બુધવાર, 16 જાન્યુઆરી, 2019

વિશ્વના સૌથી મોટા મેળાનો શુભારંભઃ સદીઓથી ત્રિવેણીમાં સ્નાનની પરંપરા

- કુંભ મેળામાં 1.4 કરોડ શ્રધ્ધાળુનું સંગમમાં પવિત્ર સ્નાન

- આ વર્ષનો મેળો સૌથી વિશાળ 3200 હેકટરના વિસ્તારમાં યોજાયો: ગયા વર્ષ કરતાં બમણો મોટો

 - ઉત્તર પ્રદેશ સરકારે આજ સુધીના સૌથી વધુ રૂપિયા 4200 કરોડ ફાળવી યાત્રિકોને વિશેષ સુવિધાઓ આપીઃ મેળો 50 દિવસ ચાલશે

- વિક્રમજનક 2.25 કરોડ શ્રધ્ધાળુઓની હાજરીમાં 13 અખાડાના 'શાહી સ્નાન' સંપન્નઃ યોગીનો દાવો

સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ આજે સવારે અલ્લાહાબાદના સંગમ તીર્થ ખાતે 'હર હર ગંગે'ના નારા સાથે કુંભ મેળાની શરૂઆત થઇ હતી. સાધુઓના શાહી સ્નાન બાદ 1.4 કરોડ શ્રધ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી મારી હતી. આ કુંભ મેળા માટે ઉત્તર પ્રદેશ ઔઔ સરકારે રૂપિયા 4200 કરોડ ફાળવ્યા છે જે આજ સુધીની સૌથી મોટી રકમ છે. અગાઉની 2013માં સરકારે લગભગ 1300 કરોડ જેવી રકમ ફાળવી હતી.
વિશ્વના સૌથી મોટા મેળા તરીકે જાણીતો કુંભ મેળો 50 દિવસ ચાલશે. ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમનું ધાર્મિક તેમજ પૌરાણિક મહાત્મ્ય છે. તીવ્ર ઠંડીમાં પણ શ્રધ્ધાળુઓએ કુંભમાં હાજરી આપી હતી. 13 અખાડાના સાધુએ પ્રથમ સ્નાન કર્યું હતું. દરેક અખાડા માટે 45 મિનિટનો સમય પાળવાયો હતો. અખાડાના સાધુઓસરઘસ આકારે ધૂનો અને મંત્રોચ્ચાર સાથે સંગમ ખાતે પહોંચ્યા હતા. નાગા સાધુઓની આ ધાર્મિક વિધિ જોવા લાયક હોય છે અને લાખો વિદેશી લોકો પણ આ આનંદ માણવા આવે છે.
કુંભ મેળામાં લગભગ 12 કરોડ લોકો ભાગ લે તેવી સંભાવના છે. મેળો ચોથી માર્ચ મહાશિવરાત્રી સુધી ચાલશે.
આ વર્ષનો કુંભ મેળો અગાઉ કરતાં વિશાળ 3200 હેકટર વિસ્તારમાં ફેલાયો છે. રાજ્ય સરકારે યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ કરી છે. મહાકુંભ 12 વર્ષે એકવાર આવે છે. કુંભ મેળા દરમિયાન છ શાહી સ્નાન થાય છે. મકર સક્રાંત (જાન્યુઆરી 15), પોષ પૂર્ણિમા (જાન્યુઆરી 21), મૌની અમાસ (ફેબુ્રઆરી 4), વસંત પંચમી (ફેબુ્રઆરી 10) માઘી પૂર્ણિમા (ફેબુ્રઆરી 4) અને છેલ્લે મહાશિવરાત્રિ (માર્ચ 4)
દર છ વર્ષે યોજાતા મેળાને અર્ધકુંભ અને 12 વર્ષે યોજાતા મેળાને કુંભ કહે છે. યોગી સરકારે 12 વર્ષે યોજાતા મેળાને 'મહાકુંભ' નામ આપ્યું હતું.
2013માં યોજાયેલા કુંભમેળામાં દર 10 પૈકી એક નાગરિકે હાજરી આપી હતી. આ વર્ષે આ આંકડો વધવાની શક્યતા છે. મેળા માટે કુંભનગરી નામનું હંગામી શહેર બાંધવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો