સોમવાર, 12 ફેબ્રુઆરી, 2018

મહાત્મા ગાંધીની સમાધિ દિલ્હી અને માત્ર કચ્છના આદિપુરમાં આવેલી છે

-૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮નાજ આદિપુર ખાતે મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવીને ત્યાં સમાધિ મંદિરનું નિર્માણ કરાયું


મહાત્મા ગાંધીની સમાધિ  દિલ્હી અને માત્ર કચ્છના આદિપુરમાં આવેલી છે  
૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮. ભારતીય ઈતિહાસની તવારીખમાં આ તારીખ પણ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. બરાબર ૭૦ વર્ષ અગાઉ આ દિવસે 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવા મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહાત્મા ગાંધીની સમાધિ દિલ્હીના રાજઘાટ ઉપરાંત કચ્છના આદિપુરમાં પણ આવેલી છે. અલબત્ત, સરકારના ઉદાસીન વલણને કારણે આદિપુરમાં આવેલી મહાત્મા ગાંધીની સમાધિ હાંસિયામાં ધકેલાઇ ગઇ છે. 
૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી. આ પછી યોજાયેલી મહાત્મા ગાંધીની અંતિમ યાત્રામાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મહાત્મા ગાંધીનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયા બાદ તેમની અમુક અસ્થિનું અલ્હાબાદ ખાતે ત્રિવેણી સંગમમાં ૧૨ ફેબુ્રઆરી ૧૯૪૮ના વિસર્જન કરવામાં આવ્યું હતું. 
આ સિવાય અસ્થિના અમુક ભાગને દેશમાં વિવિધ સ્થાને તેમના મિત્રો-પરિવારના સભ્યોને મોકલવામાં આવી હતી. આ પૈકી ગાંધીધામના સ્થાપક ભાઇપ્રતાપ અને અન્ય કેટલાક મહાનુભાવો દ્વારા ગાંધીજીના અસ્થિને ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા.
આદિપુર ખાતે મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવીને ત્યાં સમાધિ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આમ, નવી દિલ્હીમાં રાજઘાટ બાદ મહાત્મા ગાંધીની અન્ય એક સમાધિ માત્ર ગુજરાતના આદિપુરમાં આવેલી છે. ૧૨ ફેબુ્રઆરીના આદિપુરમાં મહાત્મા ગાંધીની અસ્થિ પધરાવાઇ અને તે જ દિવસે ગાંધીધામની સ્થાપના કરવામાં આવી હતી.
ગાંધીધામ આઝાદી બાદ થયેલા ભાગલાને કારણે વસેલું શહેર છે. આ શહેરનું નામકરણ ગાંધીજીની સમાધિને કારણે ગાંધીધામ કરવામાં આવ્યું છે. આ શહેરને વસાવવા માટે મહાત્મા ગાંધીની પણ ભૂમિકા રહી હતી. ભાગલા બાદ ભારતનો સિન્ધ પ્રાંત પાકિસ્તાનમાં જતા રહેતા સિંધીઓ ઘરબાર છોડીને ભારતમાં રહેવા માટે આવ્યા હતા. આ નિર્વાસિતોના પુનઃવસન માટે મહાત્મા ગાંધીના કહેવાથી કચ્છના મહારાવે ૧૮ હજાર એકર જમીન ફાળવી હતી.
મહાત્મા ગાંધીની વિચારધારા સર્વોદયને આધારે જ આદિપુરની રચના થયેલી છે. કેમકે, ત્યાં વિવિધ જાતિના લોકો એક જ વિસ્તારમાં સાથે રહે છે. મહાત્મા ગાંધીની આ સમાધિના દર્શનાર્થે દેશના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, મોરારજી દેસાઇ, લાલકૃષ્ણ અડવાણી સહિતના મહાનુભાવો આવી ચૂક્યા છે.
મહાત્મા ગાંધીની આદિપુર ખાતેની સમાધિ ઉપેક્ષાનો ભોગ
આદિપુર ખાતે આવેલી મહાત્મા ગાંધીની સમાધિના દર્શન માટે દેશ-વિદેશથી ખૂબ જ વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવી શકે તેમ છે. પરંતુ સરકાર દ્વારા ક્યારેય ગાંધીજીની આ સમાધિનો પ્રચાર-પ્રસાર કરવાનો પ્રયાસ સુદ્ધા થયો નથી. આશ્ચર્યની વાત એ છે કે ગાંધી જયંતિ, ગાંધી નિર્વાણ દિન કે સ્વતંત્રતા દિવસે આ સમાધિમાં ફૂલ અર્પણ કરવા પણ કોઇ નેતા ફરક્તા નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો