સોમવાર, 22 જાન્યુઆરી, 2018

વાયરા વાયા વસંતના...: આજે વસંત પંચમી સાથે ત્રણ પર્વોની એકસાથે ઉજવણી કરાશે

-બાગ-બગીચાઓમાં વાસંતી છવાશે: સરસ્વતી માતાના પૂજન માટે સર્વશ્રેષ્ઠ દિવસ

-વસંત પંચમી ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષપત્રી જયંતિ, શ્રી પંચમી પણ ઉજવાશે

'વાયરા વાયા વસંતના, હું ના જાણું કેમ હૈયાને ગમતા કે વાયરા વસંતના...' ભારતીય સંસ્કૃતિમાં આવતતી છ ઋતુઓમાં જેને રાજા ગણવામાં આવે છે વસંત પંચમીનું પર્વ આજે ઉજવાશે. કહેવામાં આવે છે કે વસંત પંચમીથી પ્રકૃતિનું રમણીય રૃપે સોળે કલાએ ખીલી ઉઠે છે.

આજે વસંત પંચમી ઉપરાંત શ્રી પંચમી, સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રીની જયંતી તેમજ ગાયત્રી પરિવારના સંસ્થાપક પં.રામ શર્મા આચાર્યજીનો આધ્યાત્મિક જન્મદિન પણ ઉજવાશે.

સરસ્વતી માતાની ઉપાસના માટે વસંત પંચમી સર્વશ્રેષ્ઠ દિવસ છે. જ્યોતિષીઓના મતે આ દિવસે દેવી સરસ્વતીની કૃપા મેળવવા માટે 'ઓમ્ સરસ્વત્યૈ નમઃ' મંત્રનો જાપ કરવો જોઇએ. સરસ્વતી પૂજા કરવા માટે સવારે ૭:૨૧થી બપોરે ૧૨:૩૬નું શુભ મુહૂર્ત છે.

આ દિવસે પુસ્તકોનું પણ પૂજન કરવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલા ગ્રંથ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રીની ૧૯૨મી જયંતિ પણ વસંત પંચમીના છે. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરોમાં વિશિષ્ટ આયોજનો કરવામાં આવ્યા છે.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, 'આજથી ૧૯૨ વર્ષ અગાઉ કુરિવાજો, અંધશ્રદ્ધા, વ્યસનના સામેના રણસંગ્રામમાં નિસ્તેજ થઇ ગયેલા માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવા સ્વામિનારાયણ ભગવાને વડતાલ ખાતે સંવત ૧૮૮૨ના વંસત પંચમીના ૨૧૧ શ્લોકમાં માર્ગદર્શન આપવા જે માર્ગદર્શિકા આપી તેનું નામ શિક્ષાપત્રી.

આ અનમોલ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને રાજકોટ ખાતે મુંબઇના ગવર્નર સર જ્હોન માલ્કમને ૨૬ ફેબુ્રઆરી ૧૮૩૦ના ભેટમાં અર્પણ કરી હતી. હાલ તે  ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડ્લીયન લાયબ્રેરીમાં સંગ્રહિત કરવામાં આવી છે. '


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો