ગુરુવાર, 9 ઑગસ્ટ, 2018


મ્યાંમારે ભારતીયો માટે સરહદ ખુલ્લી મુકી, વિશેષ અનુમતી વગર પ્રવેશ મળશે



- ભારત-મ્યાંમાર માટે ઐતિહાસિક ક્ષણ

- ૮૦ ટકા બૌદ્ધોની વસતી ધરાવતા મ્યાંમારમાં પર્યટનને પ્રોત્સાહન આપવા સરકારનો નિર્ણય

- વિઝા ઓન અરાઇવલ પદ્ધતિથી પ્રવેશ આપશે, સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને માટે માત્ર પાસથી જ પ્રવેશ મળી જશે

મ્યાંમાર અને ભારત માટે 08-08-2018 નો દિવસ ઐતિહાસીક હતો. બન્ને દેશોએ મળીને સરહદોને આવવા જવા માટે ખુલ્લી મુકી દીધી છે અને એકબીજા દેશમાં પ્રવેશવા માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે.

મ્યાંમારે અત્યાર સુધી ભારતીયોના પ્રવેશ માટે કેટલાક આકરા નિયમો લાગુ કર્યા હતા જેમાં પ્રવેશ માટે વિશેષ અનુમતીની જોગવાઇ પણ હતી.

અંતે આ જોગવાઇને મ્યાંમારે રદ કરી દીધી છે. જેને પગલે હવે બન્ને દેશના નાગરીકો માટે એકબીજાના દેશોમાં હરવા ફરવાનું વધુ સરળ થઇ ગયું છે. આ માટે ખાસ બોર્ડર ઓપન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે વાતચીત કરતી વેળાએ મ્યાંમારમાં ભારતના કોંસલ જનરલ નંદનસિંહે જણાવ્યું હતું કે ભારત અને મ્યાંમાર વચ્ચે આ ઐતિહાસિક દિવસ સમય છે.

બન્ને દેશના સંબંધોને મજબુત બનાવવામાં આ પગલુ અતી મહત્વનું સાબીત થશે. બન્ને દેશના નાગરીકો પાસે માન્ય પાસપોર્ટ હશે તેઓ એકબીજાના દેશમાં પ્રવેશી શકશે. તામુ-મોરેહ વિસ્તારમાં આ બોર્ડ ખુલ્લી મુકવામાં આવી છે.

આ ઉપરાંત બન્ને દેશની સરહદે રહેતા નાગરીકોને બોર્ડર પાસ આપવામાં આવશે. આ પાસની મદદથી સ્થાનિકો ૧૬ કિમીની અંદર કોઇ પણ પ્રકારની અનુમતી વગર પ્રવેશી શકશે. ૮૦ ટકા બૌદ્ધોની વસતી ધરાવતો મ્યાંમાર દેશ ભારતની પૂર્વ દિશામાં આવેલો છે. મિઝોરમ થઇને અહીં પ્રવેશી શકાય છે.

અત્યાર સુધી અનુમતી માટેની પર્મીટ સિસ્ટમથી પ્રવેશ મળતો હતો જેને હવે હટાવી લેવામાં આવ્યો છે. જેવા મ્યાંમાર પહોંચો કે તુરંત જ વીઝા મળી જશે. મ્યાંમાર સરકારે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આ પગલુ ભર્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો