સોમવાર, 22 ઑક્ટોબર, 2018

ઘેરનૃત્યના માધ્યમથી દેવ-દેવી સમક્ષ પાક કાપણીનો આનંદ, આરાધના વ્યક્ત કરાય છે


 



- આદિવાસીઓની લુપ્ત થતી પરંપરાને જીવંત રાખવા પ્રયાસ


- સભ્યો માટે બ્રહ્મચર્ય પાલન, માંસ-મદીરા ત્યાર ફરજિયાત


- ઘેરૈયા મંડળીમાં મહિલાઓ હોતી નથી પુરુષો અર્ધનારેશ્વર જેનો વેશ ધારણ કરે છે

- ઘેરૈયા ઘરઆંગણે આવી ગરબા રમે તો આખુ વર્ષ સુખમય નીવડે તેવી માન્યતાઃ ઘેર નૃત્ય મૃત્યુ સમયે, બાળજન્મ અને બાળક ઘોડીએ ચડે ત્યારે પણ થાય છે

 
દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તરોમાં આદિવાસીઓનું પરંપરાગત 'ઘેર નૃત્ય' એટલે ઘેરૈયા નૃત્ય. જોકે ઘેરૈયા ગરબા હવે લુપ્ત થઇ રહયા છે. આદિવાસી સમાજોમાં પણ મર્યાદિત થઇ ગયું છે. જોકે, ઘેરૈયાની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને પ્રયાસ કરી રહયા છે. ગામડા અને શહેરી વિસ્તારોમાં આ ઘેરૈયા મંડળીને ખાસ નવરાત્રી દરમિયાન આમંત્રણ આપીને બોલાવાય છે.

ઘેરૈયા મંડળીમાં માત્ર પુરુષો જ હોય છે. જેઓ ઘરના આંગણે આવીને ગરબા રમે છે. જેનાથી આખુ વર્ષ સુખમય નીવડે છે તેવી માન્યતા છે. ઘેરૈયા સંતોષભાઇ કહે છે કે, અમે અમારી સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા આ પ્રયાસ કરી રહયા છીએ. આરાધના પર્વ નવરાત્રીથી દેવદિવાળી સુધીનો સમય અમારા આદિવાસી સમાજ માટે માતાજીને રિઝવવાનો શ્રેષ્ઠ અવસર મનાય છે. 

આસો મહિનામાં લોકો ધીમે-ધીમે ખેતીના પાકની કાપણીનું કામ પુર્ણ કરે છે. એટલે પાક ઉતારવાનો આનંદ પણ આદિવાસી ખેડૂતોમાં બેવડાય છે. આ આનંદ અને આરાધનાના સંયોગને આદિવાસી સમાજ દેવ-દેવીઓ સમક્ષ ઘેરનૃત્યના માધ્યમથી વ્યક્ત કરે છે.  ઘેરૈયા ટુકડીમાં મહિલાઓ નથી હોતી. પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરે છે. ઘેરૈયાનો વેશ અર્ધનારેશ્વર જેવો હોય છે. તેમણે વધુમાં કહયું કે, ઘેરૈયા નૃત્ય માત્ર શક્તિની આરાધના જ નહી કોઇના મૃત્યુ સમયે, બાળક જન્મ સમયે અથવા નાના બાળકને ઘોડીએ ચડાવીને ઘેર ગવડાવવામાં આવે છે.

મંડળીના દરેક સભ્યોએ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં બ્રહ્મચર્ય પાલન, માસાંહાર ત્યાગ, મંદિરાનું સેવન નહી કરવું. ટુકડીના નાના આદેશોનું પાલન કરવાનું હોય છે. જે બક્ષિસ મળે તે લઇએ છીએ સામેથી ક્યારેય માંગતા નથી. ઘેર છોડવામાં આવે અને જે બક્ષિસ એકત્ર થાય તે ગામમાં દેવસ્થાન માટે અથવા તો ગામના સાર્વજનિક કામ માટે વાપરવામાં આવે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો