસના ચાર, ઝારખંડમાંથી ત્રણ અને આસામ તેમજ ઈન્ડો તિબેટન પોલીસના એક એક જવાનનો સમાવેશ થાય છે.
દરમિયાન ૮૬ જવાનને ફાયર સર્વિસ મેડલનું સન્માન અપાયું હતું.
હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ મેડલ ૫૮ જવાનને એનાયત થયા હતા. તે પૈકી આઠ જવાનને પ્રેસિડેન્ટસ હોમગાર્ડ મેડલ એનાયત થયા હતા. જ્યારે ૫૦ જવાનને વિશિષ્ટ સેવા બદલ સન્માન કરાયું હતું.
ફાયર સેવા ક્ષેત્રે જાહેર થયેલા ૮૬ મેડલ પૈકી પ્રેસિડેન્ટ ફાયર સર્વિસ ગેલેન્ટ્રી મેડલ ૧૫ જવાનને ફાયર સર્વિસ મેડલ ૧૪ જવાનને, પ્રેસિડેન્ટ ફાયર સર્વિસ સાત જવાનને અને પાંચ જવાનને મેટિરોરિયલ સર્વિસ માટે એવોર્ડ અપાયા હતા.
સેનાના વડા રાવત સહિત ૧૯ અધિકારીને પરમ વિશિષ્ટ સેવા મેડલ
સેનાના વડા બિપિન રાવત સહિત ૧૯ અધિકારીને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માન્યા હતા. પ્રજાસત્તાક દિને એનાયત થનાર આ એવોર્ડ સર્વોચ્ચ મિલિટરી એવોર્ડ છે. આ  એવોર્ડ શાંતિકાળમાં આપેલી વિશિષ્ટ સેવા બદલ એનાયત થાય છે. ૧૮ અધિકારી પૈકી ૧૫ લેફટનન્ટ જનરલ અને ત્રણ મેજર જનરલને આ એવોર્ડ જાહેર થયા છે.
પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન
- ચાર વર્ષના અંતરાલ બાદ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત થશે

- સમાજ સેવા ઉપરાંત નાનાજી દેશમુખે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનામાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો:હજારિકાએ નોર્થ-ઈસ્ટને મોટી ઓળખ આપી

પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ આજે સરકારે ૩ મહાનુભાવો માટે ભારત રત્નની જાહેરાત કરી હતી. આ ત્રણ મહાનુભાવોમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સંગીતજ્ઞા ભૂપેન હજારીકા અને સામાજિક કાર્યકર્તા નાનાજી દેશમુખનો સમાવેશ થાય છે. ભારતમાં અપાતો આ સર્વોચ્ચ એવૉર્ડ છે, જે દેશસેવામાં અસાધારણ પ્રદાન બદલ આપવામાં આવે છે.

મૂળ કોંગ્રેસી નેતા તરીકેની ઓળખ ધરાવતા બંગાળી બાબુ પ્રણવ મુખર્જી ૨૦૧૨થી ૨૦૧૭ સુધી ભારતના તેરમાં રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દી પાંચ દાયકા કરતા વધુ સમયમાં ફેલાયેલી છે. હવે જોકે તેઓ રાજકારણમાં નથી, પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે નિવૃત્ત જીવન ગાળે છે.

પ્રણવ મુખર્જી કેન્દ્રમાં સંરક્ષણ, નાણા સહિતના વિવિધ મંત્રાલય સંભાળી ચૂક્યા છે. જોકે તેમની નોંધપાત્ર કામગીરી નાણામંત્રી તરીકેની ગણાય છે. તેમના કાર્યકાળમાં ભારતનું વિદેશી મુદ્રા ભંડોળ તળિયે પહોંચી ગયુ હતુ. એ વખતે પ્રણવ મુખજીેએ પોતાની આવડત દ્વારા દેશની હુંડિયામણ તિજોરી ભરી આપી હતી. 
પ્રણવ મુખર્જી સિવાયના બન્ને એવૉર્ડ મરણોપરાંત છે. મહારાષ્ટ્રના હુગલીમાં ૧૯૧૬માં જન્મેલા નાનાજીનું ૨૦૧૦માં અવસાન થયુ હતુ. તેઓ સામાજિક કાયકર્તા તરીકે વધુ જાણીતા હતા. જોકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનામાં તેમની સક્રિય ભૂમિકા હતી. ભાજપના પૂર્વ પક્ષ જનસંઘના તેઓ નેતા હતા.

૧૯૯૯માં તેમને પદ્મ વિભૂષણનું સન્માન સરકારે આપી દીધું હતું. ઈન્દિરા ગાંધી સામે જય પ્રકાશ નારાયણે શરૂ કરેલી ચળવળમાં પણ નાનાજી દેશમુખે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેમને આ સન્માન જાહેર થયા પછી વડા પ્રધાને ટ્વિટ કરી હતી કે ગ્રામોત્થાન માટે નાનાજીએ કરેલી કામગીરીએ આપણને હંમેશા નવી દિશા ચિંધી બતાવી છે. વડા પ્રધાને ટ્વિટ દ્વારા ત્રણેય મહાનુભાવોનું ભારતના ઘડતરમાં મહત્ત્વનું પ્રદાન હોવાનું જણાવ્યુ હતુ.
આસામના સંગિતજ્ઞા, ગીતકાર, ફિલ્મ સર્જક, કવિ ભૂપેન હજારીકાનું ૨૦૧૧માં અવસાન થયું હતુ. તેમને પણ આ સન્માન મરણોપરાંત અપાશે.
 નોર્થ ઈસ્ટના રાજ્યોમાં સર્જાતી ફિલ્મોને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાનું કામ ભૂપેન હજારીકાએ કર્યું હતુ. દસ વર્ષની વયે જ તેમણે અસમિયા ભાષાની ફિલ્મો માટે ગીતો ગાવાની શરૂઆત કરી દીધી હતી. હિન્દી ફિલ્મ રૂદાલીમાં ભૂપેન હજારીકાએ લખેલું ગીત દિલ હુમ હુમ કરે.. ગવાયું હતું અને ઘણું લોકપ્રિય પણ થયું હતુ.
 તેમને પણ નેશનલ ફિલ્મ એવોર્ડ ઉપરાંત પદ્મશ્રી, પદ્મભૂષણ વગેરે સન્માન મળી ચૂક્યા છે. દેશની સેવામાં અસાધારણ પ્રદાન કરનારા મહાનુભાવોને ૧૯૫૪થી દર વર્ષે ભારત રત્ન તરીકે સન્માનિત કરવામાં આવે છે.

પદ્મ એવોર્ડ વિજેતાઓમાં જોરાવરસિંહ જાદવ સહિતના ગુજરાતીઓનો સમાવેશ
 Image result for padma awards
-       ૭ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર : ગુજરાતી મૂળના પ્રવીણ ગોરધનને પદ્મ ભૂષણ

ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદીમાં ૭ ગરવા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાંથી જોરાવરસિંહ જાદવ, નગીનદાસ સંઘવી, પ્રવીણ ગોરધન, જ્યોતિ ભટ્ટ, વલ્લભભાઇ મારવણિયા, અબ્દુલ ગફાર ખત્રી, બિમલ પટેલ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. 

આ પૈકી ગુજરાતી મૂળના પણ છેલ્લા કેટલાક વર્ષોથી દક્ષિણ આફ્રિકામાં વસતા પ્રવીણ ગોરધનને પદ્મભૂષણથી જ્યારે અન્યને પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્યમાં જોરાવરસિંહ જાદવનું એક આગવું સ્થાન છે. લોક સંસ્કૃતિને હંમેશા ધબકતી રાખવામાં જાણતલ એવા કલાવિદ્ જોરાવરસિંહનો લોકસાહિત્યને સોરઠી ક્લેવરમાં રજૂ કરવામાં જોટો જડે તેમ નથી. વલ્લભભાઇ મારવણિયાને કૃષિ જ્યારે ૯૮ વર્ષીય નગીનદાસ સંઘવીને સાહિત્ય-પત્રકારત્વ માટે પદ્મશ્રીનું સન્માન આપવામાં આવ્યું છે.

પદ્મ પુરસ્કારથી સન્માનિત ગુજરાતીઓ

નામ                   ક્ષેત્ર
જોરાવરસિંહ જાદવ    કળા-લોકનૃત્ય
નગીનદાસ સંઘવી     સાહિત્ય અને શિક્ષણ-પત્રકારત્વ
પ્રવીણ ગોરધન        પબ્લિક અફેર્સ
જ્યોતિ ભટ્ટ            કળા-ચિત્ર
વલ્લભભાઇ મારવણિયા       કૃષિ
અબ્દુલ ગફાર ખત્રી   કળા-ચિત્ર
બિમલ પટેલ   આર્કિટેક્ચર