શનિવાર, 7 ઑક્ટોબર, 2017

એ મહોબ્બત તેરે નામ પે રોના આયા...બેગમ અખ્તરના જન્મદિવસે ગુગલે બનાવ્યુ ડૂડલ



બેગમ અખ્તરને ગઝલની મલિકા કહેવામાં આવે છે. જો તે આજે જીવતા હોત તો 103 વર્ષના હોત. ગૂગલે તેમના જન્મદિવસ નિમિત્તે ખાસ ડૂડલ બનાવ્યુ છે. એ મહોબ્બત તેરે નામ પે રોના આયા.... જેવી યાદગાર ગઝલોને કારણે બેગમ અખ્તર આજે પણ લોકોના દિલો ઉપર રાજ કરે છે. તેમની જીંદગી પણ એવી જ દિલચસ્પ હતી. તેમના ગળાને મળેલા આશિર્વાદ અને સંગીત જ જેમનું જીવન હતુ તે સંગીત સામ્રાગીનીના  જન્મ દિવસ નિમિત્તે તેમને લોકો આજે યાદ કરી રહ્યા છે.

ઉત્તર પ્રદેશના ફૈઝાબદામાં 7 ઓક્ટોબર 1914ના દિવસે થયો હતો. તવાયફના કુંટુબનુ ફરજંદ હોવાને કારણે તેમનુ નામ અખ્તરીબાઈ ફૈઝાબાદી હતુ. તવાયફ શબ્દ તેનો મૂળ અર્થ ખોઈ બેઠો છે કારણ કે, તવાયફ શબ્દ સાંભળતાની સાથે આપણા મનમાં કોઠા અને મુજરા યાદ આવે પરંતુ તવાયફ અને સંગીત એક બીજાના પર્યાય સમા હતા ઠુમરી , ગઝલ ગાઈને રાજા મહારાજા અને નવાબોનું મનોરંજન કરનાર બાઈ એટલે તવાયફ અને એને પહેલેથી જ આ શબ્દ પ્રત્યે સુગ છે લોકોને અને તેને સન્માન પણ આપવામાં નથી આવતુ પરંતુ કાદવમાં કમળ ખીલે એમ બેગમ અખ્તર નીખરીને બહાર આવ્યા હતા.

નાની ઉંમરથી જ તેમને સંગીત પ્રત્‍યે લગાવ થઈ ગયો હતો. ગળું તો બહુ નાનપણથી જ કેળવાઈ ગયું હતું.  પોતાના ગળાની નુમાઈશ કરીને ગઝલ શીખવાનો મનસૂબો પાર પાડે એ પહેલાં જ અખ્‍તરીબાઈના પિતાએ અચાનક જ કૌટુંબિક અસંતોષને કારણે અખ્‍તરીબાઈ અને તેમની માતાનો ત્‍યાગ કરી દીધો.  

હતાશ માતાએ મજબૂરીવશ, અખ્‍તરીબાઈને લઈને, પોતાના ભાઈને ઘેર ગયાશહેરમાં આશરો લેવો પડયો.

અખ્‍તરીબાઈનો સંગીતશોખ લાંબા સમય સુધી મામાના ધ્‍યાન બહાર ન રહ્યો.પણ એમણે અખ્‍તરીબાઈના ગઝલશોખની સાથોસાથ શાસ્ત્રીય સંગીતની તાલીમ પર ભાર મૂક્‍યો. એમના આગ્રહને વશ થઈને પટણાના મશહૂર સિતારવાદક ઉસ્‍તાદ ઈમદાદખાન પાસે અખ્‍તરીબાઈની ગઝલની તાલીમ શરૂ થઈ. પણ થોડા સમયમાં જ તેમની માતાએ ગયાથી કલકત્તા સ્‍થાયી થવાનો નિર્ણય લીધો.  

પતિયાલા ઘરાનાના ઉસ્‍તાદ અતા મોહમ્‍મદખાન પાસે અખ્‍તરીબાઈની ગઝલની સાથોસાથ ઠૂમરી, ખયાલ, વગેરે જેવા ઉપશાસ્ત્રીય ગાયનપ્રકારોની સઘન તાલીમ શરૂ થઈ. આજે બેગમની જે ગઝલો સાંભળીને રેશમ-રેશમ થઈ જવાય છે એ તે સમયના, સાત-આઠ વર્ષની માસુમ ઉંમરમાં બેગમે કરેલા રોજના સાત-આઠ કલાકોના રિયાઝનું પરિણામ જ હશેને!

કલકત્તામાં અખ્‍તરીબાઈએ શાસ્ત્રીય સંગીતના મહારથી ઉસ્‍તાદ મોહમ્‍મદખાન, લાહોરના કિરાના ઘરાનાના ઉસ્‍તાદ વાહિદખાન અને ઉસ્‍તાદ ઝંડેખાન ઉપરાંત પતિયાલા ઘરાનાના ઉસ્‍તાદ બરકતઅલી અને લખનૌના ઉસ્‍તાદ રમજાનખાન પાસે પણ શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને ગઝલગાયકીનું શિક્ષણ મેળવ્‍યું. આગળ જતાં ઉસ્‍તાદ વિલાયતખાન પાસે ગાયન તેમજ પ્રસિદ્ધ સિતારવાદક અરવિંદ પરીખ પાસે સિતારવાદન પણ શીખેલાં. પંદર વર્ષની ઉંમરે એમણે પહેલી વખત કલકત્તામાં એક જાહેર કાર્યક્રમમાં ગાયું, અને એ સાથે જ ગાયકીના જગતમાં એક ઉન્‍માદ ફેલાઈ ગયો. એ પછીનાં થોડાં વર્ષો સુધી જાહેર કાર્યક્રમોની સાથોસાથ તેમનું સંગીતશિક્ષણ પણ સતત ચાલતું જ રહ્યું.

વીસ વર્ષની ઉંમરે તેમના જીવનમાં એક ઘટના બની જેણે તેમની જીંદગી સમૂળગી બદલી નાંખી . સંગીતજગતમાં બેગમનો સૂર્ય ઉગ્યો. કલકત્તાના આલ્‍ફ્રૅડ થિયેટરમાં એ સમયે ભૂકંપપીડિતોની સહાય માટે એક મોટો જલસો યોજાયો હતો. એ જલસામાં સંગીતજગતનાં મોટા અને જાણીતા ગાયકો ભાગ લેવાના હતા. સંજોગવશાત એ જલસામાં કોઈ મોટાં માથાં ભાગ લેવા આવ્‍યાં નહી. જલસાના કાર્યકર્તાઓ મૂંઝાયા. જાણીતા સંગીતકારો-ગાયકો ન આવે તો કલકત્તાની સંગીતપ્રેમી પ્રજા આયોજકોની ધૂળ કાઢી નાખે તેમ હતી. આથી આયોજકોએ આખાયે કાર્યક્રમની જવાબદારી અખ્‍તરીબાઈ ઉપર નાખીને હાથ ધોઈ નાખ્‍યા. પણ આયોજકો અને કલકત્તાની પ્રજાને અખ્‍તરીબાઈએ જરાયે નિરાશ ન કર્યાં. દાદરા અને ગઝલોની જમાવટ દ્વારા અખ્‍તરીબાઈએ માત્ર વીસ વર્ષની ઉંમરે જાણીતા ગાયકોની ગેરહાજરી જરાયે કળાવા ન દીધી. પ્રજાના સતત આગ્રહને વશ, એ રાત્રે -એ મંચ પર અખ્‍તરીબાઈનો બીજો જન્‍મ થયો.  

કલકત્તાવાસીઓ એમનો અવાજ સાંભળીને એવા તો મદહોશ થયા, કે એ રાત્રે અખ્‍તરીબાઈ સિવાય બીજા કોઈ કલાકારને મંચ ઉપર ફ્‍રકવા પણ ન મળ્‍યું. લોકપ્રિય કવયિત્રી સરોજિની નાયડુએ એ રાત્રે તેમને પ્રશંસાનાં પુષ્‍પોથી નવડાવી દીધાં.

રેશમી અવાજની સાથોસાથ તેઓ એક સુંદર ચહેરો અને સુકોમળ દેહયષ્ટિ પણ ધરાવતાં હોવાને કારણે ફ્‍લ્‍મિ નિર્માતાઓની નજરમાં એક આદર્શ સ્ત્રી પાત્ર તરીકે તેઓ ઊભરી આવ્‍યાં. મુમતાઝ બેગમ’, ‘જવાની કા નશા’, કિંગ ઑફ અ ડે’, ‘અમીના’, ‘રૂપ કુમારી’, ‘નસીબ કા ચક્કર’, ‘અનારબાલા’, ‘પન્ના દાઇ’, ‘દાના-પાની’, ‘એહસાન’, ‘નળ-દમયંતી’, વગેરે ઉપરાંત મશહૂર નિર્માતા-દિગ્‍દર્શક મહેબૂબખાનની રોટીઅને સત્‍યજીત રાયની જલસાઘરમાં તેમણે અભિનયના અજવાળાં સાથે તેમની ગાયકીનો લાભ આપ્‍યો.

ફિલ્મો ઉપરાંત રંગમંચ પર પણ નઈ દુલ્‍હન’, ‘આંખ કા નશા’, વગેરે નાટકો દ્વારા તેમણે અભિનય આપ્‍યો. મહેબૂબખાનની રોટીમાં તેમણે ગાયેલી છ ગઝલોમાંથી ત્રણ ગઝલો નિર્માતા અને નિર્દેશક વચ્‍ચેના ઝગડામાં હોમાઈ ગઈ હતી, જે રેકર્ડ પર આજે પણ સચવાઈ રહી છે. રોટી ફ્‍લ્‍મિમાં સિતારાદેવી સાથે તેમણે કામ કરેલું. અખ્‍તરીબાઈના લગ્ન લખનૌના એક બૅરિસ્‍ટર ઈસ્‍તીયાક એહમદ અબ્‍બાસી સાથે થયા. આ લગ્ન સાથે, હવે તેઓ
અખ્‍તરીબાઈને બદલે બેગમ અખ્‍તરના નામે ઓળખાવા લાગ્‍યાં. પણ તેમની ગાયકી માટે આ લગ્ન નુકસાનરૂપ પુરવાર થવાના હતા. ઈસ્‍તીયાક એહમદ અબ્‍બાસી પોતે સંગીત કે ગાયનના વિરોધી તો ન હતા, પણ ખૂબ જ રુઢિચુસ્‍ત અને જુનવાણી વિચારના હતા. આથી એમણે બેગમના જાહેર ગાયનના કાર્યક્રમો અંગે નાખુશી વ્‍યક્‍ત કરી. બેગમ માટે ઘર અથવા કારકિર્દી એ બેમાંથી એકની પસંદગી કરવાની હોવાથી ન છૂટકે તેમણે પોતાની ગાયન કારકિર્દીને ઠોકર મારીને ઘરના ખૂણાને પસંદગી આપવી પડી.

સતત તેર વર્ષ સુધી એ એકદંડિયા વાસમાં સંગીતથી દૂર રહીને ઝૂરતાં રહ્યાં, અને છેવટે ગંભીર માંદગીમાં પટકાયાં. તેમનાં મિત્રો, સ્‍નેહીઓ તેમની પરિસ્‍થિતિ જાણતાં હતાં પણ ઈસ્‍તીયાક એહમદ પાસે સહુ લાચાર હતા. આખરે તેમનાં મિત્રો અને ડૉકટરોએ ઈસ્‍તીયાક એહમદને ખૂબ સમજાવીને પ્રથમ માત્ર રેડિયો પર ગાવાની છૂટ અપાવી. રેકોર્ડીંગ પૂરું થયા બાદ બેગમ રડી પડયાં. રેડિયો પર તેમના દ્વારા ગવાયેલી ત્રણ ગઝલોએ એવી તો લોકપ્રિયતા મેળવી કે ના છૂટકે ઈસ્‍તીયાક એહમદે તેમને મહેફિલોમાં ગાવાની છૂટ આપવી પડી.

તેમની ગાયકીએ તેમને સંગીત નાટય અકાદમીના પારિતોષિક અને પદ્મશ્રીની નામના પણ અપાવી. મરણોપરાંત પદ્મભૂષણ પારિતોષિક પણ ખરું.

1994માં ભારત સરકાર દ્વારા તેમની યાદમાં ટપાલટિકિટ બહાર પાડવામાં આવી. તેમના ચાહકોમાં તો તેઓ મલેકા-એ-ગઝલતરીકે જ જાણીતાં હતાં.

ભાગલા સમયે ફરી એક વખત સંગીત ચાહકોને તેમના ગાયનથી વંચિત રહેવાનો સમય આવ્‍યો હતો. તે સમયના વિભાજિત ભારત-પાકિસ્‍તાનના રાજકારણને કારણે અન્‍ય અનેક ઉત્તમ કલાકારોની સાથોસાથ બેગમના સંગીત પર પણ ગૃહમંત્રાલય દ્વારા રેડિયો પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હતો. પરંતુ રેડિયો સ્‍ટેશનના અધિકારીઓ અને સંગીતચાહક પ્રજાના સંયુક્‍ત પ્રયાસો દ્વારા સરકાર પર દબાણ લાવીને આ પ્રતિબંધ હઠાવવામાં આવ્‍યો હતો.


પ્રસિદ્ધ ગાયિકા એમ. એસ. શુભલક્ષ્મી માટે બેગમને ખૂબ જ માન. નર્તકોમાં સિતારાદેવી, અચ્‍છન મહારાજ, લચ્‍છુ મહારાજ અને શંભુ મહારાજ માટે પણ એમને એટલો જ આદર. અભિનેત્રી નરગિસની માતા જદ્દનબાઈ, બેગમ અખ્તરનાં માતા મુશ્‍તરીબેગમનાં બહેનપણી. એ નાતે નરગિસ સાથે એમનો નિકટનો પરિચય. લતા મંગેશકર, મહેબૂબ, સરદાર અખ્‍તર, સોહરાબ મોદી, ચંદ્રમોહન વગેરે એમના નજીકના મિત્રો. તે ઉપરાંત કૈફી અને શૌકત આઝમી સાથે એમનો બહુ નિકટનો નાતો. ખૈયામ, શોભા ગુર્તુ, પંડિત જસરાજ, બડે ગુલામઅલીખાં જેવા મહારથીઓ એમનાં બહુ સારા મિત્રો. જિગર મુરાદાબાદી તો લખનૌ જાય ત્‍યારે બેગમને ત્‍યાં જ ઊતરતા. સુદર્શન ફકિર, મિર્ઝા ગાલિબ, દાગ, સૌદા, મીર, સૈયદ અસગર હુસેન સાહેબ, વગેરે તેમના પ્રિય શાયર. પરંતુ એમની કૂણી લાગણીનો એક ખૂણો તો સંગીતકાર મદનમોહન માટે અલાયદો, અનામત! કલાકો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો