બુધવાર, 13 સપ્ટેમ્બર, 2017

આજે જાપાનના વડાપ્રધાનનું એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ભવ્ય સ્વાગત

ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમ ઘટના - મિનિ ગુજરાત-ભારતની સંસ્કૃતિની ઝાંખી કરાવાશે.
14મીએ બુલેટ ટ્રેનનું ભૂમિપૂજન.

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત જ કોઈ દેશના વડાપ્રધાન સીધા ગુજરાત આવી રહ્યા છે. દેશની રાજધાનીને બાયપાસ કરીને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેનનાં પ્રોજેક્ટના ભૂમિપૂજન માટે આવી રહ્યા છે. બુધવારે બપોરે ૩-૩૦ વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે. જ્યાં ખુદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. 

મુંબઈ અમદાવાદ વચ્ચે કુલ ૫૦૮ કિ.મી.ની લંબાઈ ધરાવતા આ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટથી ત્રણ કલાકમાં જ અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર પ્રવાસીઓ કાપી શકશે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસને પણ બૂલેટ ગતિ મળે તે હેતુથી જાપાન અને ગુજરાત સરકાર વચ્ચે પણ અનેક પ્રકારના સમજૂતી કરાર થશે. તેમાં મહત્ત્વપૂર્ણ બાબત સાણંદ-૩ ફેઝમાં ખોરજ પાસે ૧૭૫૦ એકર વિસ્તારમાં વિશ્વસ્તરનું ઔદ્યોગિક કેન્દ્ર આકાર લેશે.


બે દિવસની ભારત યાત્રા દરમિયાન આજે શિંજો અમદાવાદની પ્રસિદ્ધ સિદ્દી સૈયદ મસ્જિદની મુલાકાત લેશે. તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર રહેશે. 
  
નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા અને આ પહેલા તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ પહેલીવાર તેઓ દેશની કોઇ મસ્જિદની મુલાકાત કરશે.   

વડાપ્રધાન મોદી વર્ષ 2015માં જ્યારે યૂએઇ ગયા હતા ત્યારે આબુ ધાબીના પ્રખ્યાત શેખ જાયદ મસ્જિદ ગયા હતા.

મસ્જિદમાં પીએમ મોદી આબુ ધાબીના કિંગ સાથે ફર્યા હતા. મોદીની આ તસવીરો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી.    સિદ્દી સૈયદ મસ્જિદની ખાસિયત અમદાવાદની પ્રસિદ્ધ મસ્જિદ 'સિદ્દી સૈયદની જાળી'ના નામથી ઓળખવામાં આવે છે.



ગુજરાત સલ્તનત દરમિયાન વર્ષ 1573માં આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મસ્જિદ પથ્થરોમાં કંડારવામાં આવેલી અદ્દભૂત કોતરણીને કારણે પ્રસિદ્ધ છે. ખાસ કરીને આ મસ્જિદમાં બનેલા 'જાલી વૃક્ષ' દુનિયાભરમાં ફેમસ છે.    

મસ્જિદની ઇમારત પીળા પથ્થરોથી બનાવવામાં આવી છે, જે ઇન્ડો-ઇસ્લામિક વાસ્તુકલા પર આધારિત છે.    

હાલમાં આ મસ્જિદ દેશ-વિદેશમાંથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે. પરંતુ બ્રિટિશ કાળમાં આ મસ્જિદનો ઉપયોગ સરકારી ઑફિસ તરીકે કરવામાં આવતો હતો. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો