શુક્રવાર, 30 ઑગસ્ટ, 2019

ગુજરાતની ઈલાવેનિલને શૂટિંગ વર્લ્ડ કપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ

 - વર્લ્ડ કપમાં 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીતનારી ભારતની ત્રીજી મહિલા શૂટર

- વર્લ્ડ કપમાં ગોલ્ડ છતાં ઓલિમ્પિકની ટિકિટ ન મળી



ગુજરાતની આંતરરાષ્ટ્રીય શૂટર ઈલાવેનિલ વાલારિવને સીનિયર લેવલના શૂટિંગમાં પણ શાનદાર દેખાવ કરતાં રિયોમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ઈલાવેનિલે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ૧.૧ પોઈન્ટ્સના અંતરથી સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. આ સાથે તે ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ જીતનારી ભારતની ત્રીજી મહિલા શૂટર બની ગઈ છે. અગાઉ અંજલી ભાગવત અને અપૂર્વી ચંદેલા આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
રિયોમાં શરૃ થયેલા શૂટિંગના વર્લ્ડ કપમાં ઈલાવેનિલે ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ૨૫૧.૭ના સ્કોર સાથે બધાને પાછળ રાખી દીધા હતા. બ્રિટનની સેઓનાડ સીન્ટોસને ૨૫૦.૬ના સ્કોર સાથે સિલ્વર મેડલ મળ્યો હતો.જ્યારે તાઈપેઈની યીંગ-શીન લીનને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. 
ઈલાવેનિલની સાથે ભારતની અપૂર્વી ચંદેલા અને અંજુમ મુદગીલ પણ સ્પર્ધામાં હતા. જોકે રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવતી અપૂર્વી ફાઈનલમાં ક્વોલિફાય કરી શકી નહતી. જ્યારે અંજુમ છઠ્ઠા ક્રમે રહી હતી. સુવર્ણ જીતવા છતાં ઈલાવેનિલને ઓલિમ્પિકની ટિકિટ મળી શકી નથી કારણ કે અપૂર્વી અને અંજુમે અગાઉ જ આ ઈવેન્ટમાં ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરી લીધું છે. આઇએસએસએફના નિયમ અનુસાર એક ઈવેન્ટમાં એક જ દેશના માત્ર બે જ શૂટરોને ઓલિમ્પિકમાં પ્રવેશ આપવામાં આવે છે.

ગુરુવાર, 29 ઑગસ્ટ, 2019

દીપા મલિકને ખેલ રત્ન: ગુજરાતના હરમીત દેસાઈને અર્જુન એવોર્ડ એનાયત

 

- રાષ્ટ્રીય સ્પોર્ટસ દિને દેશના શ્રેષ્ઠ રમતવીરોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

- રશિયામાં વર્લ્ડ ચેમ્પિયનશીપની તૈયારી કરી રહેલો બજરંગ પુનિયા કાર્યક્રમમાં હાજર રહી ન શક્યો

 
હોકીના જાદુગર તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવનારા મેજર ધ્યાન ચંદના જન્મદિવસે ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસના ઉપક્રમે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દેશના શ્રેષ્ઠ રમતવીરો અને કોચીસનું સન્માન કરવામા આવ્યું હતુ. દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર - ખેલ રત્ન એવોર્ડ રિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પેરા-એથ્લીટ દીપા મલિકને એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ખેલ પુરસ્કાર માટે પસંદ થયેલો કુસ્તીબાજ બજરંગ પુનિયા તેની તાલીમની વ્યસ્તતાના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યો નહતો. આગામી વર્લ્ડ ચેમ્પિયનશીપની પૂર્વતૈયારી માટે પુનિયા હાલમાં રશિયામાં તાલી લઈ રહ્યો છે. 
રાષ્ટ્રપતિના હસ્તે ૧૯ રમતવીરોને અર્જુન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા,જેમાં ગુજરાતનો આંતરરાષ્ટ્રીય બેડમિંટન સ્ટાર હરમીત દેસાઈ પણ સામેલ હતો. હરમીતે ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ અને ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો. તેણે એશિયન ગેમ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે તાજેતરમાં ઘરઆંગણે રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીતાડવામા મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ વ્યક્તિગત ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તાજેતરમાં તેણે સાઉથ ઝોનની નેશનલ રેન્કિંગ ઈવેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતીને દેશના નંબર વન ખેલાડી બનવાનું ગૌરવ પણ મેળવ્યું હતુ.
સૌરાષ્ટ્રના દિગ્ગજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પણ અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જો કે તે હાલમાં વિન્ડિઝમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યો હોવાથી કાર્યક્રમમાં હાજર રહી શક્યો નહતો. આ ઉપરાંત અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓમાં તાજેતરમાં બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનારો સાઈ પ્રણિત સામેલ હતો. હેપ્ટાથ્લીટ સ્વપ્ના બર્મન, મહિલા ક્રિકેટર પૂનમ યાદવ, ફૂટબોલર ગુરપ્રિત સિંઘ સંધૂ, બે વખત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર જીતી ચૂકેલી સોનિયા લાઠેર, એશિયન ગેમ્સમાં ઘોડેસ્વારીનો સિલ્વર જીતનારા ફોઆદ મિર્ઝા, ભૂતપૂર્વ કબડ્ડી ટીમનો કેપ્ટન અજય ઠાકુર, મોટરસ્પોર્ટસ રેસર ગૌરવ ગીલને અર્જુન એવોર્ડ એનાયત થયો હતો. 

મંગળવાર, 27 ઑગસ્ટ, 2019

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયન સિંધુનું સ્વદેશ આગમન સમયે ભવ્ય સ્વાગત


- સિંધુ ભારતની સૌપ્રથમ બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયન: વડાપ્રધાને પણ સિંધુને બિરદાવી

- ખેલ મંત્રાલયે રૂ.10 લાખનો ચેક આપી સન્માન કર્યું


સ્વિત્ઝર્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય બેડમિંટન સ્ટાર પુસાર્લા વેંકટા સિંધુ આજે સ્વદેશ પરત ફરી ત્યારે એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. બેડમિંટનના ઈતિહાસની ભારતની સૌપ્રથમ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ અને તેના કોચિસ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા ત્યાર બાદ તેમને ચાહકો અભિનંદન આપવા માટે ઘેરી વળ્યા હતા. ભારતીય રમત જગત અને બેડમિંટન જગતના ઓફિસિઅલ્સની સાથે સાથે સિંધુના પરિવારજનો તેમજ મિત્રો અને અન્ય શુભેચ્છો તેમજ ચાહકો એરપોર્ટ પર મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વદેશ આગમન સમયે ભવ્ય આવકાર મેળવનારી સિંધુ ભારે રોમાંચિત થઈ ગઈ હી. તેણે કહ્યું કે, હું ખુબ જ ખશું છુ. મને મારા દેશ પર ગર્વ છે. આ વિજય મેળવવા માટે ઘણી રાહ જોવી પડી પણ આખરે તે મને પ્રાપ્ત થયો છે, જે મારા માટે આનંદની વાત છે. સ્વદેશ આગમન બાદ સિંધુ તેના કોચિસ અને પરિવારના સભ્યોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી હતી. વડાપ્રધાને તેમના વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ પર પી.વી. સિંધુ અને તેના કોચિંગ સ્ટાફ સાથેની તસવીરો શેયર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના હસ્તે સિંધુને વર્લ્ડ ચેમ્પિયનશીપનો મેડલ પહેરાવ્યો હતો. તેમને સિંધુને 'ભારતના ગૌરવ' તરીકે ઓળખાવી હતી. 
વડાપ્રધાન સાથેની મુલાકાત અગાઉ સિંધુએ ખેલ મંત્રી કિરણ રિજિજુને મળવા પહોંચી હતી. તેમણે ભારત સરકાર તરફથી સિંધુને ૧૦ લાખ રૃપિયાનો ચેક એનાયત કર્યો હતો. સિંધુની સાથે તેના બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ હિમાન્તા બિશ્વા સર્મા, તેના કોચીસ પુલેલા ગોપીચંદ, સાઉથ કોરિયાના કિમ જી-હ્યુન અને સિંધુના પિતા પી. વી. રામના હતા. સિંધુના પિતા પી.વી. રામના ૧૯૮૬માં એશિયન ગેમ્સની વોલીબોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમમાં સામેલ હતા. 
સિંધુએ ઉમેર્યું કે, મને મારા ગોલ્ડ મેડલની ઉજવણી કરવાની હજુ તક મળી નથી. બાસેલમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ અમે બને તેટલી જલ્દી સ્વદેશ પાછા ફરવા માંગતા હતા. આ પછી બીજા જ દિવસે અમારી ફ્લાઈટ હતીજે પછી સ્વદેશ આવ્યા બાદ પણ હજુ દોડધામમાં વ્યસ્ત છું. હું વધુ મહેનત કરીને વધુ મેડલ્સ જીતવાનો પ્રયાસ કરીશ.
સુવર્ણ ચંદ્રકથી ટીકાકારોને જવાબ આપ્યો છે: સિંધુ
છ મેજર ટુર્નામેન્ટની હારને કારણે ટીકાકારોનું નિશાન બનેલી સિંધુએ આખરે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી લીધી છે. સિંધુએ કહ્યું કે, વર્લ્ડ ચેમ્પિયનશીપનો સુવર્ણ ચંદ્રક એ મારા ટીકાકારો માટે જવાબ સમાન છે. મારી પ્રતિભા સામે સતત પ્રશ્નો કરનારાઓને મેં મારા બેડમિંટન અને રમતથી મેળવેલી સફળતાથી જે કહેવાનું હતુ તે કહી દીધું છે. 
દેશનું ગોરવ, એક ચેમ્પિયન જે સુવર્ણ અને કીર્તિ સાથે સ્વદેશ પરત ફરી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર હેન્ડલ પર સિંધુની સાથેની તસવીરો શેયર કરતાં લખ્યું કે, દેશનું ગૌરવ, એક ચેમ્પિયન કે જે સુવર્ણ અને ઘણી બધી કીર્તિ સાથે સ્વદેશ પરત ફરી છે. સિંધુને મળીને આનંદ થયો. તેને અભિનંદન અને તેને ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.

વધુ મેડલ જીતવા વધુ મહેનત કરીશ’: વર્લ્ડ બેડમિંગ્ટન ચેમ્પ્યિન સિંધુ

- વતનમાં ભવ્ય સ્વાગત સાથે પાછી ફરી


વર્લ્ડ બેડમિંગ્ટન ચેમ્પિયનનો ખિતાબ જીતીને પીવી સિંઘુ સોમવારે સ્વદેશ પાછી ફરી ત્યારે પાટનગર નવી દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
અગાઉ બે વખત સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપની સ્પર્ધા હારી ચૂકી હતી. પરંતુ હિંમત ન હારતાં એણે પ્રયાસો ચાલુ રાખ્યા હતા અને સતત પુરુષાર્થ કરીને ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. એરપોર્ટ પર મિડિયા સાથે વાત કરતાં એણે કહ્યું કે ભવિષ્યમાં હું દેશ માટે વધુ મેડલ્સ જીતી લાવું એવી મારી પોતાની આશા છે.
હું સતત વધુ મહેનત કરીશ અને મારી રમતને વધુ ઉત્કૃષ્ટ બનાવીશ. હું મારા ચાહકો અને પ્રશંસકોની આભારી છું. એમણે મારો આત્મવિશ્વાસ ટકાવી રાખવા મને સતત પ્રોત્સાહિત કરી હતી.
તેણે એમ પણ કહ્યું હતું કે બબ્બે વાર હું વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હારી એટલેમારી આકરી ટીકા કરનારા મારા સમીક્ષકોને આ મારો જવાબ છે. ગયા વર્ષે હું હતાશ હતી ત્યારે મને પ્રોત્સાહિત કરવાને બદલે એ લોકો મારી સતત ટીકા કરતા રહ્યા હતા.


મંગળવાર, 13 ઑગસ્ટ, 2019

'એર ઈન્ડિયા' ઉત્તર ધુ્રવ પરથી ઊડીને અમેરિકા પહોંચનારી પહેલી ભારતીય એરલાઈન્સ બનશે

- દિલ્હી-સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટના સમયમાં 90 મિનિટનો ઘટાડો થશે
- અત્યારે ભારતની કોઈ પણ એરલાઈન્સ નોર્થ પોલ પરથી ઊડીને અમેરિકા જતી નથી

15 ઑગસ્ટથી શરૂઆત : 4000 કિલોમીટર અંતર ઘટી જશે

ઉત્તર ધુ્રવ (નોર્થ પોલ) પરથી ઊડીને અમેરિકા પહોંચનારી પહેલી એરલાઈન્સ તરીકે એર ઈન્ડિયા પોતાનું નામ નોંધાવશે. દિલ્હી-સાન ફ્રાન્સિસકો વચ્ચેની ડાઈરેક્ટ ફ્લાઈટ 15મી ઑગસ્ટથી તેના પરંપરાગત રૂટને બદલે ઉત્તર ધુ્રવ પરથી ઊડીને અમેરિકા પહોંચશે.
આ નવા રૂટને કારણે અંતર 12,000 કિલોમીટરને બદલે 8,000 કિલોમીટર જેટલું થશે, જ્યારે પ્રવાસનો સમય 17 કલાકથી ઘટીને 15.5 કલાક થશે. પૃથ્વીનો ઉત્તર છેડો ઉત્તર ધુ્રવ તરીકે ઓળખાય છે. એ પ્રદેશ બર્ફીલો છે, ત્યાં પાંખી વસાહત છે, મોટા શહેરો તો બિલકુલ નથી. માટે કોઈ પણ એરલાઈન્સે ત્યાંથી ઊડાન ભરતી વખતે સાવધાન રહેવું પડે.
કેમ કે ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનું થાય તો ક્યાં ઉતરાણ કરવું? પરંતુ થોડા સમય પહેલા ડિરેક્ટર ઓફ સિવિલ એવિએશન દ્વારા ભારતની વિવિધ એરલાઈન્સને આ નવો માર્ગ પસંદ કરવા અંગે વિચારણા કરવા કહેવાયું હતું.
અન્ય કોઈ એરલાઈન્સ આગળ નથી આવી પરંતુ હવે એર ઈન્ડિયા તેની ડાઈરેક્ટ ફ્લાઈટ આ નવા રસ્તેથી ઊડાવશે. એ માટે એર ઈન્ડિયાએ કેપ્ટન રજનીશ શર્મા અને કેપ્ટન દિગ્વીજય સિંહ એ બન્ને પાઈલટોની પસંદગી કરી છે. 
ભારતની કોઈ એરલાઈન્સ અત્યારે આ માર્ગે પ્રવાસ કરતી નથી. એવિએશન ડિરેક્ટરે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે જે એરલાઈન્સ બધી શરતો પૂરી કરતી હશે, તેને આ માર્ગ પસંદ કરવાની છૂટ મળશે.
એર ઈન્ડિયા એ બધી શરતો પૂરી કરે છે, તેના વિમાનો સમક્ષ છે, ઈમર્જન્સી લેન્ડિંગના વિકલ્પો તૈયાર રાખ્યા છે. માટે તેને છૂટ અપાઈ છે. દુનિયાની અન્ય કેટલીક એરલાઈન્સ આ માર્ગેથી પ્રવાસ કરે જ છે.
અત્યારે દિલ્હી-મુંબઈથી સાન-ફ્રાન્સિસ્કો (અથવા અમેરિકાના પશ્ચિમ કાંઠે) જતી ફ્લાઈટો પૂર્વ દિશામાં બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, જાપાન, પ્રશાંત મહાસાગર થઈને અમેરિકા પહોંચશે. જ્યારે નોર્થ પોલનો નવો રૂટ પશ્ચિમથી પૂર્વ તરફનો હશે. એ ફ્લાઈટ કિર્ગિસ્તાન, કઝાખસ્તાન, રશિયા, આર્કટિક સમુદ્ર, કેનેડા થઈને ફ્રાન્સિસ્કો પહોંચશે. 
અગાઉ એર ઈન્ડિયાએ 2007માં આ રૂટ પરથી ફ્લાઈટ ઊડાવી છે. કેપ્ટન અમિતાભ સિંહાએ દિલ્હીથી સિએટલ વચ્ચેનું એર ઈન્ડિયા વિમાન બોઈંગ-777 નોર્થ પોલના રૂટ પરથી ઊડાવ્યું હતુ. પરંતુ એ નિયમિત સર્વિસ ન હતી. આ નવી શરૂઆતથી સમય બચવા ઉપરાંત બળતણનો બચાવ થશે, પ્રદૂષણ પણ ઘટશે.

ગુરુવાર, 8 ઑગસ્ટ, 2019

અમેરિકાએ હિરોશીમા પર 'લીટલ બોય' અને નાગાસાકી પર 'ફેટ મેન' અણુબોંબ ફેંક્યા હતા

સાયન્સ સિટી ખાતે હિરોશીમા દિવસ અંતર્ગત સેમિનાર

સાયન્સ સિટી ખાતે હિરોશીમા દિવસને નિમિતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં કપડવંજના પ્રોફેસર મુકેશભાઇ ભટ્ટે સ્ટુડન્ટસ સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમની શરૃઆતમાં તેમણે હિરોશીમાં પર કરવામાં આવેલ અણુબોમ્બ હુમલાને લાગતો વીડિયો બતાવ્યો હતો. સ્ટુડન્ટસને માહિતી આપતા પ્રો. ભટ્ટે કહ્યું કે, ૧૯૪૫ માં દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના શહેર હિરોશીમા અને નાગાસાકી ૬ ઓગસ્ટ અને ૯ ઓગસ્ટના રોજ અણુબોમ્બ ફેંક્યો હતો, જેમાં ૮૦,૦૦૦ લોકોના મોત થયા હતા અને આ શહેરોનો લગભગ ૯૦ ટકા ભાગ નષ્ટ થઈ ગયો હતો. ઉપરાંત લાખો લોકો પરમાણુ રેડિએશનનો શિકાર બન્યા હતા. હિરોશીમા પરના સેમિનારમાં ૧૬૦ જેટલા સ્ટુડન્ટ હાજર રહ્યા હતા. 
અમેરિકનએ બી-૨૯ યુદ્ધ વિમાનનો ઉપયોગ કર્યો હતો
હિરોશીમા પર કરવામાં આવેલા પરમાણુ હુમલામાં અમેરિકન બી-૨૯ બોમ્બર યુદ્ધ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના પાયલોટ પાલ ટીબ્ટ્સ હતા. તેમજ યુદ્ધ વિમાન દ્વારા હિરોશીમા પર ફેંકવામાં આવેલા બોમ્બનું નામ 'લીટલ બોય' હતું. જે યુરેનિયમનો બનેલો હતો, જ્યારે નાગાસાકી પર ફેકાયેલા બોમ્બનું નામ 'ફેટ મેન' હતું. જે પ્લુટોનિયમનો બનેલો હતો.

જમ્મુ કાશ્મીરમાં કુલ 9 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન રહયું હતું


 Image result for jammu kashmir
જમ્મુ કાશ્મીર રાજકિય અસ્થિરતાનો વારંવાર ભોગ બન્યું હોવાથી ૯ વર્ષ કરતા પણ વધુ સમય રાષ્ટ્રપતિ શાસન રહયું હતું. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા સ્થાનિક રાજકિય પક્ષો દર ૬ વર્ષે થતી રાજકિય ચૂંટણીમાં ભાગ લે છે.  આ સ્થાનિક પક્ષોમાં પણ પરીવારવાદ હાવી રહયો છે. ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ થી ૯ ઓકટોબર ૧૯૯૬ સુધી ૬ વર્ષ અને ૨૬૪ દિવસ સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ શાસન રહયું હતું. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી આર્ટિકલ 370 અને આર્ટીકલ 35 એ રદ થતા તે ભારતનું એક પૂર્ણ રાજય બન્યું છે. આ રાજયની રાજકિય સ્થિતિ કેવી હતી તે રાષ્ટ્રપતિ શાસનના લાંબા ગાળા પરથી સમજી શકાય છે. 
૨૬ માર્ચ થી ૧૬ જુલાઇ -૧૯૭૭ -
રાષ્ટ્રપતિ શાસન - ૧૦૫ દિવસ 
રાજયપાલ -     એલ કે ઝા
કારણ - કોંગ્રેસે શેખ અબ્દુલા સરકારને ટેકો પાછો ખેંચી લેતા સરકાર લઘુમતીમાં આવી હતી.

૬ માર્ચ થી ૭ નવેમ્બર -૧૯૮૬
રાષ્ટ્રપતિ શાસન - ૨૪૬ દિવસ 
રાજયપાલ - જગમોહન
 શેખ અબ્દુલ્લાના જમાઇ ગુલામ મહંમદ શાહે ૨૬ કોંગ્રેસ ધારાસભ્યો અને ૧૨ નેશનલ કોંગ્રેસના બળવાખોરોની મદદથી ફારુક અબ્દુલાની સરકારને ઉથલાવી હતી.માર્ચ ૧૯૮૬માં ગુલામ મહંમદ શાહની સરકારને કોંગ્રેસે ટેકો પાછો ખેચી લીધો હતો.

૧૯ જાન્યુઆરી ૧૯૯૦ થી ૯ ઓકટોબર ૧૯૯૬
રાષ્ટ્રપતિ શાસન - ૬ વર્ષ અને ૨૬૪ દિવસ 
રાજયપાલ - જગમોહન
કારણ - આતંકવાદી અને અલગાવવાદી પ્રવૃતિઓએ જોર પકડતા સ્થિરતા માટે રાષ્ટ્રપતિ શાસન લાદવું પડયું હતું.

૧૮ ઓકટોબર થી ૨ નવેમ્બર -૨૦૦૨
રાષ્ટ્રપતિ શાસન - ૧૫ દિવસ
રાજયપાલ - જી.સી સકસેના
કારણ - ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણી પછી ફારુક અબ્દુલાએ રાજયના રખેવાળ મુખ્યમંત્રી તરીકે રહેવાની ના પાડી દેતા કોંગ્રેસ અને પીડીપીની નવી સરકાર ના બને ત્યાં સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

૧૧ જુલાઇ ૨૦૦૮ થી ૫ જાન્યુઆરી -૨૦૦૯
રાષ્ટ્રપતિ શાસન - ૧૭૮ દિવસ 
રાજયપાલ - એન એન વોરા
કારણ - ગુલામનબી આઝાદની સરકારને પીડીપી પાર્ટીએ ટેકો પાછો ખેંચી લેતા  લઘુમતીમાં આવેલા આઝાદે અવિશ્વાસની દરખાસ્તનો સામનો કર્યા વિના જ રાજીનામુ ધરી દીધું હતું.

૯ જાન્યુઆરી થી ૧ માર્ચ -૨૦૧૫
રાષ્ટ્રપતિ શાસન - ૫૧ દિવસ 
રાજયપાલ - એન એન વોરા 
કારણ - વિધાનસભા ચૂંટણી પરીણામો એક પણ રાજકિય પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા છેવટે રાષ્ટ્રપતિ શાસન લાદવું પડયું હતું.

૮ જાન્યુઆરી થી ૨ એપ્રિલ - ૨૦૧૬
રાષ્ટ્રપતિ શાસન - ૮૭ દિવસ 
રાજયપાલ - એનએન વોરા 
કારણ - મુખ્યમંત્રી મુફતી મહંમદ સઇદનું અવસાન થતા પીડીપીના અધ્યક્ષ મહેબુબા અને ભાજપ વચ્ચેની સમજૂતી તૂટી હતી.

૨૩ ઓગસ્ટ ૨૦૧૮ થી અત્યા૨ સુધી 
રાષ્ટ્પતિ શાસન - ૩૪૬ દિવસ 
રાજયપાલ - સત્યપાલ મલિક 
કારણ - ભાજપે પીડીપીના મહેબુબા મુફતી સૈયદની સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો.

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજનો દેહ પંચમહાભૂતમાં વિલિન

- લોધી રોડના સ્મશાનગૃહમાં પુત્રી બાંસુરીએ મુખાગ્નિ આપ્યો
- વડાપ્રધાન મોદી, લાલકૃષ્ણ અડવાણી, વેંકૈયા નાયડુ સહિતના નેતાઓ ભાવુક થયા
- વિદેશ મંત્રી તરીકે સ્વરાજે વિદેશ મંત્રાલયની કામગીરીને માનવીય સ્પર્શ આપ્યો હતો

ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની બુધવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિલ્હીના લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે અંતિમક્રિયા કરવામાં આવી હતી. પક્ષના મુખ્યાલયથી તિરંગામાં લપેટીને સુષમા સ્વરાજનો દેહ લોધી રોડ સ્મશાનગૃહ લવાયો હતો, જ્યાં તેમની પુત્રી બાંસુરી સ્વરાજે તેમને મુખાગ્ની આપ્યો હતો અને તેમના પતિ સ્વરાજ કૌશલ પુત્રી સાથે ઊભા હતા.
ભાજપના ૬૭ વર્ષના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું મંગળવારે રાતે હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું હતું. હૃદય રોગનો હુમલો થતાં તેમને એઈમ્સ ખસેડાયા હતા. જોકે, ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. તેમના અચાનક નિધનના સમાચારથી સમગ્ર દેશમાં આધાતનું મોજું ફરીવળ્યું હતું.

બુધવારે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે પક્ષના કાર્યાલય પર લાવવામાં આવ્યો હતો, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ, પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહસહિત હજારો લોકોઅ ર્તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પક્ષીય રાજકારણથી ઉપર ઉઠી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ, મુલાયમ સિંહ સહિત વિપક્ષના અનેક વરિષ્ઠ નેતાઓએ સુષમા સ્વરાજના અંતિમ દર્શન કર્યા હતા.

પક્ષના કાર્યાલયથી તિરંગામાં લપેટાયેલા તેમના દેહને લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે લવાયો હતો. તેમની અંતિમયાત્રામાં પીએમ મોદી, અડવાણી, વેંકૈયા નાયડુ સહિતના નેતાઓ ભાવુક થઈ ગયા હતા.
મોદી સરકારની પ્રથમ મુદતમાં વિદેશ મંત્રી તરીકે તેમણે વિદેશ મંત્રાલયની કામગીરીને માનવીય સ્પર્શ આપ્યો હતો. વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદે તેઓ હંમેશા રહેતા. તેઓ ટ્વીટર પર ખૂબ જ સક્રિય હતા. તેમની આ સક્રિયતાના કારણે જ અનેક ભારતીયોને તેમણે સહાય કરી હતી. જોકે, સ્વાસ્થ્યના કારણોસર તેમણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાનું ટાળ્યું હતું.
તેમના અંતિમ દર્શન માટે પક્ષના હજારો કાર્યકરો ઉમટી પડયા હતા. અનેક લોકોએ ભાજપના મુખ્યાલય પર સુષમા સ્વરાજની અંતિમ ઝાંખી પોતાના મોબાઈલમાં કેપ્ચર કરવા પ્રયાસ કર્યા હતા. ભાજપની મુખ્ય કારોબારીમાં પ્રવેશ કરનાર તેઓ સૌપ્રથમ મહિલા નેતા હતા.  તેઓે ઓક્ટોબર ૧૯૯૮માં બાવન દિવસ માટે દિલ્હીના પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બન્યા હતા. સુષમા સ્વરાજ પોતાની પ્રતિભાના જોરે પક્ષમાં એકપછી એક ક્રમ ચઢતાં ટોચની હરોળમાં પહોંચ્યા હતા. 

બુધવાર, 7 ઑગસ્ટ, 2019

મોદી-શાહે ઇતિહાસ સર્જ્યો : બંધારણના બજારમાં 370 નંબરની દુકાનને ખંભાતી તાળું

 

- કલમ 370ને તલાક: J&Kને દેશનું સૌથી વિકસીત રાજ્ય બનાવાશે: અમિત શાહ

-370ની નાબુદી સાથે જ કાશ્મીરના વિકાસના દ્વાર ખુલ્યા : દેશના બાળકને ફરજિયાત શિક્ષણનો અધિકાર મળ્યો
-કાશ્મીરનું બાળક 370ને કારણે આ અધિકારથી વંચીત રહ્યું : કલમ 370 કાયમી નહીં પણ કામચલાઉ જ હતી
-આ કલમોને કારણે જ કાશ્મીરમાં વકરેલા આતંકવાદે અત્યાર સુધીમાં 41,400 નાગરીકોનો ભોગ લીધો 
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં લાગુ આર્ટિકલ 370ને નાબુદ કરવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ જમ્મુ કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો પણ નાબુદ થઇ ગયો છે. પરીણામે જ્યારે રાજ્યસભામાં આ આર્ટિકલને નાબુદ કરતો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતો જેના પર થયેલી ચર્ચાઓનો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જવાબ આપ્યો હતો.
શાહે આર્ટિકલ 370 અને 3૫એને નાબુદ કરવાના નિર્ણયથી દેશને અને ખાસ કરીને જમ્મુ કાશ્મીરને શું ફાયદો થશે તે અંગે પોતાનો અભિપ્રાય રજુ કર્યો હતો. અમિત શાહે રાજ્યસભામાં વિપક્ષને જવાબ આપતા કહ્યું હતું કે આર્ટિકલ 370ને કારણે જ કાશ્મીરમાં આતંકવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી વગેરે વકર્યા છે. અને જો આ દુષણોને નાબુદ કરવા હોય તો તેના માટે આર્ટિકલ 370ને નાબુદ કરવી અતી જરૂરી છે. 
શાહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દરેક બાળકને શિક્ષણ મળી રહે માટે શિક્ષણના અધિકારનો કાયદો લાવી પણ આર્ટિકલ 370ને કારણે કાશ્મીરમાં આ કાયદો લાગુ ન થઇ શક્યો પરીણામે આ રાજ્યનું બાળક શિક્ષણના અધિકારોથી વંચીત રહ્યું કેમ કે આર્ટિકલ 370 વચ્ચે આવી રહી હતી.
કાશ્મીરમાં પર્યટન, ઉધ્યોગોનો વિકાસ ન થઇ શક્યો કેમ કે બહારનું કોઇ પણ નાગરીક રાજ્યમાં જમીન ખરીદી નહોતુ શકતું. પણ હવે સરકાર જમ્મુ કાશ્મીરને દેશમાં સૌથી વિકસિત રાજ્ય બનાવવા માટે કટિબદ્ધ છે. કાશ્મીર ધરતીનું સ્વર્ગ હતું, છે અને રહેશે અને હવે આર્ટિકલ 370ની નાબુદી સાથે જ ધરતીના સ્વર્ગ કાશ્મીરના વિકાસના દરવાજા પણ ખુલ્યા છે. હવે રાજ્યના વિકાસને કોઇ નહી રોકી શકે. 
અમિત શાહે રાજ્યસભામાં કેટલાક આંકડા રજુ કરતા જણાવ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદે 41,400 નાગરીકોનો ભોગ લીધો છે. જેના માટે કોની નીતીઓ જવાબદાર છે
આર્ટિકલ 370 પણ આતંકવાદ માટે જવાબદાર છે, જેને રદ કરતા જ હવે કાશ્મીર ખરા અર્થમાં ભારતનો અભિન્ન અંગ બની ગયું છે. 3૫એને કારણે જ જમ્મુ કાશ્મીરના કુશળ યુવાઓને આગળ આવવાની તક ન મળી. આર્ટિકલ 370 કાયમી નહીં પણ કામચલાઉ જ હતી, અને કામચલાઉ હોય તેને કાયમ માટે કેવી રીતે લાગુ કરી શકાય? તેનું રદ થવું કાશ્મીરના વિકાસ માટે અતી જરૂરી હતું. હવે રાજ્યનો વિકાસ કોઇ નહીં અટકાવી શકે. 
કલમ 370 હટાવવામાં જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવની મહત્ત્વપૂર્ણ ભૂમિકા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવા અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં વડાપ્રધાન મોદીના એક વિશ્વાસપાત્ર અિધકારીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની યોજના એક વર્ષ પહેલા જ નક્કી કરી લેવામાં આવી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ જ જમ્મુ-કાશ્મીરમાં અિધકારીઓની નિમણૂકથી લઇને સેનાની પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી રહી હતી. આ યોજનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા બીવીઆર સુબ્રમણ્યમની રહેલી છે. 
છત્તીસગઢ કેડરના1987 બેન્ચના આઇએએસ અિધકારી સુબ્રમણ્યમ હાલમાં જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ છે. યુપીએથી લઇને એનડીએ સરકાર દરમિયાન આઠથી નવ વર્ષ તે વડાપ્રધાન કાર્યાલયમાં કાર્યરત હતાં. તેઓ વર્લ્ડ બેંકમાં પણ કાર્ય કરી ચૂક્યા છે. 
સુબ્રમણ્યમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ, વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે સારા સંબધો છે. અજીત દોવલની સલાહ પર જ તેમને 2018માં જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા હતાં. 
સુબ્રમણ્યમને જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ બનાવ્યા પછી કન્દ્ર સરકારે રાજ્યમાં પોતાના વિશ્વાસપાત્ર અિધકારીઓની નિમણૂક કરી છે. સુબ્રમણ્યમની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પોતાના દાયરામાં જ રહીને કામ કરે છે. 
જમ્મુ કાશ્મીર વિધાન સભામાં સાત બઠકો વધીને 114 થશે

જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ તેનું  સિમાંકન થશે અને તે  અન્વયે રાજ્ય વિધાનમાં સાત બેઠકોનો વધારો થશે હાલ રાજ્ય વિધાન સભામાં  કુલ બેઠકો 107 છે  જે વધીને 114 થશે.
જમ્મુ અને કાશ્મીર વિધાન સભામાં પાકિસ્તાન હસ્તકનાં કાશ્મીરની 24 બેઠકો ખાલી રાખવામાં આવે છે,અત્યાર સુંધી લદ્દાખ વિસ્તારની બેઠકો  સાથે વિધાનસભામાં સભ્યોનું કુલ સંખ્યા બળ 87 જેટલું થાય છે. રાજ્યના  નવા સિમાંકન બાદ લદ્દાખ  અલગ વિધાન સભા વગરનો નવો કેન્દ્ર શાસિત  પ્રદેશ બનશે.જેમા કારગીલ અને લેહ જીલ્લાનો સમાવેસ કરવામાં આવશે.
70 વર્ષથી ન થયું તે અમિત શાહે 70 દિવસમાં કરી બતાવ્યું
70 વર્ષમાં દેશે 1૫ વડાપ્રધાનોનું શાસન જોયું. પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના શાસનમાં 370એ કલમ લાગુ થઈ હતી. તે પછી વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બીજી ટર્મ સુધીમાં દેશે વડાપ્રધાન પાસે ગૃહ મંત્રાલયનો ચાર્જ હોય એને ગણતરીમાં લઈએ તો 31 ગૃહ મંત્રીઓ જોયા છે, પરંતુ કોઈએ 370 હટાવવાની હિંમત કરી ન હતી.
નહેરૂની પોલિસી અંતર્ગત લેવાયેલો નિર્ણય હોવાથી કોંગ્રેસની સરકારોમાં તો સ્વાભાવિક રીતે જ આ ન થાય, પરંતુ બિનકોંગ્રેસી વડાપ્રધાનોએ કે ગૃહ મંત્રીઓએ પણ 370 હટાવવાનું હિંમતભર્યું પગલું ન ભર્યું. કટોકટી પછી મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન બન્યા. એ વખતે તેમણે પણ આ દિશામાં કોઈ નવો નિર્ણય ન લીધો.
ચૌધરી ચરણસિંહ, આઈ.કે. ગુજરાલ, દેવેગૌડા, વી.પી. સિંહ, ચંદ્રશેખર સુધીના બિનકોંગ્રેસી વડાપ્રધાનોના કાર્યકાળમાં આ મુદ્દો ઉછળ્યો હોવા છતાં કોઈ જ કામગીરી થઈ ન હતી. તે એટલે સુધી કે ભાજપના જ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનમાં કાશ્મીરની પોલિસી થોડી બદલાઈ હતી, પરંતુ 370 હટાવવાની પહેલ ન થઈ.
વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળમાં પણ એ ન થયું. 2014માં ભાજપના મેનિફેસ્ટોમાં આ મુદ્દો સામેલ હોવા છતાં ભાજપ સરકાર પ્રથમટર્મમાં એ મુદ્દાને છેડવાથી દૂર રહી. એ કામ અમિત શાહે ગણતરીના દિવસોમાં કરી દેખાડયું. અમિત શાહ ગૃહ મંત્રી બન્યા એના 70 દિવસ માંડ થયા છે. જે કામ દેશમાં 70 વર્ષથી ન થયું એ પ્રથમ વખત દેશના ગૃહ પ્રધાન બનનારા, પ્રથમ વખત લોકસભાના સાંસદ બનનારા અમિત શાહે વટભેર કરીને નવો ચીલો પાડયો છે.
ભારતે કાશ્મીર અંગેના નિર્ણયની UNના પાંચ કાયમી સભ્યોને જાણ કરી
જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતા અને રાજયને બે ભાગમાં વહંચી દેવાના બંધારણની કલમ
370ને રદ કરવાના નિર્ણયની ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પાંચ કાયમી સભ્યોના પ્રતિનીધીઓને તેમજ અન્ય દેશોને  જાણ કરાઇ હતી. વિદેશી રાજદૂતોને ભારતે ક્હયું હતું કે આ અમારો આંતરિક નિર્ણય હતો.
કેન્દ્રનો ઇરાદો જમ્મુ અને કાશ્મીર રાજ્યને સુશાસન, સામાજીક ન્યાય અને આર્થિક ખુશહાલ બનાવવાનો છે. એવું જાણવા મળ્યું હતું કે વિદેશ સચિવ વિજય ગોખલેએ સંયુક્ત રાષ્ટ્રસંઘના કાયમી સભ્ય દેશો અમેરિકા,બ્રિટન, ફ્રાન્સ, ચીન અને રશિયાના પ્રતિનીધીઓને આ અંગેની માહિતી આપી હતી. તો અન્ય વરિષ્ઠ અધિકારીઓએ બીજા દેશોના પ્રતિનીધીઓને આ નિર્ણયની જાણ કરાઇ હતી.