શુક્રવાર, 29 જૂન, 2018

'ચંદ્રયાન-૨' ચંદ્રની સપાટી પર પરમાણુ ઊર્જા આપતા 'હિલિયમ-૩'ની શોધ કરશે

Representational image

ઈસરોનું ચંદ્રમિશન ઑક્ટોબર મહિનામાં લૉન્ચ થવાની શક્યતા છે

પૃથ્વીની ૩૦૦ વર્ષ સુધી ઊર્જા જરૃરિયાત પુરી કરી શકે એટલો હિલિયમ-૩નો જથ્થો ચંદ્ર પર છે: હિલિયમ-૩માં રેડિયો એક્ટિવક કિરણો નિકળતા નથી

'ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો)'ના મહાત્વાકાંક્ષી મિશન 'ચંદ્રયાન-૨' દ્વારા ચંદ્ર પર 'હિલિયમ-૩'નો જથ્થો પણ શોધવાનો છે. હિલિયમ-૩ એ પરમાણુ ઊર્જા પેદા કરવા માટે અત્યંત મહત્ત્વનું બળતણ છે. વિએના ખાતે એક બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ઈસરોના ચેરમેન કે.સિવાને ત્યાં પરદેશી પત્રકારો સમક્ષ આ માહિતી આપી હતી. હિલિયમ-૩ એ પરમાણુ ઊર્જા મેળવવા માટેનું સર્વોત્તમ બળતણ છે અને તેમાં કોઈ જાતના રેડિયો એક્ટિવ કિરણો નીકળતા નથી. માટે તેનાથી પ્રદૂષણનો કે પરમાણુ અકસ્માતનો ભય રહેતો નથી.

એક સમયે પૃથ્વી પર પણ હિલિયમ-૩નો જથ્થો હતો, પરંતુ એ બધો હવામાં ઊડી ગયો છે. બીજી તરફ ચંદ્રની સપાટી પર સતત હિલિયમ-૩ના કણો વરસ્યા કરે છે. આ કણો મોટે ભાગે સૌર પવનોમાંથી ચંદ્રની સપાટી પર ખરી પડે છે. ચંદ્રને વાતાવરણ નથી અને પૃથ્વીની માફક મેગ્નિટિક ધુ્રવ પ્રદેશ નથી, જે સૌર કિરણોને રોકી રાખે. માટે હિલિયમ-૩નો જથ્થો ત્યાં સચવાઈ રહ્યો છે.

સંશોધકોના અંદાજ પ્રમાણે ચંદ્ર પર એટલો હિલિયમનો જથ્થો છે જે પૃથ્વીની ઊર્જા જરૃરિયાત ૩૦૦થી ૫૦૦ વર્ષ સુધી પૂરી કરી શકે છે. રફ ગણતરી પ્રમાણે હિલિયમ-૩નો જથ્થો ૧૦ લાખ ટન કરતા પણ વધુ છે. એક ટન જથ્થો મળે તો પણ તેની કિંમત ૫ અબજ ડૉલર જેટલી થઈ શકે.


ભારતનું ઓર્બિટર, લેન્ડર અને રોવર એમ ત્રણ ભાગમાં વહેંચાયેલુ ચંદ્રમિશન ચંદ્રયાન-૨ ઑક્ટોબરમાં લૉન્ચ થવાની શક્યતા છે. રોવર ચંદ્રની સપાટી પર બે સપ્તાહ સુધી આમ-તેમ ફરશે અને એ દરમિયાન જ હિલિયમ-૩ના જથ્થા અંગે પણ તપાસ કરશે. અગાઉ પણ સંશોધકો વારંવાર ચંદ્ર પરથી હિલિયમ-૩નો જથ્થો પૃથ્વી પર લઈ આવવાનો પ્રસ્તાવ મૂકી ચૂક્યા છે. ચંદ્ર પરથી હિલિયમનો જથ્થો પૃથ્વી પર લાવવો અઘરો છે, પરંતુ સાવ અશક્ય નથી. અગાઉ અમેરિકાએ સમાનવ-પ્રવાસ યોજ્યા હતા એવા કોઈ પ્રવાસ દ્વારા હિલિયમની આયાત કરી શકાય એમ છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો