રવિવાર, 14 એપ્રિલ, 2019

ધરમપુરના કાળારામજી મંદિરના રામલાલાની સહજાનંદ સ્વામીએ 21 દિવસ પૂજા કરી હતી


 


- અહીં 'ગોરારામજી' અને 'કાળારામજી' એમ બે રાજવી મંદિરો છે

- ધરમપુરના મહારાણી કુશળ કુંવરબા સહજાનંદ સ્વામીના પરમ ભક્ત હતા
- તેમના નિમંત્રણને માન આપી તેઓ અહીં પધાર્યા હતાઃઆજે શોભાયાત્રા

રાજવીનગરી ધરમપુરમાં ભગવાન રામલાલાના બે રાજવી મંદિરો છે. એક ગોરારામજી અને બીજા કાળારામજી. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદસ્વામી (ભગવાન)એ  ધરમપુરના કાળારામજી મંદિરના રામલાલાની ૨૧ દિવસો સુધી પૂજા-અર્ચના કરી હતી. જોકે વિધિની વક્રતા વચ્ચે મામલતદારના તાબા હેઠળ આવતા આ બંને મંદિરોના પૂજારીઓનો પગાર વર્ષોથી ચૂકવતો નથી. ગોરારામજી અને કાળારામજી ભગવાન થોડા થોડા અંતરે બિરાજમાન છે.
રાજવી સમયે સને ૧૮૦૭માં ધરમપુરના રાજા માત્ર ૨૪ વર્ષની આયુએ મૃત્યુ પામ્યા હતા ત્યારે તેમના પુત્ર વિજયદેવજી પહેલા ગાદી ઉપર આવ્યા હતા, તેમની સગીર અવસ્થાને લઇ મહારાણી કુશળ કુંવરબાએ રાજ્ય સાંભળ્યું. આમ જો જોઈએ તો મહારાણી કુશળ કુંવરબા સ્વામી નારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદસ્વામી(ભગવાન)ના પરમ ભક્ત હતા. તેમણે સહજાનંદસ્વામીને ધરમપુર આવવા નિમંત્રણ પાઠવ્યું, અને તેમનો સ્વીકાર કરી ભગવાન સ્વયંમ ૨૧ દિવસ સુધી ધરમપુર પધાર્યા હતા. સ્વામી નારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદસ્વામીનાં માનમાં મહેલમાં વસંતોત્સવ ઉજવાયો અને ભગવાન સ્વયંમ ૨૧ દિવસોના રોકાણ દરમિયાન હનુમાનફળિયા ખાતે આવેલી વાવ ખાતે સ્નાન કરી, હનુમાન મંદિરે દર્શન કરી બાકીનો સમય અહીંના કાળારામજી મંદિરમાં ગાળતા, ગ્રામજનોને પણ રોજ સત્સંગનો લાભ આપતા અને અચાનક રાજવીના મૃત્યુથી વલોપાત કરતા મહારાણી કુશળ કુંવરબાને રાજશાશન કરવાનું માર્ગદર્શન પણ પૂરું પડતા અને હંમેશા પ્રજાવત્સલ કામો કરવા પ્રેરણા આપતા હતા. ધરમપુરમાં  રવિવારે રામનવમીના દિને રવિવારે બપોરે ૩.૦૦ કલાકે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જે સમગ્ર નગરમાં ફરશે અને સાંજે કાળારામજી મંદિરમાં ભજન ધૂન બાદ ભવ્ય ભંડારાનું આયોજન સમસ્ત હિંદુ યુવા સંઘે કર્યું છે. 
શ્રીમદ રાજચંદ્રજી પણ અહીં રોકાયા હતા
શ્રીમદ્ રાજચંદ્રજી ગુજરાતી કવિ, જૈન ફિલસૂફ અને જ્ઞાાની હતા. તેઓ મહાત્મા ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ તરીકે જાણીતા. તેઓ પણ આ કાળારામજી મંદિરમાં થોડા દિવસો રોકાયા હતા અને મંદિરની બાજુમાં બનેવાયેલા ગાળામાં ધ્યાન-ચિંતન-સત્સંગ કરતા હતા. આજે ગુરુદેવ રાકેશભાઈજીની પ્રેરણાથી હજ્જારો જૈન ભાઈ-બહેનો રાજચંદ્ર મિશનમાં સેવાભાવથી જોડાયા છે સાથે સાથે રાજચંદ્ર મિશન ધરમપુરના અધ્યાત્મિક ભક્તો ધરમપુરના આ રાજવી કાળારામજી મંદિરે અચૂક આવી શ્રીમદ રાજચંદ્રજીના આધ્યાત્મિક સ્પંદનોની અનુભૂતિ કરતા નજરે પડે છે.
ગોરારામજી મંદિર પણ અનોખું
ધરમપુરના મોટાબજાર સ્થિત ગોરારામજી મંદિરનો ઈતિહાસ પણ રસપ્રદ છે, ધરમપુરમાં રાજવીઓ શૈક્ષણિક દ્રષ્ટીએ દીર્ઘદ્રષ્ટિ રાખતા. મોટાબજાર સ્થિત રાજવી સમયમાં બનેલી કન્યાશાળાની મુલાકારે અવારનવાર રાજવીના રાણીઓ આવતા ત્યારે કન્યાશાળાની સામે એક ઝુપડામાં કેટલાક સાધુ-બાવાઓ કાયમ પડયા-પાથર્યા જોતા. અંદર ઝુપડામાં ગોરારામજી ભગવાનની પૂજા-અર્ચના થતી હતી. જેથી રાણીએ આદેશ આપી અહિયાં એક ભાગમાં ગોરારામજીનું મંદિર અને બીજા ભાગમાં પુજારી અને આવા પડયા-પાથર્યા રહેતા સાધુ-બાવાઓ માટે રહેવા માટેની વ્યવ્થાના ભાગરૂપે બે ગાળાના મકાન બનાવવા આદેશ કર્યો હતો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો