સોમવાર, 4 ડિસેમ્બર, 2017

કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી કોહલીએ લારાનો રેકોર્ડ તોડયો



- કોહલીએ ૪૯૯ દિવસમાં છ બેવડી સદી ફટકારી

- સતત બે ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારવાની પણ અનોખી સિદ્ધિ

 વિરાટ કોહલીએ રેકોર્ડ તોડવાનો સિલસિલો જારી રાખ્યો છે. શ્રીલંકા સામે રમાતી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે કોહલીએ ૨૪૩ રનની ઇનિંગ્સ સાથે જ સુકાની તરીકે છઠ્ઠી બેવડી સદી ફટકારી હતી. આમ, કોહલીએ સુકાની તરીકે સૌથી વધુ બેવડી સદીનો બ્રાયન લારાનો રેકોર્ડ તોડયો છે. આ ઉપરાંત કોહલી સતત બે ટેસ્ટ ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારીને અનોખી ક્લબમાં સામેલ થઇ ગયો છે. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં વોલિ હેમન્ડ, ડોન બ્રેડમેન, કુમાર સંગાકારા, વિનાદ કાંબલી, માઇકલ ક્લાર્ક જ એવા બેટ્સમેન છે જેમણે સતત બે ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી છે. કોહલીએ તેની તમામ છ બેવડી સદી છેલ્લા ૪૯૯ દિવસમાં ફટકારી છે.


સૌથી ઓછા દિવસમાં સૌથી વધુ બેવડી સદીનો અગાઉનો રેકોર્ડ ડોન બ્રેડમેનને નામે હતો, તેમણે ૫૮૧ દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલી શ્રીલંકા સામેની વર્તમાન શ્રેણીમાં ૧૦૦૨ મિનિટ બેટિંગ કરી ચૂક્યો છે. જુલાઇ ૨૦૧૬ અગાઉ કોહલીની ટેસ્ટ બેટિંગ એવરેજ ૪૪ હતી, જે હવે ૫૪ થઇ ગઇ છે. ફેબુ્રઆરી ૨૦૧૦ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત સદીની ભાગીદારી કરવાનો રેકોર્ડ કોહલી-રોહિતને નામે છે. બંનેએ ૯૨ ઇનિંગ્સમાં ૧૮ વખત સદીની ભાગીદારી નોંધાવી છે. કોહલીએ આ વર્ષે ૭૭.૬૧ની એવરેજથી ૧૦૦૯ રન ટેસ્ટ ક્રિકેટમાં નોંધાવ્યા છે. ગત વર્ષે કોહલીએ ટેસ્ટમાં ૭૫.૯૩ની એવરેજથી ૧૨૧૫ રન કર્યા હતા. સતત બે  વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં ૧ હજાર રન કરનારો કોહલી સૌપ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. 


ભારતની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસીસે સલીલ પારેખને CEO નિમ્યા


- ઓગસ્ટમાં વિશાલ સિક્કાએ રાજીનામું આપતા છેલ્લાં ત્રણ મહિનાથી શોધ જારી હતી


ઇનફોસીસે આજે કહ્યું હતું કે  ભારતની આઇટી ક્ષેત્રની સૌથી મોટા બીજા ક્રમની કંપનીમાં ત્રણ મહિનાની સઘન શોધ પછી સલીલ પારેખને કંપનીના CEO તરીકે નિમ્યા હતા. મેનેજમેન્ટ અને તેના સ્થાપકો વચ્ચે વિવાદ થતાં ગયા ઓગસ્ટમાં  વિશાલ સિક્કાએ રાજીનામું આપતાં છેલ્લા ત્રણ મહિનાથી  નવા વડાની શોધ ચાલુ હતી. હંગામી ધોરણે CEO નો હોદ્દા સંભાળી રહેલા યુબી પ્રવીણ રાવ સીઓઓ અને કંપનીન ફુલ ટાઇમ ડાયરેકટર તરીકે ચાલુ જ રહેશે. 

પાંચ વર્ષ માટે  બીજા જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ  ચાર્જ લેનાર પરીખ ફ્રેન્ચ રંપની કેપગામીનીના બોર્ડ ઓફ ડીરેકટરમાં હતા.'પારેખ પાસે આઇટી ક્ષેત્રનો ત્રણ દાયકામાં વૈશ્વિક અનુભવ છે. તેમની પાસે વેપારની ખૂબ સમજણ છે અને તેઓ ખૂબ સફળતાથી એક્વીઝિશન કરી શકે છે'એમ નંદન નીલકેનીએ કહ્યું હતું. બોર્ડ માને છે કે પરીખ ઇન્ફોસીસનું નેતૃત્તવ કરવા માટે એકદમ યોગ્ય છે. તેમણે આ ઉદ્યોગમાં ખૂબ માહિતીસભર સમય ગાળ્યો હતો. બીજી વખતે કંપની કોઇ બહારની વ્યક્તિને કંપનીનું નેતૃત્વ કરવા લાવી રહી છે. એસએપીમાંથી લાવવામાં આવેલા સિક્કા પ્રથમ નોન ફાઉન્ડર CEO  હતા. હાઇ પ્રોફાઇલ સ્થાપક નારાયણ મૂર્તી અને સિક્કા વચ્ચે એક વર્ષ સુધી વિવાદ ચાલતાં અંતે સિક્કાએ રાજીનામું આપ્યું હતું.


ભારત-શ્રીલંકા ટેસ્ટ પ્રદૂષણને કારણે અટકાવાઇ! આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સૌપ્રથમ ઘટના

- ત્રીજી ટેસ્ટના બીજા દિવસે લંચ બાદ શ્રીલંકાના ક્રિકેટરો માસ્ક પહેરીને મેદાનમાં ઉતર્યા

- પ્રદૂષણનું પ્રમાણ વધી જતાં શ્વાસ લેવામાં-આંખમાં બળતરા થતી હોવાની શ્રીલંકાએ ફરિયાદ કરી


ભારત-પ્રવાસી શ્રીલંકા વચ્ચે દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે રમાતી ત્રીજી ટેસ્ટ મેચ કેપ્ટન વિરાટ કોહલીની રેકોર્ડબ્રેક ૬ બેવડી સદીની સિદ્ધિ ઉપરાંત પ્રદૂષણને કારણે પણ ચર્ચામાં આવી ગઇ છે. પ્રદૂષણનું પ્રમાણ વધી જતાં આજે ૨૦ મિનિટ માટે રમત અટકાવવી પડી હતી. 

સામાન્ય રીતે વરસાદ કે પ્રતિકૂળ વાતાવરણને કારણે મેચ અટકાવવી પડતી હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ૧૪૦ વર્ષના ઈતિહાસમાં પ્રદૂષણને કારણે મેચ અટકાવવી પડી હોય તેવી આજે સૌપ્રથમ ઘટના બની હતી.


બ્રહ્મપુત્ર નદીમાં દેશની પ્રથમ તરતી પ્રયોગશાળા 'બી-૪' કાર્યરત થશે

- ચીનમાંથી નીકળતી બ્રહ્મપુત્રમાં દર વર્ષે પૂરથી તબાહી સર્જાય છે

- દુનિયાનો નદી વચ્ચે આવેલો સૌથી મોટો ટાપુ માજોલી બ્રહ્મપુત્રમાં છે.

ભારતની પ્રથમ તરતી પ્રયોગશાળા એટલે કે સંશોધન કરી શકે એવું જહાજ બ્રહ્મપુત્ર નદીમાં કાર્યરત થશે. આ પ્રયોગશાળાની ચોક્કસ તારીખ હજુ નક્કી નથી થઈ. પરંતુ આગામી દિવસોમાં પ્રયોગશાળા કાર્યરત થાય એટલા માટે ગુહાવટી સ્થિત 'ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી' કામ કરી રહી છે. કેન્દ્ર સરકારના બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટે થોડો સમય પહેલા જ નિર્ણય લઈને આ કામગીરી આઈઆઈટીને સોંપી હતી. આ લેબોરેટરીને 'બ્રહ્મપુત્ર બાયોડાયવર્સિટી એન્ડ બાયોલોજી બોટ (બી-૪)' નામ આપવામાં આવ્યું છે.

આ બોટ એક પ્રકારનો તરતો તરાપો હશે અને તેના પર સંશોધન કેન્દ્ર હશે. એમેઝોન સહિત દુનિયાની ઘણી મોટી નદી અને સમુદ્ર-મહાસાગર પર આ રીતે તરતી લેબોરેટરી કામ કરતી હોય છે. બી-૪ વિવિધ સ્થળેથી બ્રહ્મપુત્રનું પાણી અને તેના કાંઠેથી માટી લઈ તેનો અભ્યાસ કરશે. હાલ કેન્દ્ર સરકારે એ માટે ૫૦ કરોડ રૃપિયાની ફાળવણી કરી છે. ભવિષ્યમાં વધારે રકમ પણ ફાળવશે.

ચીનથી પ્રગટ થઈ ભારતમાં અરૃણાચલ પ્રદેશથી પ્રવેશતી બ્રહ્મપુત્ર દર વર્ષે તેના પૂરથી તબાહી સર્જે છે. જોકે કદાવર બ્રહ્મપુત્રનો ભારતે ક્યારેય વૈજ્ઞાનિક ધોરણે અભ્યાસ કર્યો નથી. નદી વચ્ચે આવેલો જગતનો સૌથી મોટો ટાપુ માજોલી પણ બ્રહ્મપુત્રની વચ્ચે છે. એ ટાપુ હવે ખવાતો જાય છે. થોડા સમય પહેલા થયેલા સંશોધન પ્રમાણે માજોલી ટાપુ દર વર્ષે સરેરાશ ૨ ચોરસ કિલોમીટર લેખે ધોવાતો જાય છે. તેની માટીનો પણ અભ્યાસ કરવાનો છે.

બ્રહ્મપુત્ર ચીનથી ભારત થઈ બાંગ્લાદેશમાં પ્રવેશે છે. આ નદીના કાંઠે વિકસેલા જંગલો, તેના પાણીમાં થતા છોડ-વેલા વગેરે સંશોધકો માટે અચરજનો વિષય છે. કેમ કે ઉત્તર-પૂર્વ વિસ્તાર પર જોઈએ એટલુ સંશોધન થયું જ નથી. માટે સરકારે આ પ્રોજેક્ટ દ્વારા શરૃઆત કરી લાંબા ગાળાનું આયોજન વિચાર્યું છે. એ પ્રમાણે આગામી સમયમાં બ્રહ્મપુત્ર પર બે માળની તરતી પ્રયોગશાળા પણ ચાલુ કરાશે.


પુષ્કળ પાણી ધરાવતી અને ક્યાંક ક્યાં દસ-વીસ કિલોમીટર સુધીનો પહોળો પટ ધરાવતી બ્રહ્મપુત્રનો ઉપયોગ હાલ જળમાર્ગ તરીકે થાય છે. પરંતુ આ નદીની પ્રકૃત્તિ કેવી છે એ જાણી શકાયુ નથી. તેના પૂરથી દર વર્ષે ઉત્તર-પૂર્વના એકથી વધુ રાજ્યો જળમગ્ન થાય છે. પૂરની એ સ્થિતિ ટાળી શકાય નહીં, પરંતુ જો નદીના પાણી વિશે વૈજ્ઞાાનિક જાણકારી હોય તો સાવચેતીના પગલા અચૂક લઈ શકાય. માટે ભારત સરકારે આ પહેલ કરી છે.

તમિલનાડુ-કેરળમાં ઓખી વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો : મૃત્યુઆંક ૨૫ને પાર



ઓખી વાવાઝોડાએ તમિલનાડુ અને કેરળમાં ભારે કેર વર્તાવ્યો હતો. 

કેરલમાં ભારે વરસાદમાં આજે વધુ ત્રણનાં મોત થતા મૃત્યુ આંક ૧૯ થયો હતો. લગભગ ૬૦૦ કરતાં વધુ માછીમારો દરિયામાં ફસાયા હતા. ઓખી વાવાઝોડુ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સ્થિર થયું હતું. બંને રાજ્યોનો મૃત્યુઆંક ૨૫થી વધારે થયો હતો.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઓખી વાવાઝોડુ, ૧૨ કિલોમીટરની ઝડપે દક્ષિણ દિશામાં આગળ વધ્યું હતું હવે તે મુંબઇથી ૮૭૦ કિલોમીટર અને સુરતથી ૧૦૭૦ કિલોમીટર દક્ષિણ પશ્ચિમે સ્થિર થયું છે, આગામી ૭૨ કલાકમાં તે ઉત્તર દિશામાં ફંટાશે. કેરળમાંથી ૬૯૦ માછીમારોને નેવીના જવાનોએ બચાવ્યા હતા. કેરળમાં ૭૪ મકાનોને નુકસાન થયું હતું અને ૬૫૮૧ લોકોને રાહત કેમ્પમાં ખસેડાયા હતા.

તમિલનાડમાં આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદ થવાની આગાહી કરી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી સિતારમણ તમિલનાડુ અને કેરળમાં બચાવ કાર્યની સમીક્ષા કરવા ગયા હતા.નેવી, કોસ્ટગાર્ડ અને એરફોર્સ દ્વારા બચાવ કામગીરી સતત ચાલુ છે. કેન્દ્રીય મંત્રી સિતારમણે કન્યાકુમારીના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તમિલનાડુ અને કેરળમાં સંખ્યાબંધ માછીમારો તોફાનમાં ફસાઇ ગયા હતા. નેવીએ મોટા ભાગનાને બચાવી લીધા હતા. માછીમારોના સગાંઓ તેમને પૂરતી માહિતી ન મળવાની ફરિયાદ કરતા હતા. દરિયાકાંઠાના વિસ્તારોમાં બચાવ કામગીરીમાં વિલંબ  મુદ્દે વિરોધ પ્રદર્શનો થયા હતા.