ગુરુવાર, 29 માર્ચ, 2018


ગુજરાતી વિજ્ઞાનીના નામે બનેલા રોકેટ દ્વારા આજે ઉપગ્રહ 'જીસેટ-6 ' લોન્ચ થશે

- પ્રથમવાર સ્વદેશી એન્જિન વપરાશે જેને 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ)'નામ અપાયું છે

- ચંદ્રયાન-2 પહેલાં જીએસએલવી દ્વારા સેટેલાઈટ લોન્ચિંગની નેટ પ્રેક્ટિસ

- ક્રાયોજેનિક એન્જિન ધરાવતો ભારત દુનિયાનો છઠ્ઠો દેશ છે

ઈસરો દ્વારા આજે શ્રીહરિકોટા લોન્ચિંગ મથકેથી ઉપગ્રહ 'જીસેટ-૬એ' લોન્ચ થવા જઈ રહ્યો છે. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર નહીં થાય તો સાંજે ૧૬:૫૬ કલાકે સતિષ ધવન સ્પેસ સેન્ટરના બીજા નંબરના લોન્ચ પેડ પરથી 'જીએસએલવી-એફ૦૮'માં સવાર થઈ ઉપ્રગ્રહ લોન્ચ થશે. જીએસએલવી રોકેટમાં પ્રથમવાર સ્વદેશમાં બનેલું ક્રાયોજેનિક એન્જિન વપરાશે. આ  લોન્ચિંગ માટે ૨૭ કલાકનું કાઉન્ટડાઉન શરૃ થઈ ચૂક્યુ છે.

આ એન્જિનને ઈસરોએ દુરદૃષ્ટા વિજ્ઞાની ડો.વિક્રમ સારાભાઈના નામે 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ) નામ આપ્યું છે.જોકે એન્જિનનું ટેકનિકલ નામ તો 'હાઈ ટ્રસ્ટ ક્રાયોજેનિક એન્જિન (એચટીસીઈ)' છે. પરંતુ ઈસરોના વિજ્ઞાાની નામ્બી નારાયણ પાસે જ્યારે આ એન્જિન બનાવવાની ચેલેન્જ આવી ત્યારે જ તેમણે ૧૯૭૩માં તેને વિક્રમ અંબાલાલ સારાભાઈ નામ આપી દીધું હતુ.

૨૭૦ કરોડનો ઉપગ્રહ, ૧૦ વર્ષ કામ આપશે

આજે લોન્ચ થનારો ઉપગ્રહ જીસેટ-૬એ કમ્યુનિકેશન સેટેલાઈટ છે. ઉપગ્રહનું વજન ૨ ટન છે, તેને તૈયાર કરવામાં અંદાજે ૨૭૦ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે, જ્યારે એ દસ વર્ષ સુધી કાર્યરત રહેશે. જીઓસિન્ક્રોનસ એટલે કે ભુસ્થિર પ્રકારનો હોવાથી આ ઉપગ્રહ ૩૫,૯૭૫ કિલોમીટરની ઊંચાઈ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરશે.

જીએસએલવી : ભારે ઉપગ્રહ માટે ભારે રોકેટ

વજનદાર ઉપગ્રહને સ્થિર કક્ષા સુધી લોન્ચ કરવા માટે ભારે રોકેટ જોઈએ, એટલે ઈસરો જીએસએલવી (જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ) રોકેટનો ઉપયોગ કરશે. જીએસએલવી એ ભારતનું સૌથી ભારે રોકેટ છે અને હજુ શરૃઆતી તબક્કામાં છે. પરંતુ ભવિષ્યમાં ચંદ્રયાન-૨ કે મંગળમિશન જેવા મહાત્વાકાંક્ષી અવકાશી પ્રોજેક્ટ માટે જીએસએલવી જેવુ સક્ષમ રોકેટ જરૃરી છે. જીએસએલવીની આ ૧૨મી ફ્લાઈટ હશે.

સ્વદેશમાં સર્જાયેલું ક્રાયોજેનિક એન્જિન

ભારત વરસોથી જીએસએલવીમાં ચાલી શકે એ માટે ક્રયોજેનિક એન્જીન તૈયાર કરી રહ્યું હતુ. હવે આ એન્જિન બનાવવામાં સફળતા મળી છે. ક્રાયોજેનિક એન્જીન એ અવકાશમાં એન્જીનોમાં વપરાતા વિવિધ એન્જીનો પૈકીનો એક પ્રકાર છે. અત્યંત નીચા તાપમાને જે એન્જીનમાં બળતણ સંગ્રહી શકાય એવુ એન્જીન ક્રાયોજેનિક કહેવાય. નીચા તાપમાનને કારણે ઓછી જગ્યામાં વધુ બળતણ સમાવી શકાય અને તેનાથી રોકેટનો પ્રવાસ લંબાવી શકાય. ક્રોયોજેનિક એન્જીનને કારણે જ અમેરિકા સેટર્ન રોકેટ સિરિઝ દ્વારા ચંદ્ર સુધી પહોંચી શક્યુ છે. સામાન્ય એન્જીનોમાં અંદર પાંખીયા ફરતાં હોય અને તેના દ્વારા એન્જીનને ધક્કો લાગે, વાહન આગળ વધે. પણ ક્રાયોજનિક એન્જીનમાં અંદર કશું ફરતું હોતુ નથી. ન્યુટનના ત્રીજા સિદ્ધાંત પ્રમાણે એક દિશામાં ધક્કો લગાવી, બીજી દિશામાં આગળ વધવાનું કામ કરે છે.

ગુજરાતી વિજ્ઞાાનીના નામે ઈસરોનો વિકાસ

જ્યારે ભારત પાસે કંઈ ન હતું, ત્યારે વિક્રમ સારાભાઈએ વિજ્ઞાનીઓ એકઠા કરીને દેશને અવકાશી મહાસત્તા બનવાનું સપનું દેખાડયુ હતુ.

ભારતને ક્રાયોજેનિક એન્જીન માટે વિવિધ દેશોએ ટેકનોલોજી આપવાની ના પાડી દીધી હતી. એટલે ભારત એ એન્જિન માટે ૨૦૦૧થી મહેનત કરતું હતુ. આખરે ગયા વર્ષે એન્જિન તૈયાર થયુ અને તેનું પરિક્ષણ પણ સફળ રહ્યું હતુ. હવે ભારત ક્રાયોજેનિક એન્જિન બનાવી શક્યો હોય એવો અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન અને ચીન પછી છઠ્ઠો દેશ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો