ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2018

સીકે નાયડુને 1932માં ઇંગ્લેન્ડમાં 'હિંદુ' બ્રેડમેનનું બિરુદ મળ્યું હતું


- બ્રાંડની જાહેરખબરમાં કામ કરનારા પ્રથમ ભારતીય ખેલાડી પણ હતા
૧૯૩૨માં લોર્ડસમાં એએમસી સામેની પ્રેકટિસ મેચમાં સીકે નાયડુએ ૧૩૦ રનોની ઇનિંગ રમતા અખબારોએ હિંદુ બ્રેડમેન નામ આપ્યું હતું. જો કે હિંદુએ હિંદુસ્તાનના અર્થમાં નહી પરંતુ તેઓે હિંદુ ક્રિકેટ ટીમ વતી રમતા તે સંદર્ભમાં હતું.

ભારતમાં એ સમયે ધર્મ આધારિત ક્રિકેટની ટીમો બનતી હતી. સી કે નાયડુએ મુબઇ જીમખાના અને મદ્રાસ સામેની મેચોમાં હિંદુ ટીમના ખેલાડી તરીકે પેવેલિયનની બહાર સિકસરો ફટકારી હતી.ભારતમાં પ્રથમશ્રેણી ક્રિકેટમાં એટલું ઉત્ત્કૃષ્ટ પ્રદર્શન હતું કે ઇગ્લેન્ડમાં પણ વખાણ થતા હતા.

૧૯૩૨માં ભારતની ક્રિકેટ ટીમ સીકે નાયડુની કેપ્ટનશીપ હેઠળ ૫ ટેસ્ટ મેચ રમવા ગઇ હતી. ભારતીય ટીમની કપ્તાની માટે રાજા મહારાજા ખેલાડીઓની દાવેદારી વચ્ચે સી.કે નાયડુને સુકાન સોંપવામાં આવ્યું હતું. જયારે ઉપ કપ્તાન તરીકે લિંબડીના કેએસજી હતા. ભદ્વ વર્ગમાંથી આવતા  સી.કે નાયડુના દાદાને એક સમયે ભારતની બ્રિટીશ સરકારે રાય બહાદૂરની ઉપાધી આપી હતી. આ ટૂરમાં સી કે નાયડુએ ૫ શતક સાથે ૧૬૨૫ રન પૂરા કર્યા હતા.

ભારત પ્રથમ ટેસ્ટ મેચ ૧૮૯ રને હારી ગયું હતું પરંતુ નવ લોહિયા ખેલાડીઓની ટીમ એક દિવસ ઇગ્લેન્ડને ભારે પડશે એવી પ્રતિતિ જરુર કરાવી હતી. ૧૯૪૧માં નાયડુએ બાથગેટ લિવર ટોનિકની જાહેરાત કરી હતી. કોઇ બ્રાંડની જાહેરાત કરનારા તેઓ પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. આના પરથી તેમની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે. સી.કે નાયડુ ૬૦ વર્ષની ઉંમર સુધી ક્રિકેટ રમ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો