મંગળવાર, 13 ઑગસ્ટ, 2019

'એર ઈન્ડિયા' ઉત્તર ધુ્રવ પરથી ઊડીને અમેરિકા પહોંચનારી પહેલી ભારતીય એરલાઈન્સ બનશે

- દિલ્હી-સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટના સમયમાં 90 મિનિટનો ઘટાડો થશે
- અત્યારે ભારતની કોઈ પણ એરલાઈન્સ નોર્થ પોલ પરથી ઊડીને અમેરિકા જતી નથી

15 ઑગસ્ટથી શરૂઆત : 4000 કિલોમીટર અંતર ઘટી જશે

ઉત્તર ધુ્રવ (નોર્થ પોલ) પરથી ઊડીને અમેરિકા પહોંચનારી પહેલી એરલાઈન્સ તરીકે એર ઈન્ડિયા પોતાનું નામ નોંધાવશે. દિલ્હી-સાન ફ્રાન્સિસકો વચ્ચેની ડાઈરેક્ટ ફ્લાઈટ 15મી ઑગસ્ટથી તેના પરંપરાગત રૂટને બદલે ઉત્તર ધુ્રવ પરથી ઊડીને અમેરિકા પહોંચશે.
આ નવા રૂટને કારણે અંતર 12,000 કિલોમીટરને બદલે 8,000 કિલોમીટર જેટલું થશે, જ્યારે પ્રવાસનો સમય 17 કલાકથી ઘટીને 15.5 કલાક થશે. પૃથ્વીનો ઉત્તર છેડો ઉત્તર ધુ્રવ તરીકે ઓળખાય છે. એ પ્રદેશ બર્ફીલો છે, ત્યાં પાંખી વસાહત છે, મોટા શહેરો તો બિલકુલ નથી. માટે કોઈ પણ એરલાઈન્સે ત્યાંથી ઊડાન ભરતી વખતે સાવધાન રહેવું પડે.
કેમ કે ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનું થાય તો ક્યાં ઉતરાણ કરવું? પરંતુ થોડા સમય પહેલા ડિરેક્ટર ઓફ સિવિલ એવિએશન દ્વારા ભારતની વિવિધ એરલાઈન્સને આ નવો માર્ગ પસંદ કરવા અંગે વિચારણા કરવા કહેવાયું હતું.
અન્ય કોઈ એરલાઈન્સ આગળ નથી આવી પરંતુ હવે એર ઈન્ડિયા તેની ડાઈરેક્ટ ફ્લાઈટ આ નવા રસ્તેથી ઊડાવશે. એ માટે એર ઈન્ડિયાએ કેપ્ટન રજનીશ શર્મા અને કેપ્ટન દિગ્વીજય સિંહ એ બન્ને પાઈલટોની પસંદગી કરી છે. 
ભારતની કોઈ એરલાઈન્સ અત્યારે આ માર્ગે પ્રવાસ કરતી નથી. એવિએશન ડિરેક્ટરે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે જે એરલાઈન્સ બધી શરતો પૂરી કરતી હશે, તેને આ માર્ગ પસંદ કરવાની છૂટ મળશે.
એર ઈન્ડિયા એ બધી શરતો પૂરી કરે છે, તેના વિમાનો સમક્ષ છે, ઈમર્જન્સી લેન્ડિંગના વિકલ્પો તૈયાર રાખ્યા છે. માટે તેને છૂટ અપાઈ છે. દુનિયાની અન્ય કેટલીક એરલાઈન્સ આ માર્ગેથી પ્રવાસ કરે જ છે.
અત્યારે દિલ્હી-મુંબઈથી સાન-ફ્રાન્સિસ્કો (અથવા અમેરિકાના પશ્ચિમ કાંઠે) જતી ફ્લાઈટો પૂર્વ દિશામાં બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, જાપાન, પ્રશાંત મહાસાગર થઈને અમેરિકા પહોંચશે. જ્યારે નોર્થ પોલનો નવો રૂટ પશ્ચિમથી પૂર્વ તરફનો હશે. એ ફ્લાઈટ કિર્ગિસ્તાન, કઝાખસ્તાન, રશિયા, આર્કટિક સમુદ્ર, કેનેડા થઈને ફ્રાન્સિસ્કો પહોંચશે. 
અગાઉ એર ઈન્ડિયાએ 2007માં આ રૂટ પરથી ફ્લાઈટ ઊડાવી છે. કેપ્ટન અમિતાભ સિંહાએ દિલ્હીથી સિએટલ વચ્ચેનું એર ઈન્ડિયા વિમાન બોઈંગ-777 નોર્થ પોલના રૂટ પરથી ઊડાવ્યું હતુ. પરંતુ એ નિયમિત સર્વિસ ન હતી. આ નવી શરૂઆતથી સમય બચવા ઉપરાંત બળતણનો બચાવ થશે, પ્રદૂષણ પણ ઘટશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો