ગુરુવાર, 17 ઑગસ્ટ, 2017


૭૦ વર્ષ, ગૌરવની ૭૦ ક્ષણો - 2009-2016


ઓગસ્ટ ૨૦૦૯ : સૌને શિક્ષણનો અધિકાર

રહી રહીને સરકારે રાઈટ ટુ એજ્યુકેશન (શિક્ષણનો અધિકાર) પસાર કર્યો અને દેશભરમાં તેનો અમલ પણ શરૃ કર્યો. શિક્ષણના અભાવે કરોડો બાળકો ખોટા માર્ગે ચડી જાય છે. રાતોરાત તેમાં ભલે આસમાની સુધારો ન આવતો હોય તો પણ શિક્ષણ લેવાનું પ્રમાણ વધ્યું છે. એ કાયદા હેઠળ ખાનગી શાળામાં ગરીબ બાળકોને મફત શિક્ષણ મળતું થયું છે.

૧૯ એપ્રિલ, ૨૦૧૨ : આણ વર્તાવતું અગ્નિ-૫
ભારતનું અગ્નિ-૫ મિસાઈલ એવું છે કે અહીંથી રવાના થાય તો ધરતીનો અડધો ગોળો આવરી લે. એટલે કે ફાયર કરવામાં આવે તો આખેઆખુ ચીન પાર કરીને છેક રશિયા સુધી પ્રહાર કરી શકે. પરમાણુ શસ્ત્ર વહન કરી શકતા અગ્નિ-૫ની રેન્જ ૫ હજાર કિલોમીટરની છે અને ૮ હજાર કિલોમીટર સુધી ભવિષ્યમાં વિસ્તરશે. દુશ્મનોને સખણા રાખવાનું કામ ઘણે અંશે અગ્નિ-૫ એકલું કરી આપે છે, માટે તેને 'વેપન્સ ઓફ પિસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. અગ્નિ-૫ જગતના સૌથી શક્તિશાળી મિસાઈલો પૈકીનું એક છે.

૧૫ જુલાઈ, ૨૦૧૨ : રૃપિયાને ઓળખ મળી
છેક ૧૫૪૦ની સાલથી ચલણ તરીકે રૃપિયો વપરાતો આવે છે. ઈન ફેક્ટ, રૃપિયો જગતનું સૌથી પુરાતન ચલણ છે. એ ચલણને ૨૦૧૨માં ડોલર-પાઉન્ડની માફક સત્તાવાર ઓળખ એટલે કે સિમ્બોલ મળ્યો. ૨૦૦૯માં સ્પર્ધા યોજીને નાણા મંત્રાયલે દેશભરમાંથી સિમ્બોલની ડિઝાઈન મંગાવી હતી. જેનો સિમ્બોલ પસંદ થાય તેને અઢી લાખ રૃપિયા જેવુ માતબર વળતર પણ મળવાનું હતું. એ ઈનામ આખરે ઉદય કુમાર નામના ડિઝાઈનરને મળ્યો જેનો સિમ્બોલ હવે વપરાય છે. એ ડિઝાઈન પસંદ કરવામાં અમદાવાદ સ્થિત 'નેશનલ ડિઝાઈન ઈન્સ્ટીટયૂટ (એનઆઈડી)' સહિતની સંસ્થાઓએ ભાગ ભજવ્યો હતો.

નવેમ્બર, ૨૦૧૩ : લિટલ માસ્ટરની લાર્જર સિદ્ધિ
સચિન તેંડુલકરના નામે ક્રિકેટના ઘણા વિક્રમો છે. પણ નવેમ્બર ૨૦૧૩માં નિવૃત્તિ વખતે એક વિક્રમે આખા જગતનું ધ્યાન ખેંચ્યુ હતું. એ વિક્રમ એટલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન. ૬૬૪ આંતરરાષ્ટ્રીય મેચોમાં સચિને કુલ મળીને ૩૪,૩૫૭ રન નોંધાવ્યા છે. દુનિયામાં કોઈ ક્રિકેટ ખેલાડીએ આવી સિદ્ધિ હાંસલ કરી નથી. ૨૫ વર્ષ લાંબી કારકિર્દીમાં સૌથી વધુ સદી (૧૦૦) જેવા અનેક વિક્રમોની તો વણઝાર સર્જી છે.

૨૭ માર્ચ, ૨૦૧૪ : ભારત પોલિયોમુક્ત થયું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના નિયમ પ્રમાણે કોઈ દેશમાં સતત ૩ વર્ષ સુધી પોલિયોનો એક પણ કેસ ન નોંધાય તો પછી એ દેશમાંથી પોલિયો નાબુદ થયો છે એમ જાહેર કરી શકાય છે.

ભારતમાં છેલ્લે જાન્યુઆરી ૨૦૧૧માં પોલિયોનો એક કેસ પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો. એ પછી કોઈ કિસ્સો ધ્યાનમાં આવ્યો નથી. માટે ૨૦૧૪ની ૨૭મી માર્ચે સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતે પોલિયો મુક્તિનું સર્ટિફિકેટ આપ્યું હતુ. ભારતે પોલિયોથી છૂટકારો મેળવવાની શરૃઆત છેક ૧૯૯૫માં કરી હતી. એ વર્ષથી ભારતમાં પોલિયોના ટીપાં પવાતા આવે છે. પોલિયો ભારતના બાળકોનો સાઈલેન્ટ દુશ્મન હતો હવે ભારતને તેનાથી આઝાદી મળી છે.

પોલિયો જગતના સૌથી વધુ ઘાતક રોગો પૈકીનો એક રોગ છે. અસરકારકતા ઉપરાંત પોલિયોના મૂળિયા પણ બહુ દૂરના ઈતિહાસમાં જાય છે. ઈજિપ્તના પિરામિડોમાંથી મળેલા ૩ હજાર વર્ષ પુરાણી આકૃતિઓમાં પોલિયોના ચિહ્નો જોવા મળે છે. આપણે જેને પોલિયો તરીકે ઓળખીએ છીએ રોગનું આખુ નામ તો પોલિયોમાયેલાઈટિસ છે.

૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૪ : મંગળ પર ભારતનો મંગળ પ્રવેશ
બેશક મંગળ પર સંશોધન કરવામાં અમેરિકા-રશિયા-જાપાન જેવા દેશો આગળ છે. પણ એક વાતમાં ભારતે ૨૦૧૪માં વિક્રમ સર્જી દીધો હતો. નવેમ્બર ૨૦૧૩માં ભારતે મંગળયાન રવાના કર્યું હતું અને સફળતાપૂર્વક એ સપ્ટેમ્બર ૨૦૧૪માં મંગળની કક્ષામાં પહોંચ્યુ હતુ. મંગળયાન આજની તારીખે પણ એકમાત્ર સ્પેસક્રાફ્ટ છે, જે પ્રથમ પ્રયાસે મંગળ પર પહોંચી શક્યો હોય. અને ભારત એવો એકમાત્ર દેશ.
એશિયામાં ભારતની અવકાશી પ્રગતી સામે છિંકોટા નાખતુ ચીન મંગળ સુધી પહોંચી શક્યું નથી. ૧૩૫૦ કિલોગ્રામના મંગળયાનને મંગળ સુધી પહોંચવા માટે ૬૬.૬ કરોડ કિલોમીટરનો પ્રવાસ કરવો પડયો હતો. માત્ર ૪૫૦ કરોડ રૃપિયાના મામૂલી બજેટમાં મંગળ સુધી પહોંચીને ભારતે જગતભરની અવકાશ સંશોધન સંસ્થાઓને સરપ્રાઈઝ કરી દીધી છે.

૨૧ જૂન, ૨૦૧૫ : યોગને આંતરરાષ્ટ્રીય માન્યતા
યોગસન ભારતમાં હજારો વર્ષથી થતાં આવે છે. પરદેશીઓ પણ વર્ષોથી આરોગ્ય સુધારણા માટે યોગનો સહારો લઈ રહ્યા છે. પરંતુ એ યોગને ૨૦૦૧૫માં સત્તાવાર રીતે વૈશ્વિક માન્યતા મળી જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘે ૨૧ જૂનને 'ઈન્ટરનેશનલ ડે ઓફ યોગ' તરીકે ઉજવવાની જાહેરાત કરી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન પછી રાષ્ટ્રસંઘે યોગને આવકારવાનું મહત્ત્વપૂર્ણ પગલું લીધું હતું.

જાન્યુઆરી ૨૦૧૬ : સંપૂર્ણ શિક્ષિત રાજ્ય કેરળ
શિક્ષણ ક્ષેત્રે પહેલેથી આગળ રહેલા કેરળે જાન્યુઆરી ૨૦૧૬માં સંપૂર્ણ શિક્ષિત રાજ્ય હોવાનો દરજ્જો હાંસલ કર્યો છે. એટલે કે રાજ્યની ૧૦૦ ટકા વસતી લખી-વાંચી શકે છે. પછી તો કેરળે ૧૦૦ ટકા મતદાર નોંધણી ઓનલાઈન, પ્રથમ કમ્પલિટ ડિજિટલ સ્ટેટ, સહિતના અનેક ખિતાબો હાંસલ કર્યા છે.

૨૭ જૂન, ૨૦૧૬ : મિસાઈલ ગૂ્રપમાં ભારતનું સ્વાગત
જેના ડરથી ગઢની રાંગો મજબૂત બનાવી હોય, એ જ વ્યક્તિને ભવિષ્યમાં ગઢની રખેવાળી સોંપવામાં આવે એવું બને ખરું? ભારતને મિસાઈલ ટેકનોલોજી કન્ટ્રોલ રિજિમ કહેવાતા ગૂ્રપમાં પ્રવેશ મળ્યો એ એવી જ ઘટના છે. કેમ કે ભારત જેવા દેશો મિસાઈલ જેવી આધુનિક ચીજો બનાવી ન શકે એટલા માટે ૧૯૮૭માં ગૂ્રપ સ્થપાયું હતું. ભારતે એ દેશોની મદદ વગર પણ મિસાઈલ ટેકનોલોજી વિકસાવી લીધી એટલે પછી ૩૪ સભ્યો ધરાવતા સંગઠનમાં ભારતને આદરપૂર્વક પ્રવેશ મળ્યો.

જુલાઈ, ૨૦૧૬ : તેજસ વિમાન વાયુસેનામાં શામેલ
ભારતે વર્ષોની મહેનત પછી સ્વદેશી લાઈટ એટલે કે હળવા વજનનું કોમ્બેક્ટ એટલે કે યુદ્ધ કરી શકે એવું લશ્કરી વિમાન તૈયાર કર્યું. અટલ બિહારી વાજપેયીએ વિમાનને બહુ પહેલા તેજસ નામ આપી દીધું હતું. હવે તેનું ભારતમાં ઉત્પાદન શરૃ થઈ ચૂક્યુ છે. ૨૦૧૬માં વિમાનને સત્તાવાર રીતે વાયુસેનામાં પ્રવેશ મળ્યો હતો. અનેક રીતે આ વિમાન અનોખું હોવાથી વિશ્વના ઘણા દેશોની તેના પર નજર છે.


નોંધ - ૭૦ વર્ષમાં એમ તો અનેક ઘટનાઓ બની છે, જ્યારે ભારતવાસીઓની છાતી ગૌરવથી ફૂલી હોય, પરંતુ દરેક ઘટના સમાવી શકાતી નથી.  આ લિસ્ટ સંપૂર્ણ છે અને આ યાદી સિવાયની સિદ્ધિઓ નથી એવુ હરગિઝ નથી. અહીં મહત્ત્વપૂર્ણ કહી શકાય એવા તમામ સફળ વળાંકોને સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે.સખણા રાખવાનું કામ અગ્નિ-૫ એકલું કરી આપે છે, માટે તેને 'વેપન્સ ઓફ પિસ' તરીકે ઓળખવામાં આવે છે.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો