મંગળવાર, 16 એપ્રિલ, 2019

આજે મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ગુજરાતભરમાં આસ્થાપૂર્વક ભવ્ય ઉજવણી

 

- જિનાલયોમાં પ્રભુ મહાવીરને સુંદર આંગી કરાશે : જૈન સંઘોમાં અનુષ્ઠાનનું આયોજન

- અમદાવાદમાં યોજાનારી જન્મ કલ્યાણકની રથયાત્રામાં સુવર્ણ શાહીથી લખાયેલું કલ્પસૂત્ર આકર્ષણનું કેન્દ્ર

 

ચૈત્ર સુદ-૧૩ આવતીકાલે છે ત્યારે વિશ્વભરમાં જીવમાત્રના કલ્યાણ માટે ઉપદેશ આપનારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકનો દિવસ છે. આ નિમિત્તે અમદાવાદ સહિત ગુજરાતભરમાં પ્રભુ મહાવીરની જયંતિ આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવશે. જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે વિવિધ જૈન સંઘો જિનાલયોમાં પ્રભુની સુંદર આંગી કરવામાં આવશે જ્યારે વિવિધ જૈન સંઘોમાં અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. 
પ્રભુ મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી ૨૯ માઇલ દૂર આવેલા 'બેસધા પટ્ટી' નજીક આવેલા કુંડલગ્રામમાં ચૈત્ર સુદ-૧૩ના થયો હતો. આ દિવસ ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે ૧૨ એપ્રિલનો મનાય છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (જીતો) દ્વારા રાજનગરના સમસ્ત જૈન સંઘોના સહયોગથી છેલ્લા આઠ વર્ષ માફક આ વખતે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 
આ રથયાત્રામાં ઇન્દ્રધજા, ગજરાજ, શરણાઇ મંડળીઓ, ઘોડા પર સવાર ધજા સાથેના પહેરેગીરો, ધજા-પતાકા, કચ્છી ઘોડી, પ્રભુજીના રથ, સુવર્ણ શાહી વડે લખાયેલા કલ્પસૂત્રની ડોલી આકર્ષણના કેન્દ્ર રહેશે. સવારે ૯ કલાકે શાંતિનગર જૈન સંઘ-ઉસ્માનપુરાથી આ રથયાત્રાનો પ્રારંભ થશે. આ પછી નારણપુરા ક્રોસિંગ-લાડલી-સંઘવી હાઇસ્કૂલ-પ્રિન્સ કોર્નર-મિરામ્બિકા જૈન દેરાસર-અંકુર ચાર રસ્તા થઇ અંકુર દેરાસરના મેદાનમાં સમાપન થશે.
રથયાત્રાના સમાપન બાદ સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે.  બીજી તરફ પરિમલ જૈન સંઘ ખાતે આચાર્ય હંસકીર્તિસૂરીશ્વરજી મ.સા., મુનિ હંસબોધીવિજયજી મ.સા.ની નિશ્રામાં સવારે ૫:૩૦ કલાકે શક્રસ્તવ મહાઅભિષેક, સવારે ૯ વાગ્યે ભવ્ય મેરુ મહોત્સવ, સાંજે મહાપૂજનનું આયોજન કરાયું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો