શનિવાર, 9 ડિસેમ્બર, 2017

સંરક્ષણ ટેકનોલોજી પર કન્ટ્રોલ ધરાવતા ૪૨ દેશોના સંગઠનમાં ભારતનો પ્રવેશ



- વાસેનાર એગ્રિમેન્ટ કહેવાતા કરારમાં ભારત ૨ વર્ષથી પ્રયત્નશિલ હતું

- ભારતના પ્રવેશને ઈટાલી અટકાવી રહ્યું હતું આ સંગઠનના ભાગ બનેલા દેશો સંરક્ષણ સાધનો અને ટેકનોલોજીનું સરળતાથી વેચાણ કરી શકે છે

સંરક્ષણ ટેકનોલોજી અને સંસાધનોની નિકાસ પર કન્ટ્રોલ ધરાવતા ૪૨ દેશોના 'વાસેનાર એગ્રિમેન્ટ'માં ભારતને આજે પ્રવેશ મળ્યો હતો. ભારત છેલ્લા બે વર્ષથી આ સંગઠનમાં પ્રવેશવા માટે પ્રયાસ કરતું હતું. પણ ઈટાલિએ ભારતનો પ્રવેશ અટકાવી રાખ્યો હતો. 

'ધ વાસેનાર એગ્રિમેન્ટ ઓન એક્સપોર્ટ કન્ટ્રોલ ફોર કન્વેન્શનલ આર્મ્સ એન્ડ ડયુઅલ યુઝ ગુડ્સ એન્ડ ટેકનોલોજી' સંગઠન ટૂંકમાં વાસેનાર એગ્રિમેન્ટ તરીકે ઓળખાય છે. 

૪૨ દેશોના આ જૂથમાં ભારતને પ્રવેશ મળતાં ભારતના લશ્કરી સાધન સરંજામ અને ટેકનોલોજીને આંતરરાષ્ટ્રીય બજારમાં સરળતાથી પ્રવેશ મળશે.

આ કરારમાં સામેલ થયેલા દેશોએ પોતાની લશ્કરી ટેકનોલોજી અને સાધનો વેચતા પહેલા ડબલ ચેકિંગ કરવાનું હોય છે. જેથી એ ટેકનોલોજી કોઈ ખોટા હાથોમાં, આતંકીઓ પાસે જતી ન રહે. તેની સામે આ સંગઠના સભ્ય દેશોની લશ્કરી સામગ્રી અને ટેકનોલોજીને સુરક્ષિત માનવામાં આવે છે. માટે ૪૨ દેશો પરસ્પર સરળતાથી તેની આપ-લે કરી શકે છે. એટલે કે ભારત વધુ સરળતાથી લશ્કરી સામગ્રીનું વેચાણ કરી શકશે.

આ સંગઠનના નિયમ પ્રમાણે જોડાયેલા દરેક દેશોએ પોતે ક્યા પ્રકારના શસ્ત્રોની નિકાસ કરવા માંગે છે, તેનું લિસ્ટ જાહેર કરવાનું હોય છે. તેની બરાબર તપાસ થાય પછી જ નિકાસ થઈ શકે. તેનો ફાયદો એ થાય કે દુનિયામાં આ ક્યાંયથી પણ શસ્ત્રો પકડાય તો એ શસ્ત્રો ક્યાંથી આવ્યા છે, ક્યા દેશે વેચ્યા હશે, વગેરેની તપાસ થઈ શકે. ચીન જેવા દેશને હજુ આ સંગઠનનું સભ્યપદ મળ્યું નથી.


ઈટાલિએ અગાઉ ભારતના પ્રવેશ અંગે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ ઓક્ટોબરમાં ઈટાલિના વડા પ્રધાનની ભારતયાત્રા પછી ઈટાલિ આ મુદ્દે ભારતનો વિરોધ ન કરવા સહમત થયું હતું. અમેરિકા, રશિયા, વગેરે દેશો પહેલેથી જ ભારતના તરફદાર છે. માટે વિએનામાં ચાલી રહેલી સંગઠનની બેઠકમાં ભારતને વિધિવત પ્રવેશ મળ્યો હતો.  આ સંગઠનમાં એન્ટ્રી પછી ૪૮ દેશોના બનેલા ન્યુક્લિયર સપ્લાયર ગૂ્રપના સભ્યપદ માટેની ભારતની દાવેદારી વધુ મજબૂત બની છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો