રવિવાર, 29 ઑક્ટોબર, 2017

મહાકાળેશ્વર મંદિરમાં હવે માત્ર ૫૦૦ મિ.લી. આર.ઓ.ના પાણીથી જળાભિષેક


- સુપ્રીમે ઉજ્જૈનના પ્રસિદ્ધ મંદિર માટે નવા નિયમો જાહેર કર્યા
- પંચદ્રવ્ય પણ ૧.૨૫ લીટરથી વધુ નહિ, શિવલિંગ પર ખાંડ ઘસવાનો પ્રતિબંધ
મધ્યપ્રદેશના પ્રાચીન નગર ઉજ્જૈનમાં આવેલા મહાકાળેશ્વર મંદિરના શિવલિંગની સુરક્ષા માટે કેટલાક નિયમો દાખલ કરવાની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ હતી. સુપ્રીમે તથ્ય જાણવા નિષ્ણાતોની એક સમિત રચી હતી અને આ મુદ્દે યોગ્ય અહેવાલ અને સૂચનો કરવા કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટની અરૃણ મિશ્રા અને એલ. નાગેશ્વર રાવની ખંડપીઠે સમિતિના અહેવાલનો સ્વીકાર કરીને હવે કોઈ પણ ભક્ત ૫૦૦ મિ.લી.થી વધુ પાણીનો જળાભિષેક નહી કરી શકે. પંચદ્રવ્યમાં વપરાતા સાકરના ઘસારાથી શિવલિંગને નુકસાન થતું હોવાથી, ખાંડ સહિતના પંચદ્રવ્ય (દૂધ, દહી, મધ, ખાંડ અને ઘી) ચઢાવવા તથા તેના પર હાથ ઘસીને નવડાવવા અંગે નારાજગી દર્શાવી હતી.

કોર્ટે ૫૦૦ મિ.લી. શુદ્ધ જળ (આર. ઓ. વોટર) જ શિવલિંગ પર ચડાવી શકાશે. જ્યારે પંચદ્રવ્યમાં કાચી (તેને સફેદ કરવાની પ્રક્રિયા કર્યા વિનાની) ખાંડ વાપરી શકાશે. હાલ થતી ભસ્મ આરતીમાં અર્ધુ શિવલિંગ સફેદ કાપડથી ઢાંકવામાં આવે છે તેના સ્થાને હવે આખા શિવલિંગને ઢાંકવાનો હુકમ કર્યો હતો. તો ૧.૨૫ મિ.લિ.થી વધુ પંચામૃત સ્નાન કરાવવા સામે પ્રતિબંધ મૂકાયો છે.

ઉપરાંત પંચામૃત બાદ જળાભિષેક અને તે પછી તરત જ શિવલિંગને કોરું કરી નાખવું પડશે. મંદિર સત્તાવાળાઓને પણ તાકીદ કરાઈ છે જેમાં એક વર્ષમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવો, ગર્ભગૃહ પાસે જળાભિષેકના પાણી, પંચદ્રવ્યની વ્યવસ્થા ગોઠવવી તેમજ પુષ્પો અને બિલીપત્રો માત્ર શિવલિંગ પર ચડાવવા નીચે નહીં જેથી શિવલિંગનો હવા સાથેનો સંપર્ક અટકે નહીં.

કોર્ટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (એ.એસ.આઇ.) અને જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તેમજ અન્ય પક્ષકારોને પણ તાકીદ કરી છે કે, આ તમામ બાબતો શિવલિંગના રક્ષણ માટે છે. મંદિર પણ પ્રાચીન છે તે સંજોગોમાં ભક્તોથી અજાણે મંદિરને કોઈ નુકસાન થતું નથી તેની તપાસ રાખવામાં આવે અને સુપ્રીમના વર્તમાન ચુકાદા સામે તેમને કોઈ વાંધો કે સૂચન હોય તો ૧૫ દિવસમાં રજૂ કરે. તેમણે કેટલાક સારા નિયમો દાખલ કરવા મુદ્દે તેમજ સમિતિના સૂચનોનો અમલ કરવા મુદ્દે મંદિર સત્તાવાળાઓની પ્રશંસા કરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો