ગુરુવાર, 24 મે, 2018

નીપા વાયરસને પગલે ગુજરાતમાં એલર્ટ હોસ્પિટલોમાં તબીબોને સૂચના અપાઇ

Image result for nipah virus

- રાજ્યમાં નીપા વાયરસ ન પ્રવેશે તે માટે કવાયત શરુ

- રાજ્ય પશુપાલન,આરોગ્ય વિભાગને સતર્ક કરાયું ચામાચીડિયાની વસાહતો પર પશુપાલન વિભાગની નજર

કેરળમાં નિપા વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસે નવેક લોકોનો ભોગ લીધો છે ત્યારે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે. રાજ્યમાં નીપા વાયરસ ન પ્રવેશે તે માટે અગમચેતીના ભાગરુપે પગલાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

કેરળના કોઝીકેડમાં નીપા વાયરસે દેખા દીધી છે. ૨૫ લોકોને તેનો ચેપ પણ લાગ્યો છે તે સંજોગોમાં આ વાયરસ ગુજરાતમાં પ્રવેશે નહીં તે માટે રાજ્ય આરોગ્ય વિભાગે આગોતરા પગલા લેવાનુ શરુ કર્યુ છે. આરોગ્ય વિભાગના અધિકારીક સૂત્રોના મતે, સરકારી હોસ્પિટલોમાં તબીબોને નીપા વાયરસના લક્ષણો હોય તો દર્દીને કેવી સારવાર આપવી તેના માર્ગદર્શન સાથે સતર્ક રહેવા સૂચના આપી દેવાઇ છે. આ ઉપરાંત નીપા વાયરસના લક્ષણો દેખાય તો,દર્દીને તાકીદની સારવાર આપવા પણ જણાવી દેવાયુ છે.

ચામાચિડીયા અને ભૂંડમાંથી માનવીમાં નીપા વાયરસ પ્રસરે છે પરિણામે રાજ્યના પશુપાલન વિભાગના અધિકારીઓને પણ આ મામલે સતર્ક કરી ખાસ તકેદારી રાખવા સૂચનાઓ આપી દેવાઇ છે.જયાં ચામાચિડીયાની વસાહતો છે ત્યાં પશુપાલન વિભાગના અધિકારીઓ નજર રાખી રહ્યા છે.અમદાવાદમાં ગુજરાત કોલેજ,કાંકરિયા,કાલુપુર અને શાહીબાગ સહિતના અન્ય વિસ્તારોમાં ચામાચિડિયાની વસાહતો આવેલી છે.


આ વસાહતો નીપા વાયરસને ફેલાવવાનુ એપી સેન્ટર બની શકે છે. શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી વસાહતો વધુ છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ કહી રહ્યાં છેકે, અત્યારે ગુજરાતમાં કોઇ ચિંતાનુ કારણ નથી આમ છતાંય તકેદારીના પગલાં લેવા જરુરી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો