ગુરુવાર, 18 ઑક્ટોબર, 2018

ઝરીયું ગાનારા, સાંભળનારા અને રમનારાની આંખમાંથી આંસુ સરી પડે છે

 

- વલસાડ ઉમરસાડી ગામના મંડળે ઝરિયું ગરબા કથાને જીવંત રાખી છે

- સાત ભાઇઓની એકની એક બહેન સોનબાઇને સાસરીયામાં દુઃખની કથા ઝરિયુંમાં વર્ણવેલી છે જેને ગરબા તરીકે ગવાય છે
 
ગુજરાતમાં માતાજીની આરાધના રુપે નવરાત્રીની ઉજવણી વર્ષોથી થઇ રહી છે. સામાન્ય રીતે ગરબા માતાજીની આરાધનાના હોય છે. આ સિવાય રાસ (દાંડીયા) કૃષ્ણ ભગવાનના ગવાય અને રમાય છે, પરંતુ ગુજરાતમાં લોક સાહિત્યના પ્રાચિન ગરબા ગવાય અને રમાય તેની જાણકારી ભાગ્યે જ કોઇને હશે. આવા જ લોક સાહિત્યના ગરબાની પ્રથા વલસાડના ઉમરસાડી ગામમાં હજુ સચવાઇ છે. અહીં હજું પણ લોક સાહિત્યના ગરબા થકી યુવા પેઢીને પારંપરિક વારસાની પ્રતિતિ કરાવાઇ રહી છે. 
ઉમરસાડી ગામમાં સાત વીરાની એક સોનબાઇ બહેનુંનું ઝરિયું ખુબ પ્રખ્યાત છે. આ ઝરિયામાં ૭ ભાઇઓની એક બહેનની વાર્તા કહેવાઇ રહી છે. જેમાં જણાવે છે કે, સાત ભાઇઓની બહેનના લગ્ન દૂરના ગામમાં થયા હતા. આ લગ્ન બાદ ૧૦ થી ૧૨ વર્ષ સુધી કોઇ પત્ર વ્યવહાર કે સમાચાર આવ્યા નહોતા. ત્યારે અચાનક એક દિવસ બહેનનો લાંબો પત્ર આવે છે. જેમાં બહેન પોતાના સાસરામાં પડેલા દુખની વાત કહે છે. આ પત્ર વાંચતા વાંચતા રાત્રી દરમિયાન અડધો મણ દિવેલ દિવામાં પૂરું થઇ જાય છે.
બહેનને પહેલી રાત્રે(રાતના પહોરમાં) ખાંડણીયા ખંડાવે છે. બીજી રાત્રે(મધરાતથી પરોઢિયા સુધી) પાણી ભરાવે છે. પછી સવારથી ખેતીમાં મદદ કરાવે છે. ૧૦ વર્ષ સુધી બહેનને પુરતી ઉંઘ પણ નસીબ થઇ નથી. ત્યારે બહેનનો પત્ર વાંચી ભાઇ સફેદ ઘોડા પર બહેનને મળવા ઉપડે છે. બીજી તરફ બહેન પોતાના ભાઇની રાહ જોતી ગામની શેરીઓ વાળવા નિકળે છે અને તેના સ્વાગતની તૈયારી કરે છે, પરંતુ બહેનના નસીબમાં ભાઇનું મિલન ન હોય સફાઇ કરતી વેળા બહેનને પગમાં નાગ ડંખે છે અને તેનું મૃત્યુ નિપજે છે. ત્યારે ભાઇ નિરાશ અને ભારે હૈયે દુઃખ સાથે બહેનને મળ્યા વિના ઘરે પરત આવે છે. એ વાર્તા આખા ઝરિયામાં ગવાય છે. 
આ સિવાય અન્ય નાના નાના ઝરિયું પણ કેટલાક ગામોમાં ગવાય છે. જેમાં મહિનાની ૧૫ તીથીની જાણકારી આપતું ઝરિયું ગવાય છે. આ સિવાય કૃષ્ણની લીલાના પ્રસંગનું 'કુંજર ગલીમાં વાગે વાંસળી રે જો ની વ્હાલા' નું ઝરિયું પણ ગવાય છે. 
સોનબાઇનું ઝરિયું ક્યાંય લખાયું નથી, મોઢે ચઢી ગયું છે તેથી ગવાય છે
વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામે રહેતા ૬૮ વર્ષિય નાગરભાઇ પટેલે જણાવ્યું કે, તેઓ ૧૮ વર્ષના હતા ત્યારથી તેઓ ગરબા, ઝરિયું અને પવાડા(ઘેરૈયા) ગવડાવે છે. સાત વીરાની સોનબાઇનું ઝરિયું કશે લખ્યું નથી. વર્ષોથી સાંભળેલું અને મોઢે ચઢી ગયું હોય ગવાઇ રહ્યું છે. આ સિવાય પવાડા પણ કશે લખ્યા નથી. અનેક લોકો મોઢે જ પવાડા ગાય છે. આજની નવી પેઢીને પણ તેમની સાથે ઝરિયું ગાતા ગાતા શીખીને તૈયાર થઇ ગઇ છે. 
સાત વીરાની એક સોનબાઇ બહેનું નું ઝરિયું  
ઝરિયું ગામ તે સાંભળો સરવે લોકો જો, 
ભાઇને બેનનાં કેવા હેત જો વ્હાલાં જો, 
સુતા હોય તો જાગો ગામના લોકો જો, 
ભાઇને બહેનનાં કહું ઇતિહાસ જો, 
મેડીએ બેસી મોવર વગાડે જો, 
ઢોરો તો ચારે છે રાજા રામ વ્હાલા, 
ઢોર ચારીને બેહનું ને પરણાવી જો, 
બહેનુંને પરણાવી લંકા દૂર જો, 
સાત ને પાંચ બાર વરસ થયા જો, 
તો યે ના દીઠી, મૈયરની વાટ જો, 
બાર ને બાર ચોવીસ વર્ષ થયા જો, 
ચોવીમે વર્ષે કાગળિયા આવ્યા જો, 
ઉઠો ને દાસી, દિવડો સળગાવો જો, 
કાગળિયા આઇવા બહેનીના દેશના જો, 
અડધા વાંઇચા ચાંદોને ચાંદરણી જો, 
અડધા તે વાંચ્યા દિવાની જ્યોત જો, 
વાંચતા વાંચતા અધમણ દિવેલ બળ્યું જો, 
તોયે ના વંચાયા બહેનીના દુખ જો,
આગલી રાતે ખંડણીયા ખંડાવે જો, 
પાછલી રાતે ભરાવે પાણી જો,  
ઉઠોને દાસો, ગોઢલ સણગારો જો, 
મારેને જાવું બહેનીના દેશ જો, 
કયાને શોધી કયાને સણગારું જો, 
કયો તે જાશે બહેનીના દેશ જો, 
કાળાને છોડી ધોળાને સણગારું જો, 
ધોળો તો જશે બહેનીના દેશ જો, 
ડુંગર કિનારે ધૂળેટીઓ ઉડે જો, 
મે હો નો જાણી વીરાની વેલ જો, 
ડુંગર કિનારે બગલડીઓ ભમે જો, 
મે હો નો જાણી વીરાની વાવટી જો, 
ઘોડો બાંધ્યો સરોવરની પાળે જો, 
ચાબુક ભેરી વડલાની ડાળે જો, 
કઇ છોડીને કઇને ઓ વાળું જો, 
કઇ તે શેરી ને વીરો આવશે વાલા, 
ડાબી છોડી જમણીઓ વાળું જો, 
જમણી શેરીએ વીરો આવશે જો, 
મામા તમે મોડા કેમ આવ્યા જો, 
પુછ્યા તો સંદેશા ભાણજા એ કીધા જો, 
માતા મારી રાહ જોઇ સીધાવ્યા જો, 
એને તો ડંખ્યા કાળિયા નાગે જો, 
ભાઇ તો નિરાશ થઇ ઘરે આવ્યા જો, 
હવે હું બહેનીને ક્યાંથી જોઇશ... 
સાત વીરાની એક સોનબાઇ બહેની જો... 
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો