સોમવાર, 19 નવેમ્બર, 2018

સુરતના હેરીટેજ પ્લેસ કિલ્લો અને મુગલસરાઇ હાલ નવા રંગરૂપમાં 



- આજથી હેરીટેજ વીકની ઉજવણી

- પોર્ટુગીઝોની કોઠી સામે સ્થપાઇ હતી મુગલસરાઇ

શહેર પર થતાં વારંવારના આક્રમણને ખાળવા કિલ્લો બનાવાયો હતો

સુર્યપુર નામથી આદિકાળમાં તાપી નદી કિનારે વસેલું  શહેર સુરત પોતાનું ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પહેલાં મુઘલો ત્યાર બાદ પોર્ટુગીઝો અને પછી અંગ્રેજો માટે સુરત મુખ્ય બંદર બની રહ્યું.૧૯થી ૨૫ મી નવેમ્બર સુધી જ્યારે હેરિટેજ વીકની ઉજવણી થઇ રહી છે ત્યારે સુરતના મહત્વની હેરિટેજ જગ્યાઓ  પહેલા કરતા ઘણી બદલાઈ ચુકી છે.
મુગલસરાઇ 
૧૬મી સદી દરમિયાન સુરતની શાખ વિશ્વભરમાં પ્રસરી ચૂકી હતી, જેથી અનેક વિદેશી પ્રજાઓ પોતાનો વેપાર વિક્સાવવા માટે અહીં આવવા લાગી. તેમાં અરબો, ડચ ફ્રેન્ચો, પોર્ટુગીઝો અને બ્રિટીશરો મુખ્ય હતાં. ૨૪ ઓગસ્ટ ૧૬૦૦નાં રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું જહાજ સુરત બંદરે વેપાર કરવાનાં ઉદ્દેશથી આવ્યું અને બાદશાહ જહાંગીર પાસે વેપાર કરવાના પરવાના માંગ્યા. પરંતુ અગાઉથી જ વેપારી કોઠી સ્થાપી ચુકેલા ફ્રેન્ચો અને પોર્ટુગીઝોએ યેનકેન રીતે તેમને અટકાવવાની કોશિશ કરી. પણ લગભગ ૧૩ વર્ષ બાદ તેમને વેપારી પરવાનો મળી ગયો અને તેમણે પાતળીયા હનુમાન ઓવારા પર પોર્ટુગીઝોની કોઠી સામે પોતાની કોઠી સ્થાપી. અને મુગલસરાઈ ની સ્થાપના કરી હતી. આ હેરીટેજ પ્લેસ હાલ નવા રૂપરંગમાં જોવા મળે છે. અને અહીં હાલ સુરત મ્યુનિ.ની મુખ્ય કચેરી ચાલે છે. 
કિલ્લો
શહેરમાં ૧૬મી સદીનો કિલ્લો છે. આ કિલ્લાને રીનોવેશન કરાવીને નવા રૂપ રંગ આપવામાં આવ્યા છે અને આજે પણ આ કિલ્લાની ખૂબસુરતી યથાવત  છે.કિલ્લાનું પણ પોતાનું આગવું મહત્વ છે જે સુરતના ઇતિહાસનો સાક્ષી  છે. કિલ્લાનો હેરિટેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના (૧૫૩૮-૧૫૫૪) આદેશથી શહેર પર થતાં વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંન્યો હતો. તેણે આ કામ તુર્કીના સૈનિક સફી આગાને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો. ઇતિહાસકારોના મત પ્રમાણે સુરત આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું બંદર હતું. બાર્બોસા નામના પોર્ટુગીઝ પ્રવાસીએ ઇ.સ. ૧૫૧૪માં ગુજરાતની મુલાકાત દરમિયાન સુરતને બધાજ પ્રકારના વ્યાપાર માટેનું અને રાજાને મહત્વની આવક મોકલતું કેન્દ્ર તેમજ મલબાર અને અન્ય બંદરો સાથે વ્યાપાર કરતું દર્શાવ્યું હતું.  

બાર્બોસાની મુલાકાતના ટૂંકા સમય પછી પોર્ટુગીઝોએ સુરત પર હુમલો કર્યો હતો. ઇ.સ. ૧૫૩૦માં પોર્ટુગીઝ ચાંચિયાઓએ તેમના સરકાર એન્ટોનિયો ડા સિલ્વરીઆની આગેવાની હેઠળ સુરત પર આક્રમણ કર્યું હતું અને શહેરને બાળ્યું હતું. ૧૫૩૧માં ફરીથી તેમણે સુરત પર આક્રમણ કર્યું હતું. અમદાવાદના રાજા સુલ્તાન મહમૂદ ત્રીજાએ આ હુમલાઓને ખાળવા મજબૂત કિલ્લો બનાવવાનો આદેશ આપ્યો હતો અને આ કામ તેણે ખુદાવંદ ખાનને સોંપ્યું હતું. રીનોવેશન કરાયેલા આ કિલ્લાને હાલ મ્યુનિ.હેરીટેજ તરીકે સાચવણી કરી રહ્યું છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો