દેશની આત્મા-મહાત્મા: બાપૂએ જ્યારે જે સંકલ્પ લીધો તેને
દરેક પરિસ્થિતિમાં પૂરો કર્યો
ગાંધીજી મક્કમ મનના હતા.
તેમણે જે પણ સંકલ્પ લીધો એમાં ક્યારેય પીછે હઠ કરી નહોતી. ગાંધીજી 1888માં સૂટમાં
દેખાયા તો 33 વર્ષ બાદ 1921માં મદુરાઈમાં ધોતીમાં જોવા મળ્યા. આ દરમિયાન ગાંધીજીએ
વસ્ત્રો દ્વારા સત્યાગ્રહ કર્યો. ગાંધીજીના જીવનના સૌથી મહત્વના પાંચ સંકલ્પ.
- 15 માર્ચ, 1917: જ્યારે જૂતાં નહીં
પહેરવાનો સંકલ્પ લીધો
1917માં ગાંધીજી
કાઠીયાવાડી પોશાકમાં ચંપારણ પહોંચ્યા હતા, જ્યાં મહિલાઓએ એમને કહ્યું હતું કે
અંગ્રેજો તેમને ગળીની ખેતી કરવા બળજબરી કરી રહ્યા છે. તેમને અંગ્રેજોની મિડવાઇફ
તરીકે કામ કરવાની ફરજ પડાય છે. અંગ્રેજ ફેક્ટરી માલિકી કથિત નીચલી કોમના લોકોને
પગરખા પણ પહેરવા દેતા નથી. એ પછી બાપુએ જૂતા નહીં પહેરવાનો સંકલ્પ લીધો હતો.
- 8 નવેમ્બર, 1917: મહિલાની ફરિયાદ સાંભળીને
કોટનો ત્યાગ
8 નવેમ્બર 1917ની વાત છે.
ગાંધીજીની સલાહ બાદ કસ્તુરબાએ ચંપારણની મહિલાઓને સ્વચ્છતા વસ્ત્રો પહેરવાની સલાહ
આપી. જવાબમાં એક મહિલાએ કહ્યું હતું કે, બા, મારી પાસે એક જ સાડી છે, જે પહેરી
રાખી છે. તમે જ કહો એને કેવી રીતે સાફ રાખું. જવાબ સાંભળીને ગાંધીજીએ પોતાનો કોટ એ
મહિલાને આપી દીધો અને પછી પોતે ક્યારેય કોટ પહેર્યો નહીં.
- કાઠિયાવાડી પાઘડીનો ત્યાગ કર્યો: કહ્યું,
તેનાથી 4 શરીર ઢાંકી શકાય છે
1918માં બાપુ અમદાવાદમાં
મજૂરોની હડતાળમાં સામેલ થયા હતા. ત્યાં એમણે જોયું કે તેમની પાઘડી માટે જેટલું
કાપડ વપરાય છે તેનાથી 4 લોકો પોતાના શરીર ઢાંકી શકે છે. એ પછી તેમણે પાઘડીનો કાયમ
માટે ત્યાગ કર્યો હતો. તેમણે કહ્યું કે જે દેશમાં લાખો લોકો પાસે પહેરવા વસ્ત્ર
નથી ત્યારે પાઘડી વાસ્તવિકતાથી જુદું ચિત્ર રજૂ કરે છે.
- 31 ઓગસ્ટ 1920: જ્યારે ખાદીને અપનાવી
ખેડામાં ખેડૂતોના
સત્યાગ્રહ દરમ્યાન ગાંધીજીએ આજીવન ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ દિવસોમાં
વિદેશમાં કપાસ પહોંચાડવા માટે ખેડૂતોને કપાસની ખેતી કરવા મજબુર કરવામાં આવતા હતા.
ગાંધીએ પ્રતિજ્ઞા લેતા જણાવ્યું કે, આજ પછી હું હંમેશા હાથે બનેલી ખાદીનો જ વસ્ત્ર
તરીકે ઉપયોગ કરીશ.
- 21 સપ્ટેમ્બર 1921: મદુરાઈમાં ધોતી
પહેરવાના શપથ લીધા
સપ્ટેમ્બર 1921માં મદુરાઈ
જતી વખતે ગાંધીજી લોકોને ખાદી પહેરવાનો આગ્રહ કરતા. લોકો જવાબમાં કહેતા કે અમે
એટલા ગરીબ છીએ એટલે ખાદી પહેરી શકીશું નહીં. ગાંધીજી ત્યારે બંડી, ટોપી અને
ધોતીમાં હતા. બીજા દિવસે મદુરાઈમાં તેમણે નાની ધોતી ધારણ કરી, જેથી પોતાનો પોશાક
સામાન્ય ભારતવાસીઓ જેવો રહે.