ગુરુવાર, 31 મે, 2018

દેશનો એકમાત્ર નિષ્ક્રિય જ્વાળામુખી કચ્છનો ધીણોધર ડુંગર છે : ડાયનોસોરયુગમાં ફાટયો હતો!


=Image result for dhinodhar hill kutcha
- હવાઈ અને ઈન્ડોનેશિયા સહિત અત્યારે જગતમાં સાત જ્વાળામુખી સક્રિય છે
- ડુંગરની ધાર પર કુદરતી રીતે કપાયેલા એકસરખા પથ્થર જોવા મળે છે: લગભગ ૭.૯ કરોડ વર્ષ પહેલા જ્વાળામુખીની

અત્યારે હવાઈ ટાપુ પર થોડા દિવસ પહેલા સક્રિય થયેલો કિલુવાયેઆ જ્વાળામુખી રોજ રોજ ભીષણ સ્વરૃપ ધારણ કરતો જાય છે. બીજી તરફ ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પરનો અગુંગ જ્વાળામુખી પણ લાવા ફેંકી રહ્યો છે. આજની તારીખે દુનિયામાં કુલ મળીને સાત જ્વાળામુખી નાના-મોટા પાયે સક્રિય છે. ભારતમાં એક જ સક્રિય જ્વાળામુખી છે અને એ છેક આંદામાન નિકોબાર સમુહના બેરન ટાપુ પર આવેલો છે. ભારતમાં કુલ મળીને વિવિધ પ્રકારના સાત જ્વાળામુખી નોંધાયેલા છે. એમાંથી એકમાત્ર નિષ્ક્રિય (ઈનએક્ટિવ) જ્વાળામુખી કચ્છમાં આવેલો ધીણોધર ડુંગર છે.

ભારતના વિવિધ જ્વાળામુખી

બેરન ઉપરાંત આંદામાન દ્વિપ સમુહ પર જ આવેલો બીજો જ્વાળામુખી બરતંગ છેલ્લે ૨૦૦૩માં સક્રિય થયો હતો. પરંતુ હવાઈ કે ઈન્ડોનેશિયાના જ્વાળામુખીની જેમ ભારતના આ જ્વાળામુખી બહુ નુકસાન કરતાં નથી. એ જ્વાળામુખી ઘણા નાના છે અને વળી ત્યાં કોઈ માનવ વસતી આવેલી નથી. બીજા ત્રણ જ્વાળામુખી એક્સટિન્ક્ટ થયેલા એટલે કે નિષ્ક્રિય થઈ ચૂકેલા છે, જે ફાટવાની કોઈ સંભાવના નથી. એક જ્વાળામુખી મડ વોલ્કેનો પ્રકારનો છે, જે માત્ર કાદવના થર જામી જવાથી બનેલો છે.

નિષ્ક્રિય છે, નષ્ટ નથી થયો!

આ પૈકી નખત્રાણાથી પંદરેક કિલોમીટર દૂર આવેલો ધિણોધર એ દેશનો એકમાત્ર એવો જ્વાળામુખી છે, જે હાલ નિષ્ક્રિય છે અને જરૃર પડયે સક્રિય થઈ પણ શકે.ભુસ્તરશાસ્ત્રીઓના મતે ધિણોધર સક્રિય થાય એવી શક્યતા બહુ ઓછી છે. છતાં પણ તેને નષ્ટ થયેલો જ્વાળામુખી જાહેર ન કરી શકાય. આમેય કચ્છની ધરતી સતત હલ-ચલ કરતી રહે છે. એટલે ત્યાં આવેલો જ્વાળામુખી સંશોધકો માટે મહત્ત્વનો છે. આખા કચ્છની ધરતી ભૌગૌલિક રીતે વૈવિધ્યપૂર્ણ છે અને તેમાં ધીણોધરનો પણ સમાવેશ થાય છે.

ડાયનાસોરયુગનો પુરાવો

ગુજરાતના ઘણા ડુંગર પૈકી ધીણોધર તેના વિશિષ્ટ દેખાવ અને ભુસ્તર રચનાથી નોખો પડે છે. મંદિર ઉપરાંત આસપાસની ટેકીરીઓ પર કરોડો વર્ષથી પથરાયેલો લાવા પથ્થર સ્વરૃપમાં ફેરવાઈ ગયેલો સ્પષ્ટ દેખાય છે. અંદાજે ૭.૯ કરોડ વર્ષ પહેલા આ જ્વાળામુખીની રચના થઈ હશે. ભૌગોલિક ઈતિહાસમાં એ સમયગાળો 'ક્રિટેશસ પિરિયડ' તરીકે ઓળખાય છે. એ સમયે જ પૃથ્વી પરથી ડાયનાસોર નાશ પામ્યા હતા. ડાયનાસોરના ખાત્માને સંભવત એ વખતના જ્વાળામુખી વિસ્ફોટ સાથે સીધો સબંધ છે.

ડેક્કન ટ્રેપનો ભાગ

૭.૯ કરોડ વર્ષ પહેલા ભારતમાં અનેક સ્થળે જ્વાળામુખી ફાટયા હતા અને પછી ધરતીમાં રહેલી ફાટ એક સાથે પુરી દીધી હતી. ધરતી પર ફાટ પુરી દેવા માટે જાણે થીંગડું માર્યું હોય એવી એ રચના 'ડેક્કન ટ્રેપ' તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશમાં થઈને છેક કચ્છના રણ સુધી પથરાયેલો એ ડેક્કન ટ્રેપ નામનો લાવા-થર દુનિયાના સૌથી મોટા જ્ળાળામુખી અવશેષોમાં સ્થાન ધરાવે છે. ધીણોધરનો તેમાં જ સમાવેશ થાય છે. ડાયનાસોર યુગમાં છેલ્લે ધીણોધર જ્વાળામુખી ફાટયો હશે.

પથ્થરનું જંગલ!

અનેક પ્રવાસીઓ ધીણોધર આવે છે અને તેમના ધ્યાને ડુંગરના ઢાળ પર પથરાયેલા વિશિષ્ટ પથ્થર ધ્યાને ચડયા વગર રહેતા નથી. એક સરખા કાપીને મુકાયા હોય એવા નાના-નાના પથ્થર કુદરતની કમાલ દર્શાવે છે. ત્યાં પથ્થરનું જંગલ હોય એવું દૃશ્ય સર્જાય છે. યુરોપમાં આવુ જંગલ છે એને પ્રવાસન જાહેર કરીને જગતભરમાં તેની પ્રસિદ્ધિ કરાઈ છે. ધીણોધર પોતે પણ પ્રવાસનના નકશામાં છે, પરંતુ તેના ભૌગોલિક પાસાં પર જોઈએ એટલું ધ્યાન આપવામાં આવ્યું નથી.

ધીણોધર એટલે કાનકટ્ટા સાધુઓનો મઠ

૩૮૬ મિટર ઊંચાઈ ધરાવતો ધીણોધર અત્યારે તો પ્રવાસન માટે પ્રખ્યાત છે. અહીં પ્રવાસન રસપ્રદ ધાર્મિક ઈતિહાસ ધરબાયેલો છે. આજનો ધિણોધર ડુંગર એ ગઈકાલનો કાનકટ્ટા સાધુઓનો મઠ છે. ડુંગર ઉપર તેના અવશેષો અને મંદિર છે જ. પ્રચલિત માન્યતા પ્રમાણે ધોરમનાથ નામના સાધુએ અહીં ૧૨ વરસ તપસ્યા કરી હતી. મંદિરની અનેક દિવાલો પર જૂનવાણી ચિત્રો દોરેલા છે, જે કળા પણ આજે લુપ્ત થઈ ચૂકી છે. વિશિષ્ટ રીતે બનેલા આ ચિત્રો અનેક ચોમસા, ઉનાળા, શિયાળા પસાર થઈ ગયા પછી આજેય અણનમ છે.



રાજ્યમાં ૯મીથી કુદરતનાં સફાઈ કામદાર ગણાતા 'ગીધ'ની ગણતરી


Image result for vulture bird

-સતત ઘટી રહેલી સંખ્યાનો અંદાજ લગાવવા કવાયત

-બે દિવસીય ગણતરી માટે ૩૩ જિલ્લામાં પક્ષીવિદો સાથેની ટીમોની થયેલી નિયુક્તિ

ગીધની વસ્તીમાં સતત થઈ રહેલા ઘટાડાનાં કારણે માત્ર બે જ વર્ષમાં ફરીવાર થનાર છે. કુદરતનાં સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધની ગુજરાતભરમાં વસ્તી ગણતરી તા.૯ અને ૧૦ જૂન એમ બે દિવસ હાથ ધરવામાં આવશે. જેમાં પક્ષીવીદો, વનવિભાગ અને સ્વયંસેવકોની મદદ વડે આ ગણતરી ગુજરાતના તમામ વિસ્તારોમાં થવાની છે.

ગીધની વિવિધ પ૩ જાતીઓની રાજયવ્યાપી વસ્તીનાં અંદાજેની કામગીરી ગુજરાત વન વિભાગ અને ગીર ફાઉન્ડેશન તથા રાજયનાં પ્રકૃતિપ્રેમીઓ, પક્ષી નીરીક્ષકોનાં સહયોગથી હાથ ધરવામાં આવશે. જેમાં ગીધની ઉપસ્થિતી હોય તેવા સંભવીત તમામ વિસ્તારો જેવા કે પાંજરાપોળો, મૃતપ્રાણીઓના નિકાલની જગ્યાઓ, નાળીયેરી, તાડના વૃક્ષો, ડુંગરાળ જંગલ વિસ્તારો, ગૌચરો સહિતનાં વિસ્તારોમાં ગીધની વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવશે.

જે બાબતે વનવિભાગ દ્વારા ડી.સી.એફ. ઉપરાંત જીલ્લા દીઠ એક અનુભવી વરીષ્ઠપક્ષી નીરીક્ષક અને સ્વયસેવકોની મદદ લેવામાં આવશે. ગણતરીકારોની અલગ અલગ ટીમો બનાવી તેને વિવિધ વિસ્તારોનાં ગીધની સંખ્યા ગણવાની રહેશે.

રાજયનાં ૩૩ જિલ્લાઓમાં તા.૯ને ૧૦ જૂનનાં રોજ જી.પી.એસ.ની મદદ વડે ગીધની વસ્તી અંદાજ હાથ ધરવામાં આવશે. તેના માટેની તૈયારીનાં ભાગરૃપે ૩૩ જીલ્લાઓમાં પક્ષીવીદો, સ્વયસેવકોની પણ નિમણુંક થઈ ચુકી છે.

નોંધનીય છે કે, ગીધની કુલ ૯ પ્રજાતીમાંથી ગુજરાતમાં માત્ર ચાર પ્રકારનાં જ ગીધ છે. જેમાં સફેદ પીઠ ગીધ, ગીરનારી ગીધ, ખેરોન્જીપ્સીયન વલ્ચર, રાજગીધનો સમાવેશ થાય છે. વળી વર્ષ ૨૦૧૬ માં થયેલી ગણતરી મુજબ, કચ્છમાં ૭૨, નોર્થ ગુજરાતમાં ૨૦૩, સેન્ટર ગુજરાતમાં ૧૫૭, સાઉથ ગુજરાતમાં ૧૦૯, અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૪૫૮ ગીધ જોવા મળ્યા હતાં.



મોદી પહોંચ્યા મલેશિયા, દુનિયાના સૌથી વૃદ્ધ PM 92 વર્ષના મહાતિરને મળ્યા

નરેન્દ્ર મોદી ત્રણ દેશની મુલાકાતે છે ત્યારે તેઓ ઈન્ડોનેશિયાથી આજે સવારે મલેશિયા પહોંચી ગયા છે. મલેશિયામાં પીએમ અમુક કલાકો જ રોકાવાના છે. સવારે મલેશિયા પહોંચ્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ દુનિયાના સૌથી વૃદ્ધ એવા મલેશિયાના 92 વર્ષના પીએમ મોહમ્મદ મહાતિર સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન બન્યા પછી મોદીની મલેશિયાની આ બીજી વખત મુલાકાત છે. મલેશિયાની મુલાકાત પછી મોદી સિંગાપોર જશે.




મલેશિયાથી સિંગાપોર જશે મોદી

- મોદી મલેશિયામાં ગણતરીના કલાકો રહ્યા પછી સિંગાપોર રવાના થશે. આ પહેલાં બુધવારે જકાર્તામાં ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે 15 કરાર કરવામાં આવ્યા હતા. મોદી અહીં દક્ષિણ-પૂર્વ એશિયાની સૌથી મોટી મસ્જિદ ઈસ્તિકલાલ અને અર્જુન રથ જોવા માટે પણ ગયા હતા. અહીં તેમણે મહાભારત થીમ પર બનેલો પતંગ પણ ચગાવ્યો હતો.

મલેશિયામાં 61 વર્ષ પછી મહાતિર મોહમ્મદની પાર્ટી જીતી
- મલેશિયામાં 10મેના રોજ મહાતિકની આગેવાની વાળી પકતન હરપન પાર્ટીએ બારિસન નેશનલ પાર્ટીને હરાવી છે. બારિસન નેશનલ પાર્ટી બ્રિટનથી આઝાદી મળ્યા પછી છેલ્લા 61 વર્ષથી મલેશિયામાં કાબિજ હતા.

મલેશિયામાં 20 લાખ ભારતીયો
- મલેશિયા સાથે ભારતની 71 વર્ષ પહેલાં રાજકીય સંબંધોની શરૂઆત થઈ હતી. 2010માં રાજકીય ભાગીદારીની શરૂઆત થઈ હતી. અત્યારે બંને દેશોની વચ્ચે અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનો વેપાર છે. અહીં 20 લાખથી વધારે ભારતીય રહે છે. મોદી ગુરુવારે અમુક કલાક મલેશિયામાં રહેશે.
સિંગાપોરમાં 8 લાખ ભારતીય

-
સિંગાપોર ભારત માટે ખૂબ મહત્વનું છે, કારણકે અહીં 8 લાખ ભારતીયો રહે છે. 8 હજાર ભારતીય કંપનીઓ અહીં રડિસ્ટર્ડ છે. બંને દેશો વચ્ચે અત્યારે અંદાજે 1.2 કરોડનો વાર્ષિક વેપાર થાય છે. આશા છે કે, સિંગાપોર સાથે વેપાર વધતા ચીનને વિકલ્પ શોધવાની જરૂર પડી શકે છે.