શુક્રવાર, 19 ઑક્ટોબર, 2018

દશેરાના દિવસે દૂધના અભિષેક સાથે ગામની ફરતે સુતરની દોરી બાંધવામાં આવે છે !


- દસક્રોઇના કાણીયેલ ગામે આજે પણ 'ગામ સુતરવાની ' પરંપરા જીવંત છે


- અનિષ્ટ તત્ત્વો સામે ગ્રામજનો, માલઢોર, ખેતીને રક્ષણ મળતું હોવાની માન્યતાઃ લાડવા બનાવી ઉજાણી કરાય છે



'ગામ સુતરવાની' આ પરંપરાને આજે પણ આ ગામના લોકોએ જાળવી રાખી છે. ભારે આસ્થા સાથે આ દિવસે સાંજે ગામમાં દરેક ઘરમાં લાડવા, દાળ-ભાત બનાવીને માતાજીને પ્રસાદ ધરાવીને ઉજાણી કરવામાં આવતી હોય છે.


આ અંગે ગ્રામજનોના જણાવ્યા મુજબ દશેરાના દિવસે સવારે શુભ મુહુર્તમાં બ્રાહ્યણો દ્વારા શાસ્ત્રોક્ત વિધી અને મંત્રોના ઉચ્ચારણ સાથે આખા ગામની ફરતે સુરતની દોરી બાંધવામાં આવતી હોય છે. આ પ્રસંગે તમામ ગ્રામજનો હાજર રહેતા હોય છે. ગામની ફરતે સુતરની દોરી બાંધ્યા બાદ ગામની ફરતે દૂધનો અભિષેક કરાતો હોય છે.

વર્ષ દરમિયાન ગામમાં રોગચાળો ન વકરે, કુદરતી પ્રકોપ કે કોઇ અનિષ્ટ ન થાય , ગામમાં સુખશાંતિ રહે, માલઢોરની રક્ષાની સાથે ખેતીમાં પણ સારો પાક થાય તે માટે ગ્રામજનો દ્વારા આસ્થાભેર ગામ સુતરવાની વિધી કરવામાં આવતી હોય છે.

જોગણી માતાના મંદિરે એક ફૂટનો માતાજીનો રથ બનાવીને તેને રાત્રે ગામની સીમમાં ગ્રામજનો મૂકી આવતા હોય છે. આ રથ થકી માતાજી ગામમાં આવતા તમામ અવરોધો અને અનિષ્ટોથી ગ્રામજનોની માતાજી રક્ષા કરશે તેવી ગ્રામજનોની માન્યતા છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો