શુક્રવાર, 23 નવેમ્બર, 2018


આજે તહેવારોની ત્રિવેણી : દેવ દિવાળી, ગુરુ નાનક જયંતિ, કારતક પૂર્ણિમા ઉજવાશે

Image result for gurunanak jayanti
-     ગુરુ નાનક દેવની ૫૫૦મી જયંતિ નિમિત્તે ગુરુદ્વારામાં વિશિષ્ટ આયોજનો

-     દેવ દિવાળી નિમિત્તે મંદિરોમાં અન્નકૂટ યોજાશે : શેત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ : હેમચંદ્રસૂરીશ્વરજીની જયંતિ ઉજવાશે


અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલે દેવ દિવાળી, ગુરુ નાનકદેવજીની ૫૫૦મી જયંતિ અને કાર્તિકી પૂર્ણિમાની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. દેવ દિવાળી નિમિત્તે મંદિરોમાં અન્નકૂટ-વિશિષ્ટ પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જૈન સાધુ-સાધ્વજી ભગવંતોના ચાતુર્માસનું પરિવર્તન થવા ઉપરાંત શેત્રુંજય મહાતીર્થની યાત્રાનો પણ પ્રારંભ થશે.

હિંદુ પંચાંગ અનુસાર કારતક માસની પૂનમને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે.

 

જેમ દિવાળી પાંચ દિવસની હોય છે તેમ દેવોની દિવાળી અગિયારસથી લઇને પૂનમ સુધી એમ પાંચ દિવસ માટે ઉજવાતી હોય છે. દેવ દિવાળી ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ ધરાવે છે અને તેની સાથ જ દિવાળીના પર્વની સમાપ્તિ થાય છે.

આજે વિક્રમ સંવત ૨૦૭૫ની સૌપ્રથમ  પૂર્ણિમા હોવાથી અંબાજી, ચોટીલા, ડાકોરમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે.

 

આજે તુલસી વિવાહની પણ સમાપ્તિ થશે. આ ઉપરાંત ગુજરાતી ભાષાના પ્રખર વ્યાકરણકાર હેમચંદ્રચાર્યસૂરીશ્વરજી મ.સા.નો જન્મોત્સવ ઉજવાશે. 

શીખ કોમના જગતગુરુ શ્રી ગુરુ નાનકદેવજીની ૫૫૦મી જન્મજયંતિ ઉજવાશે. આ પ્રસંગે ગુરુદ્વારામાં ભજનકીર્તન, પ્રવચન, કથા, ગુરુ કા લંગરનું તેમજ રાત્રે આતશબાજીનું પણ આયોજન કરાયું છે. ગુરુ નાનક દેવજી શીખ કોમના સંસ્થાપક જ નહીં માનવધર્મના ઉત્થાપક પણ હતા. ગુરુ નાનક જયંતિ નિમિત્તે અમદાવાદ સહિત રાજ્યભરના ગુરુદ્વારાઓમાં વિશિષ્ટ શણગાર પણ કરાયો છે. 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો