શનિવાર, 12 જાન્યુઆરી, 2019


સોમનાથમાં ભગવાન સૂર્યની તપસ્યા કરી મહર્ષિ યાજ્ઞાવલ્કયે મેળવ્યો હતો યજૂર્વેદ

 Image result for kite

- સોમનાથ તીર્થ છે સૂર્ય ઉપાસનાની ભૂમિ

- ભાસ્કર તીર્થ તરીકે ઓળખાતા પ્રભાસ ક્ષેત્રમાં એક સમયે હતા ૧૬ સૂર્યમંદિરો

- હજુ ૨થી ૩ સૂર્ય મંદિરો હયાત

 

સૂર્યદેવનું મહાપર્વ છે મકરસંક્રાન્તિ સ્કંધ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ- પ્રભાસ ખંડમાં ૧૬ સૂર્ય દેવતાઓના મંદિરો હતા. સૂર્યનું એક નામ ભાસ્કર પણ  છે. પ્રભાસ એક સમયે ભાસ્કર તિર્થ તરીકે પણ ઓળખાતું. જે નામ સૂર્યવંશી આર્યો અહીં સમુદ્ર માર્ગે આવી સ્થિત થયા તે વખતે અપાયુ હતું. આ ઉપરાંત મહર્ષિ યાજ્ઞાવલ્કયે સોમનાથમાં ભગવાન સૂર્યનારાયણની તપસ્યા કરી યજૂર્વેદ મેળવ્યો હતો.

એક વાયકા મુજબ યજુર્વેદાચાર્ય યાજ્ઞાવલ્ક્ય મહર્ષિએ સોમનાથમાં તપસ્યા કરી હતી અને આ રીતે તેમણે ભગવાન સૂર્યનારાયણની તપસ્યા કરી યજુર્વેદ મેળવ્યો હતો અને પ્રભાસના હિરણ-સરસ્વતી અને કપિલા નદીના સંગમ ઉપર સૂર્યનારાયણની અર્ધવર્તુળાકાર દ્વાદશ મૂર્તિ સ્થાપી અને તે પછી વિશ્વામિત્ર સરોવરમાં મૂર્તિ સાથે ઊભા રહી તપશ્ચર્યા કરી અને શ્રાવણ સુદ ૧૪ પૂર્ણિમાએ મધ્યાન્હે તેમને સૂર્યનારાયણ પ્રસન્ન થયા હતા અને વરદાન આપ્યું હતું અને યાજ્ઞાવલ્ક્યે સૂર્યનારાયણની સ્તુતિ કરી જે આજે પણ સૂર્ય સ્ત્રોત્રમાં ઉલ્લેખ હોવાનું મનાય છે.

ભારત વનપર્વ અધ્યાય ૮૨મા જણાવાયેલ મુજબ સૂર્ય આ પ્રદેશમાં પોતાની પૂર્ણ કળાએ પ્રકાશિત થતો હતો અને સૂર્યની એ સોળ કળાઓ પૈકી બાર કળાઓ સૂર્યમંદિરમાં રાખી અને ચાર કળા પોતાની પાસે રાખી જેનો ઉલ્લેખ પ્રભાસખંડમાં લખાયો છે. તેવાં બાર સૂર્ય મંદિરો વેદકાળમાં હતા જે કાળક્રમે લુપ્ત થયા છે. અને હાલ બેથી ત્રણ જેટલા સૂર્ય મંદિરો હજુયે યથાવત છે. તે સમયે ઊંચા મકાનો તેની આસપાસ ન હોવાને કારણે સૂર્યોદયના પ્રથમ સીધા કિરણો તેની ઉપર પડતા.

સોમનાથ તિર્થમાં ૧૬ સૂર્ય મંદિરો

ઈતિહાસકાર સ્વ. શંભુપ્રસાદભાઈ દેસાઈએ પ્રભાસ-સોમનાથમાં ઉલ્લેખ કરેલ ૧૬ સૂર્યમંદિરોમાં સાંમ્બાદિત્ય સૂર્યમંદિર- સોમનાથથી ઉત્તરે, વર્તમાનમાં હાલ શાક મારકેટ પાસે ત્યાં મ્યુઝીયમ છે, સાગરાદાત્ય સૂર્યમંદિર- ત્રિવેણી માર્ગે હાલ છે, ગોપાદિત્ય સૂર્યમંદિર- રામપુષ્કરથી ઉત્તરે- હાલ નથી, ચિત્રાદિત્ય સૂર્યમંદિર- બ્રહ્મકું પાસે, ભાટીયા ધર્મશાળા પાછળ હશે, હાલ નથી. રાજભટ્ટાક સૂર્ય મંદિર- સાવિત્રી પાસે, સાહુના ટીંબા ઉપર કે પાસે સંભાવના, હાલ નથી. નાગરાદિત્ય સૂર્યમંદિર- નદી તટે, વર્તમાન ટીંબા પાસે જુનું મંદિર. નંદાદિત્ય સૂર્યમંદિર- નગર ઉત્તરે- કનકાઈ માર્ગે સંભવતઃ, હાલ નથી. કંર્કોટ કાક સૂર્યમંદિર- સમુદ્ર તટે શશિભૂષણ પૂર્વે - હાલ નથી. દુર્વા આદિત્ય સૂર્યમંદિર- યાદવાસ્થળીમાં- હાલ નથી. મુળ સૂર્યમંદિર- સુત્રાપાડામાં- હાલ છે. પર્ણાદિત્ય સૂર્યમંદિર- ભીમદેવળ - હાલ છે. બાર્લાક સૂર્યમંદિર- પ્રાચીના ગાંગેચા પાસે, હાલ નથી. આદિત્ય સૂર્યમંદિર- ઊંબા પાસે ૧૬ માઈલ દૂર- હાલ છે, મકલ સૂર્યમંદિર- ખોરાસા પાસે- હાલ નથી. બકુલાદિત્ય સૂર્યમંદિર- ઉના દેલવાડા વચ્ચે, હાલ નથી. નારદાદિત્ય સૂર્યમંદિર- ઉના ગામે, હાલ નથી.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો